Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

અમદાવાદના વેપારીના અપહરણ-ખંડણીની ટીપ ભાવનગરના સાજીદે આપી'તીઃ રાજકોટનો રમીઝ ૩ દિ'ના રીમાન્ડ પર

મુખ્ય સૂત્રધાર વસીમ ઈકબાલ કથીરી તથા અન્ય ૪ શખ્સોની જસદણ પોલીસ દ્વારા શોધખોળ

રાજકોટ, તા. ૧૭ :. ભાવનગરના ખોજા વેપારીનું અમદાવાદમાંથી અપહરણ કરી ખંડણી માંગવાના ગુન્હામાં પકડાયેલ રાજકોટના રમીઝ સેતાને કોર્ટે ૩ દિ'ના રીમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે. બીજી બાજુ અપહરણ અને ખંડણી પ્રકરણના મુખ્ય સૂત્રધાર વસીમ કથીરી સહિત પાંચ શખ્સોની જસદણ પોલીસે શોધખોળ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ જસદણના પીએસઆઈ ધર્મેન્દ્રસિંહ પી. ઝાલા તથા સ્ટાફ પ્રોહી. ડ્રાઈવ અન્વયે પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ખાનગીરાહે હકીકત મળેલ કે જસદણના પાંચ ટોબરા તરીકે ઓળખાતા ડુંગર વિસ્તારમાં નિશાન ટેરેના એલએકસ કાર નં. જીજે ૧૮ બી ડી ૨૦૪૭માં શંકાસ્પદ હીલચાલ થતી હોવાની બાતમી મળતા પીએસઆઈ ડી.પી. ઝાલા તથા કોન્સ્ટેબલ અમિતભાઈ અને હેડ કોન્સ. રાજાભાઈ વકાતર સહિતનો કાફલો ત્યાં ધસી જતા નાસભાગ મચી ગઈ હતી. પોલીસે દોટ મુકી રમીઝ સલીમભાઈ સેતા (સંધી) રહે. જંગલેશ્વર-રાજકોટને પકડી પાડી તેની તલાસી લેતા તેની પાસેથી ગેરકાયદેસર લાયસન્સ વિનાની પિસ્તોલ તથા જીવતા ચાર કાર્ટિસ મળી આવતા તેને દબોચી લેવાયો હતો. જ્યારે તેની સાથેના અન્ય ચાર શખ્સો અકરમ નારેજા રહે. રાજકોટ, સાજીદ સૈયદ રહે. ભાવનગર, સિકંદર ઉર્ફે બાપુ રહે. જૂનાગઢ તથા ફેઝલ ઉર્ફે પાવલી હુસેનભાઈ પરમાર રહે. જસદણ નામના શખ્સો નાસી છૂટયા હતા.

દરમિયાન જસદણના પીએસઆઈ ડી.પી. ઝાલા તથા સ્ટાફે ઘટના સ્થળે જાળીમાં સંતાઈ બેઠેલા એક શખ્સ પાસે જઈ તેનુ નામ પૂછતા પોતાનુ નામ અલ્તાફહુસેન માસુમઅલી નાથાણી (ખોજા) રહે. દેવબાગ ઈલહરબાગ સોસાયટી પ્લોટ નં. ૨ નિલમબાગ સર્કલથી આગળ ભાવનગર હોવાનું અને નાસી છૂટેલ ઉકત ચારેય શખ્સોએ પોતાનુ ખંડણીના ઈરાદે અમદાવાદમાંથી અપહરણ કર્યાની પોલીસને કબુલાત આપી હતી.

પકડાયેલ રાજકોટના રમીઝની પોલીસે પૂછતાછ કરતા તેણે એવી કેફીયત આપી હતી કે આજથી બે દિવસ પૂર્વે હું તથા અકરમ નારેજા રહે. રાજકોટ, સાજીદ સૈયદ રહે. ભાવનગર, સિકંદર ઉર્ફે બાપુ રહે. જૂનાગઢ તથા ફેઝલ ઉર્ફે પાવલી રહે. જસદણ વસીમ ઈકબાલ કથીરી રહે. જસદણના કહેવાથી જસદણ ખાતે તેના ઘરે ભેગા થયા હતા અને ભાવનગરના વેપારી અલ્તાફહુસેન નાથાણીનુ અપહરણ કરી તેની પાસેથી ખંડણી ઉઘરાવવાનું કાવત્રુ ઘડેલ હતું. પૂર્વયોજીત કાવત્રા મુજબ ભાવનગરના વેપારીનુ અપહરણ કરી જસદણ લાવી ખંડણી મંગાતી હતી ત્યારે જ પોલીસ ત્રાટકતા અપહરણ અને ખંડણી કાવત્રાનો પર્દાફાશ થયો હતો.

દરમિયાન અપહરણ-ખંડણી પ્રકરણમાં સામેલ અને પિસ્તોલ સાથે પકડાયેલ રમીઝ સલીમભાઈ સેતા રહે. જંગલેશ્વર-રાજકોટને રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરાતા કોર્ટે ૩ દિ'ના રીમાન્ડ પર સોંપવા હુકમ કર્યો હતો. પોલીસ તપાસમાં ભાવનગરના વેપારીના અપહરણ અને ખંડણીની ટીપ ભાવનગરના સાજીદ સૈયદે આપી હતી અને અપહરણ અને કાવત્રાનો પ્લાન જસદણના નામચીન વસીમ ઈકબાલ કથીરીએ ઘડયો હતો. મુખ્ય સૂત્રધાર વસીમ પણ અગાઉ ખંડણી અને ફાયરીંગ સહિતના ગુન્હામાં પોલીસે ચોપડે ચડી ચૂકયો છે. નાસી છૂટેલ ભાવનગરનો સાજીદ સૈયદ, જૂનાગઢનો સિકંદર ઉર્ફે બાપુ તથા જસદણનો ફૈઝલ ઉર્ફે પાવલીહુસેન પરમાર તથા રાજકોટનો અકરમ નારેજા અને પકડાયેલ રમીઝ તેના સાગરીતો છે.

જસદણ પોલીસે મુખ્ય સૂત્રધાર વસીમ કથીરી અને તેના ચારેય સાગરીતોની શોધખોળ હાથ ધરી છે.

(11:24 am IST)