Gujarati News

Gujarati News

News of Wednesday, 16th November 2022

મનપાનું જનરલ બોર્ડ બન્‍યું ‘ઔપચારીકતા' : થોડી મીનીટોમાં આટોપી લેવાયુ

પેન્‍ડીંગ... પેન્‍ડીંગ... પેન્‍ડીંગ...

રાજકોટ : મનપામાં દર બે મહિને મળતા જનરલ બોર્ડની આચારસંહિતા લાગુ હોવાથી ઔપચારીકતા પુરી કરવામાં આવી હતી. બોર્ડ શરૂઆતમાં વંદે માતરમ્‌ ગાન બાદ થોડી જ મીનીટોમાં આટોપી લેવાયું હતું. ઉપરોકત તસ્‍વીરોમાં મેયર ડો. પ્રદિપ ડવ, મ્‍યુનિ. કમિશનર અમિત અરોરા, મનપાના વિવિધ શાખાના કર્મચારીઓ, વિવિધ વોર્ડના કોર્પોરેટરો દેવાંગ માંકડ, દંડક સુરેન્‍દ્રસિંહ વાળા, મનીષભાઇ રાડીયા, સ્‍ટે.ચેરમેન પુષ્‍કર પટેલ, જૈમીન ઠાકર, વિપક્ષી નેતા ભાનુબેન સોરાણી, જયોત્‍સનાબેન ટીલાળા, વર્ષાબેન રાણપરા, નૈનાભાઇ પેઢડીયા, જયાબેન ડાંગર, ડો. દર્શનાબેન પંડયા સહિતના હાજર રહ્યા હતા. નીચેની અંતિમ તસ્‍વીરોમાં વોર્ડ નં. ૧૭ના મહિલા કોર્પોરેટર અનિતાબેન ગોસ્‍વામી, નાદુરસ્‍ત તબીયત હોવા છતાં પતિ ગૌતમભાઇ ગોસ્‍વામી સાથે વ્‍હીલચેરમાં આવી હાજરીપત્રકમાં હાજરી પુરી હતી. (તસ્‍વીર : અશોક બગથરીયા)(૨૧.૨૦)

રાજકોટ તા. ૧૫ : મ્‍યુનિ. કોર્પોરેશનમાં દર બે મહિને મળતી જનરલ બોર્ડની બેઠક આજે ૧૧ વાગ્‍યે મનપા કચેરીના બીજા માળે આવેલ સભાગૃહમાં મળ્‍યું હતું પરંતુ આચારસંહિતા હોવાથી પ્રશ્નોત્તરી થઇ ન હતી. વિવિધ પાંચ દરખાસ્‍તો પણ પેન્‍ડીંગ રહી હતી. બોર્ડ પ્રારંભે અને અંતમાં વંદે માતરમ્‌ ગાન કરી બોર્ડ ગણતરીની મીનીટોમાં જ બોર્ડ મીટીંગ પુર્ણ કરી દેવામાં આવી હતી.

આ અંગે સત્તાવાર પ્રાપ્‍ત માહિતી મુજબ આજના જનરલ બોર્ડ મીટીંગમાં વાવડી સિપાહી જમાત વકફ ટ્રસ્‍ટ, વાવડીને કબ્રસ્‍તાન માટે સરકારી ખરાબા વાવડી રે.સ.નં. ૧૪૯/પૈકીની જમીનમાં નીમ કરવા, શહેરના કોઠારીયા રોડ પર આવેલ વીર ભગતસિંહ શોપીંગ સેન્‍ટરની ગ્રા.ફ. દુકાન નં. ૪૦માં ખરીદનારના નામનો ઉમેરો કરી આપવા, સેનેટરી બસ ઇન્‍સ્‍પેકટર જગ્‍યાના ભરતીના નિયમોમાં ફેરફાર કરવા, ટેનિકલ આસીસ્‍ટન્‍ટ (ટેકસ) સંવર્ગની લાયકાત, ભરતીના નિયમોમાં સુધારો કરી વર્ક આસીસ્‍ટન્‍ટ (સિવિલ) સંવર્ગમાં સમાવેશ કરવા અને નામાભિધાન વર્ક આસીસ્‍ટન્‍ટ (સિવિલ) કરવા, મહાનગરપાલિકાની વર્ક આસીસ્‍ટન્‍ટ (ઇલેકટ્રીકલ) સંવર્ગના રિક્રુટમેન્‍ટ રૂલ્‍સમાં સુધારો કરવા અંગે મ્‍યુનિસિપલ કમિશનરશ્રીનો પત્ર નં. ૨૯૦ તા. ૨૭-૯-૨૦૨૨ તથા તે પરત્‍વેનો સ્‍ટે. ક.ઠ.નં. ૩૨૮ તા. ૧૭-૧૦-૨૦૨૨ લક્ષમાં લઇ નિર્ણય લેવા. મહાનગરપાલિકાની સોલીડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ શાખામાં ફરજ બજાવતા સફાઇ કામદારને તેની નોકરી દરમિયાન સફાઇ કામગીરીના કારણે કોઇ રોગના ભોગ બને અને કાયમી અશકત જાહેર થાય અથવા સફાઇ કામદારનું નોકરી દરમિયાન અવસાન થાય અથવા સફાઇ કામદાર લાપતા હોય તેવા સંજોગોમાં તે સફાઇ કામદારના કોઇ એક વારસદારને રહેમરાહે નોકરી આપવા અંગેના નિયમોમાં સુધારા કરવા. મવડી નગરપંચાયતના કુલ ૨ કર્મચારીઓની મહાનગરપાલિકાની સેવાઓ રૈયા નગરપાલિકાના કર્મચારીઓની માફક તા. ૧-૧૦-૨૦૦૧થી વર્ગ-૩માં જુનિયર કલાર્ક સંવર્ગમાં સળંગ ગણવા, મહાનગરપાલિકા સંચાલિત શ્રીમતિ સરોજીની નાયડુ ગર્લ્‍સ હાઇસ્‍કુલના રોજમદાર જુનિયર કલાર્ક નિલેશ કાંતિલાલ પંડયાને મહાનગરપાલિકાના કાયમી સ્‍ટાફ સેટઅપની જુનિયર કલાર્કની જગ્‍યા પર સમાવેશ કરવા, શહેરના વોર્ડ નં. ૧૧માં વેસ્‍ટ ઝોન પેકેજ-૧ હેઠળ તૈયાર થયેલ આવાસ યોજનાના શોપીંગ સેન્‍ટરની દુકાનો જાહેર હરરાજીથી વેચાણથી આપી, દસ્‍તાવેજ કરી આપવા અંગે મ્‍યુનિસિપલ કમિશનરનો પત્ર નં. ૩૫૫ તા. ૧૩-૧૦-૨૦૨૨ તથા તે પરત્‍વેનો સ્‍ટે. ક.ઠ.નં. ૩૯૩ તા. ૧૭/૧૦/૨૦૨૨ લક્ષમાં લઇ નિર્ણય લેવા. શહેરના વોર્ડ નં. ૪, ૧૦, ૧૧ અને ૧૨ના વિવિધ વિસ્‍તારોમાં બનાવામાં આવેલ જુદી-જુદી આવાસ યોજનાના નામકરણ કરવા તથા સ્‍માર્ટ સીટી વિસ્‍તાર, રૈયા રોડ ખાતે બનાવવામાં આવેલ લાઇટ હાઉસ પ્રોજેકટ હાઉસનું જીજાબાઇ નામ આપવા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું રોજકામ જાણમાં લેવા સહિત કુલ ૧૨ દરખાસ્‍તોનો સમાવેશ છે.

 જો કે ઉપરોકત તમામ દરખાસ્‍તો પેન્‍ડીંગ રાખવાની ફરજ પડી હતી. કેમકે ૮મીએ ચૂંટણીના પરિણામ સુધી આદર્શ આચારસંહિતા અમલમાં રહેશે. એટલું જ નહી પ્રશ્નોત્તરી પણ નહી થઇ શકે. આમ, આજની જનરલ બોર્ડ મીટીંગ માત્ર વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે જ મળી હતી.

આ બોર્ડમાં ભાજપના ૯ કોંગ્રેસના ૧ કોર્પોરેટરોએ રજા રીપોર્ટ આપતા કુલ ૭૨ પૈકી ૬૦ નગરસેવકો ઉપસ્‍થિત રહ્યા હતા.

(3:38 pm IST)