Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

ચોમાસામાં ખાડાઓની તાકિદે મરામત કરાશેઃ આનંદ પટેલ

પ્રિ-મોન્‍સુન કામગીરીની ‘છત્રી' ખોલતા કમિશનર : ઝોનવાઇઝ ક્‍વિક રિસ્‍પોન્‍સ (ખાસ) ટીમ બનાવાશેઃ વરસાદ પૂર્વેની તૈયારીઃ વિવિધ મુદ્દાઓ પર અધિકારીઓ સાથે બેઠક યોજી જરૂરી સુચના આપતા મ્‍યુનિ. કમિશનર

રાજકોટ,તા. ૧૭:  મહાનગરપાલિકા દ્વારા વર્ષાઋતુ - ૨૦૨૪ અનુસંધાને આપત્તિ સામેની બચાવ અને રાહત કામગીરીની વ્‍યવસ્‍થા માટે આગોતરી તૈયારી કરવાના ભાગરૂપે મ્‍યુનિ. કમિશનર શ્રી આનંદ પટેલના અધ્‍યક્ષ સ્‍થાને એક મહત્‍વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં જુદીજુદી શાખાઓના અધિકારીશ્રીઓને સુપરત થયેલી કામગીરી કરવા અંગે કમિશનરશ્રીએ જરૂરી સૂચનાઓ આપી હતી.

આ તકે એ ખાસ ઉલ્લેખ કરવો રહ્યો કે, વર્તમાન વર્ષમાં સ્‍વચ્‍છ ભારત મિશન અનુસંધાને મહાનગરપાલિકા દ્વારા છેલ્લા બે સપ્તાહથી વોંકળાઓની સફાઈ પર વિશેષ ભાર મુકવામાં આવેલ છે. અહીં એ પણ નોંધવું રહ્યું કે, જે વોંકળાઓ પાસેથી રસ્‍તા પસાર થતા હોય તેવા વોંકળાઓને પતરાઓની આડશ પણ કરવામાં આવેલ છે, જેનાથી લોકો કચરો સીધો જ વોંકળામાં નાંખતા અટક્‍યા છે. મ્‍યુનિ. કમિશનર આનંદ પટેલે વોંકળાઓમાં જો હજુ પણ ક્‍યાંય કચરો કે સી. એન્‍ડ ડી. વેસ્‍ટ પડેલો દેખાય તો તેનો તુર્ત જ નિકાલ કરવા અને પાણીના પ્રવાહને કોઈ અવરોધ ન નડે તે સુનિતિ કરવા સંબંધિત અધિકારીઓને સમયાંતરે વોંકળાઓની મુલાકાત લેતા રહી જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી.

મ્‍યુનિ કમિશનરએ આ વખતે એક વિશેષ પગલું ઉઠાવતા, ચોમાસાને કારણે રસ્‍તાઓ પર પડતા ખાડાઓની તાત્‍કાલિક મરામત થાય તે માટે ઝોનવાઈઝ ક્‍વિક રિસ્‍પોન્‍સ ટીમ રચવા પણ આદેશ કર્યો છે. આ ઉપરાંત ડ્રેનેજ કે ખુલ્લી ગટરની સફાઈ કામગીરી દરમ્‍યાન જાહેર સલામતી ખાતર, રસ્‍તા પર કામ ચાલુ છે તેની જાણકારી લોકોને મળી રહે તે માટે વર્ક ઇન પ્રોગ્રેસ'ના બોર્ડ ગટરના ઢાંકણાં પાસે કે ખુલ્લી ગટર પાસે અચૂક રાખવા સૂચના પણ આપી હતી. ઉપરાંત જે સ્‍થળોએ વરસાદી પાણી વિશેષ પ્રમાણમાં ભરાતા હોય ત્‍યાં પાણીનો ઝડપી નિકાલ થાય તે માટે જરૂરી સાધનો હાથવગા રાખવા પણ અધિકારીશ્રીઓને ખાસ સૂચના અપાઈ હતી.

ચોમાસા પૂર્વે શહેરમાં જર્જરિત મકાનો અનુસંધાને સંબંધિત મકાન માલિકને મકાન ખાલી કરવા કે તોડવા પૈકી જે કામની આવશ્‍યકતા હોય તે અંગે નોટિસ પાઠવવા કમિશનરશ્રીએ ખાસ સૂચના આપી હતી.

ભારે વરસાદ દરમ્‍યાન નીચાણવાળા વિસ્‍તારોમાંથી લોકોનું સલામત સ્‍થળે સ્‍થળાંતર કરવા અને તેઓ માટે ફૂડ પેકેટ્‍સની વ્‍યવસ્‍થા પણ થાય તે માટે અત્‍યારથી જ જરૂરી સંકલન કરી રાખવા અને જે સ્‍થળે લોકોનું સ્‍થળાંતર સરળતાથી કરી શકાય તેવી શાળાઓ અત્‍યારથી જ આઇડેન્‍ટિફાય કરી લઇ ત્‍યાં જરૂરી સેવા અને સુવિધાઓ ઉપલબ્‍ધ બની રહે તે સુનિશ્ચિત કરવા સંબંધિત અધિકારીશ્રીઓને સૂચના આપવામાં આવી હતી.

આ બેઠકમાં નાયબ કમિશનર સ્‍વપ્‍નિલ ખરે, ચેતન નંદાણી અને બી. વી. લીંબાસિયા ઉપરાંત ચીફ ફાયર ઓફિસર  આઈ. વી. ખેર, તમામ સિટી એન્‍જિનિયરશ્રીઓ, સહાયક કમિશનર, તથા અન્‍ય સંબંધિત શાખાધિકારીઓ હાજર રહ્યા હતા.

(3:10 pm IST)