Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

આજી.જી.આઇ.ડી.સી વિસ્તારને સેનેટાઇઝ કરાયોઃ ૨૧ શેરીમાં દવા છંટકાવ

રાજકોટઃ સરકાર દ્વારા રાજકોટ શહેરમાં આજથી ઉદ્યોગો શરૂ કરવાની અનુમતિ મળતા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઔદ્યોગિક વિસ્તારોમાં જાહેર સ્વાસ્થ્ય સલામતિની બાબતને નજર સમક્ષ રાખી, આજે વહેલી સવારે ૬.૪૫ વાગ્યાથી જ શહેરના આજી જી.આઈ.ડી.સી. સહિતના વિવિધ વિસ્તારોમાં ઉદ્યોગો શરૂ થાય એ પૂર્વે જ બૂમ સ્પ્રેયર, ફાયર બ્રિગેડના જેટ સ્પ્રેયર અને હેન્ડ સ્પ્રેયર પમ્પ વડે દ્યનિષ્ઠ ડીસઇન્ફેકશનની કામગીરી કરવામાં આવી હતી, તેમ મ્યુનિસિપલ કમિશનર શ્રી ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું. આ વિશે વધુ વાત કરતા તેમણે એમ જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકાએ ગઈકાલથી જ ધનિષ્ઠ ડીસઇન્ફેકશનની કામગીરી માટેનું આયોજન કરી રાખ્યું હતું. જે અંતર્ગત આજે વહેલી સવારે ઉદ્યોગો શરૂ થાય તે પહેલા જ કેમિકલ અને પાણી મિશ્રિત દ્રાવણનો ભરપૂર છંટકાવ કરવામાં આવ્યો હતો. આ કામગીરીમાં રાજકોટ મહાનગરપાલિકાએ આજી જી.આઈ.ડી.સી. ઉપરાંત શ્રી રામનગર ઇન્ડસ્ટ્રીયલ એરિયા તેમજ ખોડિયારપરા વિસ્તારની આવાસ યોજના સહિતના વિસ્તારોને આવરી લીધા હતા.  મ્યુનિ. કમિશનરશ્રીએ વધુમાં માહિતી આપતા એમ જણાવ્યું હતું કે, ઉપરોકત સમગ્ર વિસ્તારોમાં બે બૂમ સ્પ્રેયર મશીન, પાંચ હેન્ડ સ્પ્રેયર પમ્પ અને ફાયર બ્રિગેડના ત્રણ જેટ સ્પ્રેયર મશીનો દ્વારા આજી જી.આઇ.ડી.સી.માં સ્ટ્રીટ 'એ' થી 'યુ' એમ કુલ ૨૧ શેરીઓ કવર કરવામાં આવી હતી. આ ઉપરાંત શ્રી રામનગર ઇન્ડસ્ટ્રીયલ એરિયા તેમજ ખોડિયારપરા વિસ્તારની આવાસ યોજના સહિતના વિસ્તારોમાં પણ કેમિકલનો સ્પ્રે કરવામાં આવેલ હતો. દ્યનિષ્ઠ ડીસઇન્ફેકશનની આ સમગ્ર કામગીરી બે વખત કરવામાં આવી હતી. અર્થાત ઉપરોકત સમગ્ર એરિયાના કુલ આશરે ૨૬ કી.મી.થી વધુ લંબાઈમાં રસ્તાઓને આવરી લેવાયા હતાં.  આજે સવારે ઉદ્યોગો શરૂ થયા પૂર્વે જ ૩૫ લીટર સોડિયમ હાઈપોકલોરાઈડ કેમિકલ અને ૬૦૦૦ લીટર પાણી મિશ્રિત દ્રાવણનો છંટકાવ કરવાની કામગીરી આટોપી લેવામાં આવી હતી. આ કામગીરી આજે દિવસે પણ ચાલુ રાખવામાં આવી છે. મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલની સૂચના અનુસાર હાથ ધરવામાં આવેલી આ કામગીરી પર્યાવરણ ઇજનેર  નિલેશ પરમાર, નાયબ પર્યાવરણ ઈજનેર પ્રજેશ સોલંકી અને ચીફ ફાયર ઓફિસર  બી. જે. ઠેબાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી છે. તસ્વીરમાં ત્યાં છંટકાવ થઇ રહેલો દર્શાય છે.

(2:56 pm IST)