Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

ભાડાના મકાનમાં જીવ મુંજાતો હતો...લેઉવા પટેલ મહેન્દ્રભાઇએ ઝેર પી મોત મેળવી લીધું

અમદાવાદ ગયેલા પત્નિ મોડી રાત્રે પરત આવ્યા ત્યારે પતિએ દરવાજો ન ખોલતાં બહેનપણીના ઘરે સુઇ ગયાઃ સવારે આવીને જોતાં પતિની લાશ મળીઃ મહેન્દ્રભાઇ ડ્રાયફ્રુટનો વેપાર કરતા'તા

રાજકોટ તા. ૧૭: મોરબી રોડ પર વાલ્મિકી સોસાયટી-૨માં મુરલીધર સ્કૂલ વાળી શેરીમાં રહેતાં અને ડ્રાયફ્રૂટનો વેપાર કરતાં લેઉવા પટેલ મહેન્દ્રભાઇ નરસીભાઇ લુણાગરીયા (ઉ.૪૩)એ ભાડાના મકાનમાં જીવ મુંજાતો હોવાથી કંટાળીને ઝેર પી આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

આપઘાતના બનાવની જાણ થતાં બી-ડિવીઝનના હેડકોન્સ. વિજયગીરીએ ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો. પોલીસે જણાવ્યા મુજબ આપઘાત કરનાર મહેન્દ્રભાઇ ત્રણ ભાઇમાં વચેટ હતાં અને ગોંડલ રોડ બોમ્બે હોટેલ પાસે નેશનલ ટ્રેડર્સ નામે ડ્રાયફ્રુટનો વેપાર કરતાં હતાં. મહેન્દ્રભાઇ જ્યાં રહેતાં હતાં તે મકાન થોડા દિવસ પહેલા જ ભાડેથી રાખ્યું હતું. આ મકાનમાં તેનો જીવ મુંજાઇ રહ્યાની અને બીજે રહેવા જવાની વાત બે-ત્રણ દિવસથી તે તેના પત્નિ મીનાબેનને કરતાં હતાં.

ગઇકાલે મીનાબેન કાર લીધી હોઇ તેના કાગળોના કામ સબબ બપોરે અમદાવાદ ગયા હતાં. રાત્રે એકાદ વાગ્યે તે પરત આવ્યા ત્યારે પતિએ દરવાજો ન ખોલતાં તે સુઇ ગયાનું સમજી પોતે પેડક રોડ પર બહેનપણીના ઘરે સુવા જતાં રહ્યા હતાં. આજે સવારે પરત ઘરે આવ્યા ત્યારે પણ દરવાજો બંધ હોઇ પોતાના ભાઇને બોલાવતાં તેણે ડેલી ઠેકીને અંદર જઇ જોતાં રૂમના દરવાજા ખુલ્લા જોવા મળ્યા હતાં અને પતિએ ઝેર પી લીધાની ખબર પડી હતી. બાજુમાંથી ઝેરની ખાલી શીશી પણ મળી હતી. ભાડાના ઘરમાં જીવ મુંજાતો હોવાથી જ આ પગલુ ભરી લીધાનું હાલ પોલીસની તપાસમાં ખુલ્યુ છે. આપઘાત કરનાર મહેન્દ્રભાઇને સંતાન નથી. બનાવથી પરિવારજનોમાં શોક વ્યાપી ગયો હતો.

(4:24 pm IST)