Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા કાલે રાજકોટમાં : 'જન આશિર્વાદ યાત્રા'નો કરશે પ્રારંભ

જન આશિર્વાદ યાત્રાના સમગ્ર રૂટ પર શહેર ભાજપના તમામ વોર્ડ, સેલ અને મોરચાના અગ્રણીઓ, વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ ઉપસ્થિત રહી સ્વાગત સહિતની જવાબદારી સંભાળશે : માહિતી આપતા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી : શહેરના ૨૦ વિવિધ રૂટ પર યાત્રાનું ફૂલોની પાંખડીથી સ્વાગત કરાશે : દેશભકિતના ગીતોથી વાતાવરણ ગુંજશે તેમજ બાળાઓ દ્વારા રાસની રમઝટ મચાવાશે : સંતો-મહંતો આશિર્વચન પાઠવશે તેમજ વિવિધ કલાકારો પોતાની કલા પીરસશે : જન આશિર્વાદ યાત્રાના સમગ્ર રૂટ પર કેસરીયો માહોલ છવાશે : અંજલીબેન રૂપાણી - બીનાબેન આચાર્ય : આઝાદીનો અમૃત મહોત્સવ 'જન આશિર્વાદ યાત્રા'ના માધ્યમથી જનાદેશ બની રહેશે : ધનસુખ ભંડેરી - નિતીન ભારદ્વાજ

રાજકોટ તા. ૧૮ : શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરની સંયુકત યાદીમાં જણાવાયેલ છે કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સરકારમાં નવનિયુકત મંત્રીશ્રીઓ સૌરાષ્ટ્ર– ગુજરાતમાં 'જન આશિર્વાદ યાત્રા' થકી ભારતના ભવ્ય વિકાસની આછેરી ઝલક જન–જન સુધી સુધી પહોંચાડવા પ્રવાસ કરી રહયા છે ત્યારે રાજકોટ મહાનગર ખાતે 'જન આશિર્વાદ યાત્રા'માં  તા.૧૯ ના એરપોર્ટ ખાતે કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયાના આગમન સાથે  એરપોર્ટથી પ્રારંભ થશે અને શહેર ભાજપ દ્વારા આ યાત્રાનું બેન્ડ,ફુગ્ગા, બાળાઓના રાસ, ઢોલ, શરણાઈ, ડી.જે.ની રમઝટ, ફુલોની પાંખડીથી આ યાત્રાનું શાનદાર સ્વાગત થશે ત્યારબાદ  રેેસકોર્ષ, કીસાનપરા  ચોક, મહિલા કોલેજ ચોક, એસ્ટ્રોન ચોક, વિરાણી ચોક, ભકિતનગર સ્ટેશન પ્લોટ, બોમ્બેહોટલ, લોધાવાડ ચોક, કેનાલ રોડ, ગુંદાવાડી, જિલ્લા ગાર્ડન ચોક, પ્રજાપતીની વાડી, ચુનારાવાડ ચોક, પટેલ વાડી, પેડક રોડ, બાલક હનુમાન, ત્રીવેણી મેઈન રોડ, રીંગરોડ થઈ સમાપન થશે ત્યારે યાત્રાના સમગ્ર રૂટ પર કેસરીયો માહોલ સર્જાશે અને વિવિધ સમાજના લોકો પરંપરાગત પહેરવેશમાં યાત્રાનું ભવ્ય સન્માન કરશે અને 'જન આશિર્વાદ યાત્રા'ને સત્કારવા જનસમુદાય સ્વયંભુ ઉમટી પડશે.  ત્યારે વિવિધ રૂટ પર યાત્રાનું ફુલોની પાંખડીથી સ્વાગત કરાશે, બાળાઓ દ્વારા રાસની રમઝટ મચાવાશે, સંતો–મહંતો આર્શિવચન પાઠવશે તેમજ વિવિધ કલાકારો પોતાની કલા પીરસશે. સમગ્ર રૂટ પર ભાજપના પાંચ હજારથી વધુ ઝંડા અને વીસ હજારથી વધુ ઝંડી લગાવી કેસરીયો માહોલ છવાશે.ત્યારે વિવિધ આગેવાનોને સભા, ઓડીટોરીયમ સોશ્યલ ડીસ્ટન્સ, સમાજ બેઠક વ્યવસ્થા, ડોકટર બેઠક વ્યવસ્થા, રૂટ સુશોભન, રૂટ પર બેનર હોડીંગ્સ, રૂટ પર સ્વાગત, વાહન વ્યવસ્થા અંતગર્ત જવાબદારીની સોંપણી કરાઈ છે. ત્યારે આ 'જન આશિર્વાદ યાત્રા' ખરા અર્થમાં જનમાનસના માનસપટ પર અંકિત થાય તે માટે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ આ યાત્રાને શાનદાર રીતે સત્કારવા માટે શહેર ભાજપ દ્વારા તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઈ  રહયો છે.  ત્યારે આ જન આશિર્વાદ યાત્રામાં પ્રદેશ ભાજપ અગ્રણી અને યાત્રાના ઈન્ચાર્જ મહેન્દ્રસિંહ સરવૈયા, સહઈન્ચાર્જ  ઝવેરીભાઈ ઠકરાર, મહેશભાઈ કસવાલા ના માર્ગદર્શન હેઠળ વિવિધ અગ્રણીઓ જવાબદારી સંભાળી રહયા છે.

ત્યારે વધુમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરે જણાવેલ કે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતે વિકાસના નવા સીમા ચિન્હો પ્રસ્થાપિત કરી સ્વરાજયથી સુરાજયના સંકલ્પ સાથે ઉતમથી સર્વોતમ બનવા પરીશ્રમની પરાકાષ્ઠા સર્જી છે ત્યારે  આ 'જન આશિર્વાદ યાત્રા'મા માઘ્યમથી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને જન–જન ના આશિર્વાદ પ્રાપ્ત થાય અને નરેન્દ્રભાઈ મોદીનું  ભારતને  વિશ્વગુરૂ બનાવવાનું સપનુ સાકાર થાય એ માટે પ્રાર્થના કરશે. ત્યારે આ 'જન આશિર્વાદ યાત્રા'ને સફળ અને યાદગાર બનાવવા ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારઘ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, સાંસદ મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, ધારાસભ્ય ગોવીંદભાઈ પટેલ, અરવીંદ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, મહીલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, પ્રદેશ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદય કાનગડ, શહેરના મેયર ડો. પ્રદિપ ડવ, શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કીશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, રક્ષાબેન બોળીયા, કશ્યપ શુકલ   સહીતના અગ્રણીઓના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપના તમામ શ્રેણીના કાર્યકર્તાઓ દિવસ–રાત એક કરીને પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી રહયા છે.

ત્યારે આ અંગે વધુ માહિતી આપતા કમલેશ મિરાણીએ જણાવેલ કે તા.૧૯ના ગુરૂવારના રોજ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાની 'જન આશિર્વાદ યાત્રા' એરપોર્ટથી પ્રારંભ થશે ત્યારે એરપોર્ટ ખાતે સ્ટેજ, ફુલની પાંખડી અને દેશભકિતના ગીતોથી તેનુ ભવ્ય સ્વાગત થશે ત્યારે એરપોર્ટ સામેના ગેઈટ ખાતે  ફુલોની પાંખડીથી સ્વાગત થશે અને સ્પોર્ટસના ખેલાડીઓ ઉપસ્થિત રહેશે,  અને વોર્ડ–૧, વોર્ડ–ર તથા શહેર ભાજપ રમતગમત સેલ જવાબદારી સંભાળશે, ત્યારબાદ કીસાનપરા ચોક ખાતે ગરબી મંડળની બાળાઓ દ્વારા રાસની રમઝટ બોલાવાશે, ફુલોની પાંખડી થી સ્વાગત થશે  અને વોર્ડ–૩ તથા વોર્ડ–૭ જવાબદારી સંભાળશે, ત્યારબાદ મહિલા કોલેજ ચોક ખાતે સાંસ્કૃતીક સેલ, આર્થિક સેલ, વોર્ડ–૮ અને વોર્ડ–૯ જવાબદારી સંભાળશે અને નામાંકિત કલાકારો પોતાની કલા પીરસશે.

ત્યારબાદ એસ્ટ્રોન ચોક ખાતે સી.એ. સેલ તથા શહેર યુવા ભાજપ જવાબદારી સંભાળશે, ત્યારબાદ વિરાણી ચોક ખાતે ડોકટર સેલ, વેપાર સેલ તથા વોર્ડ–૧૦ જવાબદારી સંભાળશે, ત્યારબાદ ભકિતનગર સ્ટેશન પ્લોટ ખાતે બક્ષીપંચ મોરચો, વ્યવસાયીક સેલ તથા વોર્ડ–૧૩ ના અગ્રણીઓ ઉપસ્થિત રહી જવાબદારી સંભાળશે, ત્યારબાદ સત્યવિજય આઈસ્ક્રીમ ખાતે સાધુ–સંતો ઉપસ્થિત રહી આ જન આશિર્વાદ યાત્રાને આર્શિવચન પાઠવશે અને સહકારીતા સેલ અને વોર્ડ–૧૧ જવાબદારી સંભાળશે, ત્યારબાદ બોમ્બે હોટલ ખાતે શિક્ષણ સેલ અને વોર્ડ–૧ર જવાબદારી સંભાળશે, ત્યારબાદ લોધાવાડ ચોક ખાતે લીગલ સેલ અને બૌઘ્ધિક સેલ જવાબદારી સંભાળશે, ત્યારબાદ ભુતખાના ચોક ખાતે સફાઈ કામદાર સેલ અને વોર્ડ–૧૭ જવાબદારી સંભાળશે, ગુંદાવાડી ખાતે ગૌ સંવર્ધન સેલ અને વોર્ડ–૧૪ ના આગેવાનો જવાબદારી સંભાળશે, ત્યારબાદ જિલ્લા ગાર્ડન ચોક ખાતે શહેર ભાજપ લઘુમતી મોરચો તેમજ વોર્ડ–૧૬ અને વોર્ડ–૧૮ના અગ્રણીઓ જવાબદારી સંભાળશે, ચુનારાવાડ ચોક ખાતે માલધારી સેલ, શહેર ભાજપ અનુ.જાતી મોરચો અને વોર્ડ–૧પ જવાબદારી સંભાળશે, ભાવનગર રોડ શાળા નં.૧૩ સામે જયસિયારામ ગ્રુપ જવાબદારી સંભાળશે, પટેલ વાડી ખાતે ઈમીટેશન માર્કેટ અને વોર્ડ–૬ સન્માનની જવાબદારી સંભાળશે, ત્યારબાદ બાલક હનુમાન ખાતે ભાષાભાષી સેલ, વોર્ડ–૪, વોર્ડ–પ અને સીલ્વર એશોશીએશન સ્વાગતની જવાબદારી  સંભાળશે, ત્યારબાદ ઓડીટોરીયમ ખાતે પુરૂષાર્થ યુવક મંડળ, શાળા સંચાલકો, રાજપુત કરણી સેનાના અગ્રણીઓ સ્વાગતની જવાબદારી સંભાળશે. ત્યારબાદ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા અટલબીહારી બાજપાઈ ઓડીટોરીયમ ખાતે કાર્યકર્તા સંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે, ત્યારબાદ પંડીત દીનદયાલ કોમ્યુનીટી હોલ ખાતે પટેલ સમાજની બેઠક માં ઉપસ્થિત રહેશે, ત્યારબાદ અટલ બીહારી બાજપાઈ ઓડીટોરીયમ ખાતે ડોકટરો સાથેની બેઠકમાં ઉપસ્થિત રહેશે. અને ત્યારબાદ ગોંડલ ચોકડી રવાના થઈ  જન આશિર્વાદ યાત્રા ખોડલધામ તરફ પ્રસ્થાન કરશે. એમ અંતમાં વિગતો આપતા કમલેશ મિરાણી, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરે જણાવ્યું હતું.

(3:56 pm IST)