Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

દાંડીકૂચ : ઓપરેશન પછી બેભાન અવસ્થામાં પણ ગાંધીજી બોલતા હતા નમક વેરો રદ્દ કરવો જોઇએ

મરતી ગાયને બચાવવી તેમાં ગૌ સેવા નથી, તેની સેવા કરો, ગાય વસાવો

મહાદેવભાઇ દેસાઇએ ગાંધીજીના જીવન અને કાર્યને જે રીતે શબ્દસ્થ કર્યું છે એ અભ્યાસ અને અનુભૂતિ બન્નેનો વિષય. મહાદેવભાઇની ડાયરી એવો ગ્રંથસંચય છે જેમાં ગાંધીજીના જીવનનો એકસ-રે,એમઆરઆઇ બધું મળે. મને ગાંધીપ્રેમી તરીકે એવો અતિરેક કરવાનું મન થાય કે મહાદેવભાઇએ ધાર્યું હોત તો ગાંધીજીને આવતાં સ્વપ્નો એ જાણીને નોંધ કરી શકયા હોત એટલા એ નિકટ હતા. હા, આ રહ્યું ઉદાહરણઃ દાંડીકૂચ તો ૧૯૩૦માં થઇ પણ ૧૯૧૯ના સપ્ટેમ્બર માસની ૨૧મી તારીખે મહાદેવભાઇએ નોંધ કરી છે એ મુજબ ગાંધીજીએ હરસનું ઓપરેશન કરાવ્યું હતું અને સવારે સાડા આઠ સુધી એ ઊંઘ્યા હતા. પછીઙ્ગ બેભાન અવસ્થામાં એમને લવારી ઊપડી અને આ જનસેવક-જનનાયક એ અવસ્થામાં પણ વિચાર તો હિન્દુસ્તાનની પ્રજાનો જ કરતા હતા.

બેભાન અવસ્થામાં એ બોલ્યા, મહાદેવભાઇ નોંધે છેઃ સરકારે બે વસ્તુ કરવી જ જોઇએ. નિમક વેરો રદ કરવો જોઇએ, અને દૂધનો ઉપયોગ રાષ્ટ્રાધીન એટલે કે નેશનલાઇઝડ કરવો જોઇએ. નિમક વેરા જેવો ઘાતકી વેરો કેમ સ્વીકારાયો હશે? એ જ નથી સમજાતું. એ પસાર થયો ત્યારે આખા દેશને સળગાવી શકાત. જે વસ્તુ વગર માણસને જરા પણ ચાલે નહીં એના પર વળી વેરો કેવો?ઙ્ગ આ ચિંતન હતું એમનું ,અને એ પછીના અનેક વર્ષે બાપુએ આ દાંડીકૂચ કરી.ઙ્ગ

પંદરમી માર્ચે નડિયાદથી અગાઉ ડભાણમાં બપોરે રોકાયા,સભામાં કહ્યુઃ આપણે ગૌરક્ષાને બદલે ભેંસરક્ષા કરીએ છીએ. આજે આપણે ગૌસેવાનો ઊંધો અર્થ કરીએ છીએ. મુસલમાનના હાથમાંથી મરતી ગાય બચાવવી તેમાં ગૌસેવા નથી. જો ગાયનો બચાવ કરવો હોય તો તેની સેવા કરો. ગાયોને વસાવો.......રાત્રિ મુકામ સાક્ષરભૂમિ નડિયાદમાં કર્યો. મેદની મોટી હતી એને સંબોધતાં બાપુએ કહ્યુઃ શ્રી ગોવર્ધનરામ અને શ્રી મણિલાલ નભુભાઇનું નડિયાદ શું કરશે? તમારે બધાએ સ્વયંસેવક થવાનું છે. તમે બધા મીઠાંનો કાયદો તોડવા નીકળી પડો અને જયાં સુધી આપણે ફતેહમંદ ન થઇએ ત્યાં સુધી નડિયાદ તરફ મોં ન કરો. સરદાર વલ્લભભાઇ તમારું કામ કરતાં જેલમાં ગયા. ખેડામાં એમને કેદ કર્યા એટલે આખું ખેડા કેદ થયું. એમને તો માન મળ્યું ગણાય. તે છતાં તેમને પકડીને અપમાન કર્યું તેનો જવાબ શો આપશો?ઙ્ગ

૧૭ માર્ચે મૌનવ્રતનો વાર હતો. એ દિવસે ગાંધીજીએ પત્રો જ લખ્યા. બે પત્રો મહત્વના હતા. પહેલો હતો જયપ્રકાશ નારાયણને જેમાં લખ્યુઃ ચિ.જયપ્રકાશ બલિદાન આપવાનો ઉત્સાહ મેં આશ્રમની બહેનોમાં જોયો તેવો કયાંયે જોયો નથી. આજકાલ આશ્રમની આંતરિક વ્યવસ્થા મોટે ભાગે માત્ર બહેનો લઇ રહી છે, તેવો અનુભવ એમને ફરીથી કદી મળવાનો નથી. તેથી મારી તમને સલાહ છે કે તમે પ્રભાવતીને (જયપ્રકાશના પત્ની)આશ્રમમાં મોકલો. હું જેલમાં જાઉં તે પછી આશ્રમની બહેનો જેલમાં જશે. એમાં પ્રભાવતી હોવી જોઇએ. એવો મારો અભિપ્રાય છે.પ્રભાવતી બધી રીતે લાયક છે.......

બીજો પત્ર હતો મીરાંબહેન (મેડેલિન સ્લેડ)ને :ઙ્ગ ચિ. મીરાં, તારો કાગળ મળ્યો. મને ખોળી કાઢવાને તલપી રહેલાં ફૂલો પણ હજુ સુધી તો મારો થાક મને આરોગ્યપ્રદ લાગે છે. કારણ કે એને લીધે હું એક વખતને બદલે બે વખત દૂધ અને સારી પેઠે ફળ લઇ શકું છું.ઙ્ગ મારે વિશે તું ચિંતા ન કરીશ. ત્યાં તને સારું કામ મળી ગયું લાગે છે. લડત આપણા સૌના માટે ઇશ્વરના પ્રસાદ સમી નીવડી છે. એ આત્મશુધ્ધિની પ્રક્રિયા છે.-હોવી જોઇએ. આપણે કદી શિથિલ ન બનીએ....પ્યાર..... મીરાં બહેન તો બાપૂની તદ્દન નિકટ. તો એ કેમ કૂચમાં નહીં?ઙ્ગ

દાંડીકૂચમાં ગુજરાતના ૩૨, મહારાષ્ટ્રના ૧૩, યુપીના ૮, કચ્છના ૬, કેરળના ૪, પંજાબના ૩, રાજપૂતાનાના ૩, મુંબઇના ૨ સિંઘ, નેપાળ, તમિળનાડુ, આંધ્ર, ઉત્કલ, કર્ણાટક, બિહાર, બંગાળમાંથી ૧, ૧ મળીને કુલ ૭૯ યાત્રીઓ હતા. પાછળથી બે ઉમેરાયા હતા. પણ આમાં એક પણ મહિલાનો સમાવેશ નહોતો. કસ્તુરબા પણ નહીં. અને મીરાંબહેન પણ નહીં.

ઙ્ગદક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહ વખતે બાપુએ કસ્તુરબાને કહ્યું હતુઃ તું જેલમાં મૃત્યુ પામીશ તો હું તને જગદંબાની જેમ પૂજીશ. ખ્રિસ્તી ધર્મની પધ્ધતિ સિવાયના લગ્નને અમાન્ય ગણવાની વાત આવી ત્યારે ગાંધીજીએ જ ત્યાં વસતા બહેનોને આંદોલનમાં જોડ્યા હતા. અને અહીં કોઇ બહેન નહીં. આ માણસનું કરવું શું? આદર, અવલોકન, શકય એટલું અનુસરણ અને અત્યારે પોપ્યુલર થવું હોય તો ટીકા.

ઙ્ગનિત્ય નૂતનતા એનો સ્થાયીભાવ હતો. આશ્રમવાસી બહેનોએ પૂછી પણ લીધુઃ બાપુ તમને આખા આશ્રમમાં એકેય બહેન સવિનય ભંગ કરવાને યોગ્ય ન મળી? ગાંધીજીએ કહ્યું મને ખબર હતી કે તમે આ પૂછશો. ન પૂછ્યું હોત તો આશ્યર્ય થાત.

ઙ્ગઅને પછી સમજાવ્યું કે અગાઉ હિન્દુ-મુસલમાનોના યુધ્ધ થતા ત્યારે મુસલમાનો સૈન્યની આગળ ગાયો રાખતા. હિન્દુઓ, ક્ષત્રીયોની સેના ગાય પર પ્રહાર ન કરે. એમ અંગ્રેજો ગમે તેવા હોય પણ એ લોકો  સ્ત્રીઓ પર એકાએક હાથ ન ઊપાડે. એટલે ગમે તેટલું સંકટ સહન કરનારા આપણે ટૂકડીની આગળ  સ્ત્રીઓને રાખીએ તે આપણને ન શોભે. આપમી ખૂબ મારપીટ ખમવાની પણ તૈયારી હોય તો તેમાંથી બચી જવા માટે આપણે  સ્ત્રીઓને આગળ કરીએ એ કેમ બને?

એના કરતાં પણ બીજી વાત એમણે જે કહી એ અગત્યની હતી. ગાંધીજીએ કહ્યું, અહિંસાની લડતમાં એમને બહેનો પાસે ભાઇઓ કરતાં વધારે સહનશીલતા અને પરાક્રમની અપેક્ષા હતી. એમની સાથે કૂચ કરવી એ તો સહેલું કામ હતું. બહેનોને શોભે એવો કઠણ કાર્યક્રમ આપવો હશે ત્યારે તેઓ જરુર એમ કરશે.

ઙ્ગઆપણે નેવું વર્ષ પહેલાંની આ કૂચને આજના આંદોલન કે સ્થિતિ સાથે સાંકળવાનો પ્રયાસ કરીએ છીએ. રાજનિતિમાં મહિલા અનામત એ શું ખરેખર સાર્થક થયેલો પ્રયોગ છે? ના. ઉચ્ચ સ્તરે મહિલાઓ મંત્રી બને છે કે મોટી જવાબદારી નિભાવે છે એ સાચું. આપણા અત્યારના નાણામંત્રી પણ મહિલા છે એનું ગૌરવ છે આપણને. લશ્કરમાં પણ હવે બહેનોનો દરજ્જો વધ્યો પણ એ સિવાય?ઙ્ગ

ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત અરે શહેરી વિસ્તારની પાલિકાઓમાં પણ બહેનો માટે અનામત બેઠક પર રાજકીય પક્ષો બહેનોને ટીકિટ આપે છે એ એમની ક્ષમતા ચકાસીને નહીં. કાં તો કાર્યકર્તાના પત્ની કે માતા કે પછી કોઇ બહેનની જ્ઞાતિ. જે બહેન ચૂંટાય એમના વતી તમામ પ્રકારના વહીવટ એમના પતિ-પિતા કરતા હોવાના તો કેટલા ઉદાહરણ જોઇએ, બહેનોને આગળ રાખીને અત્યારની રાજકીય સેનાઓ આગળ વધી રહી છે. જેટલી જોગવાઇ છે એટલી સંખ્યા પણ કયાં છે અને જે છે એમાં નારીશકિતનો સદઉપયોગ કયાં થાય છે ફકત એ નારી છે એ જ વાતનો રાજકીય ઉપયોગ થાય છે.ઙ્ગ

 સ્ત્રી સશકિતકરણ સામાજિક કાર્યક્રમ છે. રાજકીય ગતિવિધી એને સફળ બનાવવા માટે ઉપયોગમાં આવી શકે. પણ વાત આપણે ત્યાં આઝાદી પછી ઊંધી વળી ગઇ. રાજકીય ગતિવિધીને સફળ બનાવવા માટે આ સશકિતકરણ કર્યું. ગાંધીજી  સ્ત્રીઓની શકિત પારખતા, એનો આદર પણ કરતા. દેશની નારી શકિતનો સકારાત્મક ઉપયોગ આજે પણ આપણે શીખી શકયા છીએ? ના. દાંડીકૂચના આયોજન માંથી એનું પ્રશિક્ષણ મળે. કેમ કે ગાંધીજીએ એમને કૂચમાં નહોતાં જોડ્યાં એટલું જ બાકી બહેનોએ પાછળથી અનેક જવાબદારી નિભાવી હતી. મીરાંબહેનને એમણે ત્યાં સુધી કહ્યું હતું કે અમે બધા પકડાઇ જઇએ તો તમે લોકો આશ્રમના ટ્રસ્ટી બનીને જવાબદારી નિભાવજો. ઉમાશંકર જોશીએ અબળાની વ્યાખ્યા કરતાં કહ્યું છેઃ અબળા એટલે જેનું બળ માપી ન શકાય તે..... ગાંધીજી આ વાત જીવ્યા હતા - પહેલેથી જ.

-: આલેખન :-

જ્વલંત છાયા

ચિત્રલેખા :

(સોશ્યલ મિડીયામાંથી સાભાર)

મો. ૯૯૦૯૯ ૨૮૩૮૭

(3:48 pm IST)