Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

નરેન્દ્રભાઇ મોદીના ભવ્ય વિજય માટે બ્રહ્મ સમાજની પ૧ બહેનો દ્વારા કાલે ૧૧ કુંડી યજ્ઞ

સાંજે ભવ્ય આશીર્વાદ સંમેલનઃ ફિલ્મ અભિનેતા મનોજ જોષી, ભાગવતાચાર્ય અશોક ભટ્ટની ખાસ ઉપસ્થિતિ

રાજકોટ તા. ૧૯ :.. આગામી લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ફરીથી ભવ્ય વિજય પ્રાપ્ત કરે તેવા આશિર્વાદ મેળવવા રાજકોટના બ્રહ્મસમાજની પ૧ બહેનો દ્વારા આવતીકાલે ૧૧ કુંડી યજ્ઞનું આયોજન કરાયું છે.

આ અંગે 'અકિલા' કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે આવેલા બ્રહ્મ સમાજનાં બહેનોએ જણાવ્યું હતું કે, ભારતના વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર આદરણીય શ્રી નરેન્દ્રભાઇ મોદીનાં પાંચ વર્ષના કાર્યકાળમાં બહેનોને જે પ્રતિષ્ઠા સન્માન અને સગવળતા મળી છે એવી ઇતિહાસમાં કયારેય મળી નથી. નિઃશુલ્ક ગેસ કનેકશન, ઇલેકટ્રીક લાઇટ, શૌચાલય, નોકરીમાં સલામતી, ઉદ્યોગો અને લશ્કરમાં મહિલાઓની ભરતી વગેરે સુવિધાઓ આપી આજે સંરક્ષણ મંત્રી અને વિદેશ મંત્રી પણ બહેન છે. આ રીતે ખરા અર્થમાં સ્ત્રી સશકિતકરણ થયું છે. મુસ્લીમ બહેનોને પણ માનવ અધિકારનો સંપૂર્ણ લાભ મળે તેવા પ્રયત્ન કર્યા છે.

ત્યારે હવે ર૦૧૯ ની લોકસભાની ચૂંટણીમાં આ કર્મઠ અને રાષ્ટ્રભકત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી જંગી બહુમતીથી ભારતની શાસન ધુરા સંભાળે અને નવો ઇતિહાસ બનાવે તે માટે વિશ્વ કલ્યાણના હેતુથી 'બ્રહ્મ યજ્ઞ' નું આયોજન બ્રાહ્મણ સમાજની બહેનો દ્વારા કાલાવડ રોડ પર આવેલા આત્મીય કોલેજના પ્રાંગણમાં આવતી કાલે તા. ર૦ ને શનિવારના રોજ સાંજે પ કલાકે કરેલ છે.

બ્રહ્મ યજ્ઞમાં ૧૧ યજ્ઞ કુંડ રહેશે, દરેક યજ્ઞ કુંડ પર ચાર બહેનો યજમાન તરીકે આહુતી આપશે અને શાસ્ત્રી તેજસભાઇ પંડ્યા અને મનીષભાઇ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ ૧૧ ઋત્વીજો વેદોકત મંત્રોચ્ચારથી આ બ્રહ્મ યજ્ઞ મારફતે નરેન્દ્રભાઇ મોદીને વિશ્વ વિજયના આશીર્વચન આપશે.

આ બ્રહ્મ યજ્ઞને સફળ બનાવવા માટે બ્રહ્મ શકિતના સર્વે રૂપાબેન શીલુ, ધરાબેન વૈષ્ણવ, સુરભીબેન આચાર્ય, વંદનાબેન ભારદ્વાજ, લીનાબેન શુકલ, ભાવનાબેન જોશી, જાગૃતીબેન દવે, માધવીબેન ઉપાધ્યાય, ધાત્રીબેન બટ્ટ, રશ્મિબેન જાની, કાશ્મીરાબેન પાઠક, સોનલબેન ઠાકર, રીટાબેન લખલાણી, શોભનાબેન ભટ્ટ સહિતના બહેનો પ્રયત્નશીલ છે.

આ બ્રહ્મ યજ્ઞ પુરો થયે ૭ કલાકે આશીર્વાદ સંમેલન શરૂ થશે. જેના અધ્યક્ષસ્થાને ભાગવતાચાર્ય આદરણીયશ્રી અશોકભાઇ ભટ્ટ છે અને મુખ્ય વકતા તરીકે જાણીતા નાટયકાર અને હીન્દી ફીલ્મ અભિનેતા પદ્મશ્રી મનોજભાઇ જોશી સહીતના બ્રહ્મ અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહેશે. સમગ્ર આયોજનને સફળ બનાવવા અભયભાઇ ભારદ્વાજ, રામભાઇ મોકરીયા, કશ્યપભાઇ શુકલ, એન. ડી. શીલુસાહેબ, નલિન જોષી, તેજસ ત્રિવેદી, રાજુ દવે, શૈલેષ જાની વગેરે બ્રહ્મ શ્રેષ્ઠીઓ સહયોગી થઇ રહ્યા છે.

(3:43 pm IST)