Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

ભાવનગર રોડ પર ભંગાર થઇ ગયેલી કારમાંથી રાજૂની ફુલાયેલી લાશ મળી

યુવાન આ વિસ્તારમાં જ રખડતું જીવન જીવતો હતોઃ બે દિવસ પહેલા બિમારીથી મૃત્યુ થયા બાદ વરસાદને કારણે લાશ ફુલાઇ ગયાનું તારણ

રાજકોટ તા. ૧૭: ભાવનગર રોડ પર કબાડી બજાર પાસે ભંગાર થઇ ગયેલી વેગનઆર કારમાંથી યુવાનની ફુલાયેલી દૂર્ગંધ મારતી લાશ મળી આવતાં લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં. તપાસ થતાં આ યુવાન આ વિસ્તારમાં જ રખડતો ભટકતો રહેતો અને એકલવાયુ જીવન જીવતો રાજુભાઇ રામજીભાઇ દેથરીયા (ઉ.વ.૩૫) હોવાનું ખુલ્યું હતું.

ગત સાંજે ભંગાર બજારમાં પડેલી જુની ખખડધજ વેગનઆર કારમાંથી દૂર્ગંધ આવતાં લોકોએ તપાસ કરતાં અંદર લાશ પડી હોઇ પોલીસને જાણ કરવામાં આવી હતી. કન્ટ્રોલ રૂમના ઇન્ચાર્જ ઉપેન્દ્રસિંહ ઝાલા મારફત કોલ મળતાં થોરાળાના પીએસઆઇ એચ. બી. વડાવીયા સહિતે ત્યાં પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો.

પીએસઆઇ વડાવીયાના કહેવા મુજબ મૃત્યુ પામનાર રાજૂભાઇ દેથરીયા આ વિસ્તારમાં જ એકલવાયુ જીવન જીવતો હતો અને ગમે તે ભંગારના ડેલાવાળાઓની મદદથી ખાઇ પી અહિ જ ભંગારની ગાડીઓમાં સુઇ રહેતો હતો. તેને અગાઉ પગમાં સડો થયો હોઇ હાલમાં બિમાર પણ હતો. આશરે બે દિવસ પહેલા તે કારમાં સુતા સુતા જ મૃત્યુ પામ્યો હોઇ શકે અને એ પછી વરસાદ પડ્યો હોઇ લાશ બે દિવસ પડી રહેવાથી કોહવાઇ ગયાનું અનુમાન છે. મોતનું ચોક્કસ કારણ જાણવા ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવાયું છે.

(1:03 pm IST)