Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

બે મહિનાથી ગાયબ પોૈત્રીને શોધવા ભટકતા સમજુડોસીની અંતે ફરિયાદ નોંધાઇઃ જયરાજ ગોહેલ સામે અપહરણનો ગુનો

૨૩/૮ના પોૈત્રી પાર્લરમાં જવાનું કહીને નીકળ્યા બાદ ગાયબ થઇ હતીઃ આજીડેમ પોલીસની તપાસમાં વાળંદ શખ્સ ભગાડી ગયાનું સામે આવતાં એફઆઇઆર દાખલ કરવામાં આવી

રાજકોટ તા. ૧૭:  કોઠારીયા રોડ પર આશાપુરાનગરમાં રહેતાં ૬૫ વર્ષના સમજુડોશી (સમજુબેન) સવશીભાઇ રંગપરા (કોળી)ની ૧૭ વર્ષ ૧૦ માસની વય ધરાવતી દિકરી સિધ્ધી તા. ૨૩/૮/૧૯ના રોજ ગૂમ થઇ હોવા અંગે તેમણે અનેક વખત રજૂઆતો કરી હોવા છતાં તપાસ ન થયાની લાગણી સાથે ગયા અઠવાડીએ ફરીથી તેમણે સજળ નયને રજૂઆત કરી હતી. અંતે પોલીસે તેમની ફરિયાદ પરથી તપાસ કરતાં તેમની પોૈત્રીને જયરાજ ઉર્ફ જયુ અશોકભાઇ ગોહેલ નામનો શખ્સ ભગાડી ગયાનું સામે આવતાં આઇપીસી ૩૬૩, ૩૬૬ મુજબ સમજુબેનની ફરિયાદ પરથી અપહરણનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

પોૈત્રી ગૂમ થયાની બે મહિના પહેલા પોલીસમાં રજૂઆત કરી હોવા છતાં અને એ પછી વારંવાર પોલીસ મથકના ધક્કા ખાવા છતાં કોઇ કાર્યવાહી નહિ થઇ રહ્યાનો વલોપાત સમજુબેને વ્યકત કર્યો હતો. અંતે આજીડેમ પોલીસે તેમની ફરિયાદ પરથી પોલીસે જયરાજ ઉર્ફ જયુ ગોહેલ સામે ગુનો નોંધ્યો છે. સમજુબેને ફરિયાદમાં જણાવ્યું છે કે ૨૮/૮ના રોજ જન્માષ્ટમીના તહેવારમાં મારી પોૈત્રી સિધ્ધી કે જેના માતા-પિતા હયાત નથી તે આજીડેમ ચોકડીએ રહેતી બહેનપણીની સગાઇ હોઇ તેની સાથે પાર્લરમાં જવાનું કહીને નીકળી હતી. પરંતુ સાંજ સુધી પાછી ન આવતાં તેની બહેનપણી કોમલના ઘરે તપાસ કરતાં તેણીએ સિધ્ધી કોઇ જયુ વાળંદ નામના છોકરા સાથે પોતાની ઘરે આવ્યાનું અને એ પછી તે જતી રહ્યાની વાત કરી હતી. સગા સંબંધીઓને ત્યાં તપાસ કરવા છતાં તેણીનો પત્તો મળ્યો ન હોઇ ઘરમેળે તપાસ કરતાં ખબર પડી હતી કે આશાપુરાનગરમાં બાજુની શેરીમાં રહેતો જયરાજ ઉર્ફ જયુ ગોહેલ તેણીને લલચાવી ફોસલાવી લગ્નના ઇરાદે ભગાડી ગયો છે. પોૈત્રીનો આજ સુધી પત્તો ન હોઇ અંતે ફરિયાદ નોંધાવી છે. પીએસઆઇ જી.એન. વાઘેલાએ આ અંગે તપાસ શરૂ કરી છે. સમજુમાડીએ પોતાની પોૈત્રી સિધ્ધી કોઇને જોવા મળે તો પોલીસને અથવા મો. ૯૬૩૮૪ ૯૭૫૧૦, ૯૦૫૪૬ ૦૩૪૩૪  ઉપર જાણ કરવા વિનંતી કરી છે.

(1:21 pm IST)