Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

કાળીપાટના 'ડબલ મર્ડર'ના આરોપીની વચગાળાની જામીન અરજી નામંજુર

રાજકોટ, તા.૧૫: રાજકોટ તાલુકાના કાળીપાટ ગામે નવ વર્ષ પૂર્વ નજીવી બાબતે ખેલાયેલા ધીંગણામાં થયેલા ડબલ મર્ડર કેસમા એક આરોપીએ પુત્રની ફી માટે માંગેલા માનવતાના જામીન અદાલતે ફગાવી દીધા છે.

વધુ વિગત મુજબ શહેરના ભાગોળે કાળીપાટ ગામે ગત તા.૧૦ ૭-૧૧ના રોજ માતાજીના મઢ પાસે તાવા પ્રસાદમાં એકઠા થયેલા દરબારોએ કોળી પરિવારના કિશોરને ગાળો બોલવાની ના પાડવાના મુદ્દે ખેલાયેલા ધિંગાણામાં વિશ્વજીતસિંહ જાડેજા અને મહેન્દ્રસિંહ જાડેજાનું મોત નિપજતા બનાવ ડબલ મર્ડરમાં પલ્ટાપો હતો.

તાલુકા પોલીસ મથકમાં સત્યજીતસિંહ અનિધ્ધસિંહ જાડેજાએ છગન રધા દુધરેજીયા, ધીરૂ રધા દુધરેજીયા, સુરેશ રધા દુધરેજીયા, દિનેશ રધા દુધરેજીયા, જેન્તી પ્રેમજી દુધરેજીયા, સવજી દેવશી દુધરેજીયા, બાબુ ઉકા દુધરેજીયા અને બે મહિલા સહિત ૧૦ શખ્સો સામે હત્યા અને હત્યાની કોશિષનો ગુનો નોંધી તપાસની ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા જેલ હવાલે કર્યા હતા. હાલ લાંબા સમયથી જેલ હવાલે રહેલા. સુરેશ રઘા દુધરેજીયા પુત્રની ફી ભરવા માટે વચગાળાના જામીન અરજી કરી હતી જેમાં બંન્ને પક્ષોની લેખિત મૌખિત દલીલ બાદ મુળ ફરિયાદના વકિલ રૂપરાજસિંહ અને પીપી અનિલભાઇ દેશાઇએ કરેલી ધારદાર દલીલ તેમજ કેસની સુનાવણી અંતિમ તબકકામાં છે. જો જામીન આપવામાં આવશે તો સાક્ષીને ફોડવાના અને પુરાવાનો નાશ કરવામાં આવશે. તેવી દલીલ ધ્યાને લઇ સેસન્સ જજ હીરપરા એ સુરેશ રઘા દુધરેજીયાની વચગાળાની જામીન અરજી નામંજૂર કરી છે. મુળ ફરિયાદ વતી એડવોકેટ તરીકે રૂપરાજસિંહ પરમાર, અજીતભાઇ પરમાર અને ભરતભાઇ સોમાણી રોકાયા છે.

(3:16 pm IST)