Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

રાજકોટમાં ડોકટરો - મેડીકલ અને પેરા મેડિકલ સ્ટાફે કોરોનાનું કામ કરવું જ પડશે : ના પાડનાર સામે ગુન્હો નોંધાશે : કલેકટરનું જાહેરનામુ

તમામ પ્રકારની આરોગ્ય સેવાઓ અવિરત ચાલુ રાખવા તાકિદ : તમામ હોસ્પિટલો - ડોકટરો - નર્સીંગ સ્ટાફ - મેડિકલ સ્ટોરને નિયમ લાગુ : કામની ના પાડનાર સામે એપેડેમિક એકટની કલમ ૧૮૮ મુજબ ગુન્હો નોંધી કડક પગલા લેવાશે

રાજકોટ તા. ૧૮ : શહેરમાં કોરોના સંક્રમણ વધ્યું છે તેથી આરોગ્ય સેવાઓ અવિરત ચાલુ રહે તે માટે કલેકટર તંત્ર દ્વારા કડકમાં કડક કાર્યવાહી થઇ રહી છે જે અંતર્ગત ડોકટરો, મેડીકલ સ્ટાફ અને પેરામેડીકલ સ્ટાફ કોરોનાની કામગીરીમાં સેવા આપવાની ના નહી પાડી શકે તેવા મતલબનું જાહેરનામુ ઇન્ચાર્જ કલેકટર અનિલ રાણાવસીયાએ પ્રસિધ્ધ થર્યું છે.

આ જાહેરનામામાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, જો કોઇપણ ડોકટર, પેરામેડીકલ સ્ટાફ, નર્સીંગ સ્ટાફ કોરોના સંબંધી કામગીરીની ના પાડશે તો તેની સામે એપેડેમિક એકટની કલમ ૧૮૮ મુજબ ગુન્હો નોંધી અને કડકમાં કડક પગલા લેવાશે.

આ જાહેરનામામાં જણાવાયું છે કે, હાલમાં વિશ્વભરમાં નોવેલ કોરોના વાયરસની અસરોને પહોંચી વળવા તેમજ રોગ અટકાયત અને નિયંત્રણની કામગીરી કાયદાકીય રીતે ત્વરીત હાથ ધરી શકાય તે હેતુસર એપેડેમીક ડીસીઝ એકટ-૧૮૯૭ અન્વયે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગરના જાહેરનામાથી રાજ્યમાં ધ ગુજરાત એપેડેમીક રેગ્યુલેશન-૨૦૨૦ લાગુ કરવામાં આવેલ છે.

આથી કોરોના વાયરસનું સંક્રમણ વધી રહેલ હોય સરકારી હોસ્પિટલો, ડેઝીગ્નેટેડ હોસ્પિટલો તેમજ ખાનગી હોસ્પિટલોના બેડ પણ રિઝર્વ રાખવામાં આવેલ છે. જેથી કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા અને કોરોના પોઝીટીવ દર્દીઓને સરળતાથી અને ઉત્તમ સારવાર મળી રહે તે હેતુસર ઉકત વિગતેની હોસ્પિટલોમાં જરૂરીયાત મુજબ ડોકટર્સ, મેડીકલ સ્ટાફ, પેરા મેડીકલ સ્ટાફ તેમજ આરોગ્ય સાથે સંકળાયેલ સ્ટાફની જરૂરીયાત રહે છે.  જેથી હું, અનિલ રાણાવસીયા (આઇએએસ), કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ, રાજકોટ જિલ્લા, રાજકોટ, ગુજરાત એપીડેમીક ડીસીઝ એકટ-૧૮૯૭ તથા ગુજરાત એપીડેમીક ડીસીઝ કોવિડ-૧૯ રેગ્યુલેશન્સ, ૨૦૨૦ની કલમ-૨(૨)  તેમજ ૧૩ તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ, ૨૦૦૫ની કલમ-૩૪થી મળેલ અધિકારની રૂએ રાજકોટ શહેર સહિત રાજકોટ જિલ્લાના સમગ્ર વિસ્તારના તમામ ડોકટર્સ, મેડીકલ સ્ટાફ, પેરા મેડીકલ સ્ટાફ તેમજ આરોગ્ય સેવાઓ સાથે સંકળાયેલ કોઇપણ સ્ટાફ કોરોના વાયરસ કોવિડ-૧૯ને સંલગ્ન સેવાઓ આપવાનો ઇન્કાર કરી શકશે નહીં.

આ હુકમનો ભંગ કરનાર વ્યકિત ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ-૨૦૦૫ તેમજ એપીડેમીક ડીસીઝ એકટ-૧૮૯૭ની જોગવાઇઓ મુજબ શીક્ષાને પાત્ર થશે.

આ હુકમનો ભંગ કરનાર વ્યકિત ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ-૨૦૦૫ તેમજ એપીડેમીક ડીસીઝ એકટ-૧૮૯૭ની જોગવાઇઓ મુજબ શીક્ષાને પાત્ર થશે.

આ જાહેરનામાની બજવણી કરવી વ્યકિતગત રીતે શકય ન હોય એકતરફી હુકમ કરવામાં આવે છે તથા આ હુકમની જાહેરાત વર્તમાન પત્રોમાં, અખબારી યાદી રૂપે આપી તથા રેડીયો, ટેલીવિઝન, કેબલ ટીવી નેટવર્ક તથા લોકો એકત્રીત થતા હોય તેવી કચેરીઓમાં નોટીસ બોર્ડ ઉપર ચોટાડીને તથા રાજ્ય સરકારના ગેઝેટમાં પ્રસિધ્ધ કરીને કરવાની રહેશે.

(3:47 pm IST)