Gujarati News

Gujarati News

News of Wednesday, 16th November 2022

ભાજપમાં સામાન્‍ય કાર્યકર નેતા બની શકે છેઃ ગોવિંદભાઈ

રાજકોટ વિધાનસભા-૭૦ ભાજપ કાર્યાલયનો ગોવિંદભાઈ પટેલના હસ્‍તે પ્રારંભ:ભાજપે કરેલા વિકાસના કાર્યોના સંદેશો કાર્યકરો લોકો સુધી પહોંચાડેઃ ડો.ભરતભાઈ બોઘરા

રાજકોટઃ રાજકોટ વિધાનસભા દક્ષિણ બેઠક-૭૦ ભાજપના ઉમેદવાર રમેશભાઈ ટીલાળાના ચૂંટણીના મધ્‍યસ્‍થ કાર્યાલયનું ઉદ્‌ઘાટન ધારાસભ્‍યશ્રી ગોવિંદભાઈ પટેલના હસ્‍તે અને અન્‍ય મહાનુભાવોની હાજરીમાં કરવામાં આવ્‍યું હતું. રાજકોટ વિધાનસભા-૭૦ ભાજપ મધ્‍યસ્‍થ કાર્યાલયનો ધારાસભ્‍ય ગોવિંદભાઈ પટેલે આરંભ કરાવતા જણાવ્‍યું હતું કે, રાજકોટ દક્ષિણના મતદારો હંમેશા ભાજપની સાથે રહ્યા છે અને પ્રજાના પ્રતિનિધિઓને ચૂંટી કાઢયા છે. ભાજપએ પાર્ટી કાર્યકર આધારિત પાર્ટી છે. ભાજપમાં સામાન્‍ય કાર્યકર નેતા બની શકે છે. ભાજપમાં સંગઠન અને સરકારમાં જુદી-જુદી વ્‍યકિતઓને સ્‍થાન આપવામાં આવે છે. પાર્ટી દ્વારા વિધાનસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર રમેશભાઈ ટીલાળાને પસંદગી કરવામાં આવેલી છે. મારા સમય દરમિયાન શકય એટલા વિકાસના કામોનું અમલીકરણ થયું છે. ભવિષ્‍યમાં આ વિસ્‍તારમાં વિકાસના કામોને વધુ વેગ મળે તે માટે ભાજપના ઉમેદવારને વિક્રમજનક લીડથી ધારાસભામાં મોકલવાની અપીલ કરૂં છું.

પ્રદેશ ભાજપ ઉપાધ્‍યક્ષ ડો.ભરતભાઈ બોઘરાએ આ પ્રસંગે જણાવ્‍યું હતું કે, આપણી પાસે કેન્‍દ્ર અને રાજય સરકારનાં અગણિત વિકાસના કામોનું ભાથું છે. વિકાસકામોને આધારે તેમણે કાર્યકરોએ ભાજપે કરેલા કામોનો સંદેશો લોકો સુધી પહોંચાડવા અનુરોધ કર્યો હતો. આપણે રાજકોટની ચારેય વિધાનસભા બેઠકોમાં ભાજપના ઉમેદવારોને ભવ્‍ય વિજય અપાવવાનો છે, કાર્યકરોને પરિશ્રમની પરાકાષ્‍ઠા સર્જવી પડશે તેમ તેમણે જણાવ્‍યું હતું.

આ તકે પ્રદેશ ભાજપ અગ્રણી ધનસુખભાઈ ભંડેરીએ જણાવ્‍યું હતું કે, આ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ઐતિહાસિક વિજય અપાવીને કેન્‍દ્ર સરકારમાં આપણા લોકલાડીલા વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીના હાથ મજબૂત કરવાના છે. કેન્‍દ્રમાં તેમની શકિત વધારવાની છે. તેમના નેતૃત્‍વમાં દેશ વિશ્વ ગુરૂ બનવા તરફ આગળ વધી રહ્યો છે. આ ઉપરાંત વિધાનસભા બેઠક-૭૦ના ઉમેદવાર રમેશભાઈ ટીલાળાએ તેમના વકતવ્‍યમાં જણાવ્‍યું હતું કે, આ વિસ્‍તારના વિકાસ માટે મહત્તમ કામો હાથ ધરવા હું સતત પ્રયત્‍નશીલ રહીશ. લોકોના વિકાસના પ્રશ્નોને ઉકેલવા માટે હું હંમેશા તત્‍પર રહીશ એવું તેમણે જણાવ્‍યું હતું. આ અવસરે શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારીએ ચૂંટણી કાર્ય સંદર્ભે કાર્યકરોને વિવિધ ચૂંટણીલક્ષી મુદ્દાઓ અંગે માર્ગદર્શન આપ્‍યું હતું. હવેલીના પરમ પૂજય ૧૦૮ શ્રી વ્રજેશકુમાર બાવાશ્રી ઉપસ્‍થિત રહીને આશીર્વચન આપ્‍યા હતા.

રાજકોટ વિધાનસભા-૭૦ ભાજપ મધ્‍યસ્‍થ કાર્યાલયનો ઉદ્દઘાટન પ્રસંગે ધારાસભ્‍ય ગોવિંદભાઈ પટેલ, પ્રદેશ ભાજપ ઉપાધ્‍યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, પ્રદેશ ભાજપ અગ્રણી ધનસુખભાઈ ભંડેરી, ભાજપના ઉમેદવાર રમેશભાઈ ટીલાળા, શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારી, રક્ષાબેન બોળીયા, વિરેન્‍દ્રસિંહ ઝાલા, ચેમ્‍બરના વી.પી. વેષ્‍ણવ, વિનુભાઈ ધવા, વોર્ડ નં.૭, ૪, ૧૭ના હોદેદારોમાં પ્રતાપભાઈ વોરા, હસુભાઈ ચોવટીયા, શૈલેષભાઈ પરસાણા, રમેશભાઈ દોમડીયા, અનીલભાઈ લીંબડ, રાજુભાઈ મુંધવા, કેતન વાછાણી, ધીરૂભાઈ તળાવીયા, ભરતભાઈ સવેટા, હરિભાઈ રાતડીયા, નરેન્‍દ્ર કુબાવત, વિપુલ માખેલા, જયંતિ નોંધણવદરા, યોગેશ ભટ્ટ, જગદીશભાઈ વાઘેલા, કોર્પોરેટરો જયશ્રીબેન ચાવડા, વર્ષાબેન પાંધી, દેવાંગભાઇ માંકડ, નેહલભાઈ શુકલ, જયાબેન ડાંગર, સોનલબેન સેલારા, નિતીનભાઈ રામાણી, સુરેન્‍દ્રસિંહ વાળા, ભારતીબેન મકવાણા, વર્ષાબેન રાણપરા, નિલેશભાઈ જલુ, કેતનભાઈ પટેલ, અનિતાબેન ગોસ્‍વામી, કીર્તીબા રાણા, રવજીભાઈ મકવાણા, હિતેષભાઈ ઢોલરીયા, સંદીપ ગાજીપરા, મનોજ પાલિયા, જયોત્‍સનાબેન હળવદીયા વિગેરે ઉપસ્‍થિત રહ્યા હતાં.

(4:21 pm IST)