Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

આજી ડેમમાં વાહનો ધોનારા ૨૦ લોકોને ૪૬૦૦નો દંડઃ રાંદરડામાંથી માછીમારોની જાળ જપ્ત

રાજકોટ, તા.૧૯: શહેરમાં વસતા લોકો માટે પીવાના પાણીના સ્રોત પૈકી એક એવા આજી-૧  ડેમમાં કચરો ફેંકતા કે વાહનો ધોઈને જળ પ્રદૂષિત કરનારા લોકો વિરૂદ્ઘ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તાજેતરમાં સંબંધિત અધિકારીશ્રીઓને અપાયેલી સૂચના અનુસાર તા. ૧૬ એપ્રિલના રોજ વધુ ૨૦ વાહન ચાલકોને વાહન સાફ કરતા ઝડપી લેવાયા હતા, તેમજ રાંદરડા તળાવમાંથી માછલા પકડવાની વધુ ૦૧ જાળ જપ્ત કરવામાં આવી હતી. આમ, તા. ૧૨-એપ્રિલથી ૧૬-એપ્રિલ સુધીમાં ૫૯ વાહન ચાલકો પાસેથી ડેમમાં વાહન ધોવા બદલ રૂ. ૧૨,૭૦૦/-નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવેલ છે, તેમ મ્યુનિ. કમિશનર  બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું..

આ અંગે મ્યુનિ. કમિશનર  બંછાનિધિ પાનીએ વધુમાં એમ કહ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને પીવાનું શુદ્ઘ પાણી મળી રહે તે માટે આવશ્યક તમામ પગલાંઓ લેવામાં આવી રહયા છે. જોકે આમ છતાં જળાશયોમાં કે વોંકળાઓમાં અને સ્ટોર્મ વોટર ડ્રેઈનમાં કોઈ કોઈ લોકો કચરો ફેંકતા હોવાની હકિકત ધ્યાનમાં આવતા આ મામલે સત્વરે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં મહાનગરપાલિકાના સુરક્ષા શાખાના જવાનો દ્વારા આજી ડેમ સ્ત્રાવ વિસ્તાર સહિતના આજુબાજુના એરીયામાં પેટ્રોલિંગ કરવામાં આવી રહયું છે. 

મ્યુનિ. કમિશનરશ્રીએ ઉમેર્યું હતું કે, જળાશયમાં કચરો ફેંકતા કે વાહનો ધોઈને પાણી પ્રદૂષિત કરનારા લોકો પાસેથી રૂ. ૨૦૦/- નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવી રહયો છે. આ ઉપરાંત વોંકળા કે સ્ટોર્મ વોટર ડ્રેઈનમાં કચરો ફેંકી જળ પ્રવાહનો રસ્તો  અવરોધતા લોકો પાસેથી પણ રૂ. ૨૦૦/-નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવશે.

તેમણે અન્ય એક બાબત અંગે એમ જણાવ્યું હતું કે, રાંદરડા તળાવમાં માછલા પકડવાની પ્રવૃત્ત્િ। થતી હોવાની માહિતી મળતા સુરક્ષા વિભાગનાં જવાનોએ તેની ખરાઈ કરવા તપાસ કરતા તારીખઃ૧૬-૦૪-૨૦૧૯ના રોજ પાણીમાં માછલા પકડવા માટે બીછાવવામાં આવેલી ૦૧ જાળ મળી આવતા તે કબજે લીધી હતી.

કમિશનરશ્રીએ જાહેર જનતા જોગ એક અપીલમાં એમ કહ્યું હતું કે, શહેરના જળાશયો એ જાહેર જનતાનાં સ્વાસ્થ્ય સાથે સીધીરીતે સંકળાયેલ સંવેદનશીલ સુવિધા છે. જળાશયો છે તો શહેરની સુખાકારી છે અને તો જ તેમાં વિકાસનો અવકાશ રહે છે. જળાશયોમાં સંગ્રહિત પાણી સૌ કોઈ માટે જીવાદોરી છે ત્યારે તેની શુધ્ધતા સાથે ખીલવાડ કરવો એ ગંભીર ગુન્હીત કૃત્ય છે. જે કોઈ લોકો આવી પ્રવૃત્ત્િ। કરતા હતા તેઓ હવેથી આવા કૃત્યથી દૂર રહે તે જાહેર જનતાનાં હિતમાં છે.

(3:57 pm IST)