Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા ૩૧ ઓગષ્ટે સ્પર્ધાત્મ જાગૃતિ કસોટી

કેરીયર કાઉન્સેલીંગ એન્ડ ડેવલોપમેન્ટ સેન્ટરનું આયોજન ૨૦ હજાર છાત્રો આપશે કસોટી પરીક્ષામાં જોડાવા અનુરોધ

રાજકોટ,તા.૧૬: કેરીયર કાઉન્સેલીંગ એન્ડ ડેવલોપમેન્ટ સેન્ટર (સીસીડીસી) સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માધ્યમથી દર વર્ષે સ્નાતક અને અનુસ્નાતકમાં જોડતા વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે જાગૃતિ મળે અને રાજય તથા કેન્દ્ર સરકારશ્રીની રોજગારલક્ષી પરીક્ષાઓની તૈયારી માટે માર્ગદર્શન મળી રહે તે પરીપેક્ષમાં સીસીડીસી છેલ્લા સાત વર્ષથી ઓગષ્ટ/ સપ્ટેમ્બર માસમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સ્પર્ધાત્મક જાગૃતિ પરીક્ષા (એસયુસીઈએટી)નું આયોજન કરે છે. આજ સુધીમાં અંદાજિત દોઢ લાખ વિદ્યાર્થીઓએ એસયુસીઈએટી પરીક્ષાનો લાભ લીધેલ છે. દર વર્ષે ૭૦થી વધુ કોલેજો અને અનુસ્નાતક ભવનના વિદ્યાર્થીઓ ઉપરોકત 'મોક પરીક્ષા'માં જોડાય છે. આ વર્ષે ૩૧/ ઓગષ્ટ/૨૦૧૮નાં રોજ પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે.

રાજય તથા ભારત સરકારશ્રીની યુપીએસસી, જીપીએસસી, બેન્ક, રેલ્વે-વે, એલઆઈસી, આર્મ ફોર્સ, જીસીઈટી, નેટ, સર્વિસ સેકટરો વગેરે નોકરીઓ માટે વિદ્યાર્થીઓને જાગૃત કરવા અને સીસીડીસીની પ્રવૃતિઓ સાથે જોડવા એસયુસીઈએટીનું દરવર્ષે નોનસ્ટોપ આયોજન કરવામાં આવે છે.

સીસીડીસીના માધ્યમથી રાજયમાં એક માત્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આયોજીત એસયુસીઈએટીમાં કોઈપણ યુનિવર્સિટીના છાત્રો ભાગ લઈ શકે છે. છેલ્લા પાંચ વર્ષમાં બહોળી સંખ્યામાં છાત્રોએ ભાગ લીધેલ છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો.નિલાંબરીબેન દવે, કુલસચિવ ડો.ધીરેનભાઈ પંડ્યાના સીધા માર્ગદર્શન હેઠળ ટીમ સીસીડીસી મારફત સૌરાષ્ટ્રના છ જિલ્લાઓમાં પોરબંદર, જુનાગઢ, અમરેલી, સુરેન્દ્રનગર, જામનગર અને રાજકોટમાં સીસીડીસીના જિલ્લા કોર્ડીનેટર્સ સર્વશ્રી ડો.જયેશ ભટ્ટ, ડો.પી.બી. કાંજીયા, પ્રો.અતુલ પટેલ, ડો.એન.કે.સોનારા, પ્રા.જી.બી.સિંઘ અને પ્રો.રાહુલ રાવલીયાની નિમણૂંક  કરાયેલ છે અને કોલેજ કક્ષાએ લોકલ સેલ કન્વીનરની નિમણૂંક દરેક કોલેજ પ્રિન્સીપાલ મારફત કરવામાં આવેલ છે. એસયુસીઈએટી પરીક્ષાનું પ્રશ્નપત્રક જી.પી.એસ.સી., યુ.પી.એસ.સી.ના પ્રિલીમ્સ જનરલ પેપર સ્ટાઈલ મુજબ બહુવૈકલ્પિક પ્રકારનું ૧૦૦ પ્રશ્નો- ૧૦૦ ગુણનું રાખવામાં આવેલ છે. આ પરીક્ષામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ કે જેઓ ૫૦ ટકા ઉપર ગુણ મેળવે તેમને યુનિવર્સિટીનું પ્રમાણપત્ર અને એસયુસીઈએટીમાં ''ડીસ્ટ્રીકટ ટોપર્સ'' દરેક જિલ્લા કક્ષાઓ સૌથી વધુ ગુણ મેળવાનાર વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી બુક/ બુકસેટ આપી બહુમાન કરવામાં આવશે. તેવુ સીસીડીસીનાં સંયોજકે જણાવેલ.

સ્પર્ધાત્મક પરીક્ષાઓ સંદર્ભની માહિતી તથા માર્ગદર્શન માટે વિદ્યાર્થીઓને સીસીડીસી કાર્યાલય, ગ્રાઉન્ડ ફલોર, એકેડેમિક સેન્ટર, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા પાછળ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે સવારે ૧૦:૩૦ થી ૬ સુધીમાં સંપર્ક કરી શકાશે. અંતમાં સૌરાષ્ટ્ર વિસ્તારના છાત્રોને પરીક્ષામાં લાભ લેવા અનુરોધ કરાયેલ છે અને ઉપરોકત પરીક્ષા દરેક વિદ્યાર્થીની કોલેજ યોજાતી હોય કોલેજનો સંપર્ક કરી રજિસ્ટ્રેશન કરાવવા અનુરોધ કરાયેલ છે. ટીમ સીસીડીસીના સર્વશ્રી સુમિતભાઈ મહેતા, ચિરાગભાઈ તલાટીયા, હેતલબેન ગોસ્વામી, દિપ્તીબેન ભલાણી, આશીષભાઈ કીડીયા, હીરાબેન કીડીયા, સોનલબેન નિમ્બાર્ક અને કાંતિભાઈ જાડેજા વગેરે મારફત તડામાર તૈયારીઓ કરાઈ રહી છે.(૩૦.૬)

(4:26 pm IST)