News of Wednesday, 14th February 2018
રાજકોટ, તા. ૧૪ : અમદાવાદના રીવરફ્રન્ટ ખાતે આગામી ત્રણ દિવસીય 'રાજપૂત બિઝનેસ એકસ્પો' યોજાનાર છે. જેમાં રાજપૂત મહિલાઓ માટે ખાસ ૬૦ સ્ટોલ બનાવવામાં આવ્યા છે. જેમાં બહેનો રાજપૂતાનાને લગતી વસ્તુઓનું પ્રદર્શન કરશે. તેમજ વેપાર - ઉદ્યોગને લગતી વસ્તુઓનું માર્ગદર્શન પણ આપનાર છે.
અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા આયોજીત ''બિઝનેસ એકસ્પો ૨૦૧૮''માં રાજપૂત મહિલાઓ માટે પોતાનું કૌશલ્ય બતાવવા તથા વેપાર - ઉદ્યોગ, લઘુ ઉદ્યોગ, ગૃહ ઉદ્યોગમાં રસ લઈ આગળ પ્રગતિ કરવાની પ્રેરણા મળે તે માટે મહિલાઓ માટે ખાસ 'રાજપૂતાણી પેવેલીયનમાં ૬૦ જેટલા વિશિષ્ટ સ્ટોલ્સ રાખેલ છે. જેમાં માત્ર રાજપૂત મહિલાઓ દ્વારા વેપાર બિઝનેસ, લઘુ ઉદ્યોગ કરાતો હોય તેમના દ્વારા સંચાલન અને મેન્યુફેકચરીંગ કરાતુ હોય તેવા સ્ટોલ્સ હશે. ખાસ પ્રમોશનથી ૮૦ ટકા સબસીડીથી રાજપૂતાણીઓને પોતાનું કૌશલ્ય અને શકિત બતાવવા પ્રોત્સાહન પૂરૂ પાડીને ખાસ રાજપૂત મહિલાઓને સમાજની સંસ્કૃતિ, સંસ્કાર અને સ્વમાન સાથે વેપાર - ઉદ્યોગ - લઘુ ઉદ્યોગમાં ભાગ લઈ સમાજને નવો રાહ ચિંધવા અને સ્વનિર્ભર થવાના હેતુથી આયોજન કરેલ છે.
રાજપૂત બિઝનેસ એકસ્પોને સફળ બનાવવા અ. ગુ. રાજપૂત યુવા સંઘના એમ. ડી. ડો. જયેન્દ્રભાઈ જાડેજા, પી. ટી. જાડેજા, વિશુભા ઝાલા સહિતની એકસ્પો કમીટી તથા મહિલા સંઘના અગ્રણી, દશરથબા પરમાર, શારદાબા જાડેજા, જયશ્રીબા જાડેજા સહિતની ટીમ જહેમત ઉઠાવી રહ્યા છે. રાજકોટના મહિલા અગ્રણીઓ સીતાબા જેઠવા, દેશીનીબા જાડેજા, હિનાબા ગોહિલ, અલ્પનાબા રાણા, રજનીબા રાણા, કિર્તીબા ઝાલા, પૂજાબા જાડેજા સહિતના મહિલા કાર્યકરો અલગ - અલગ વિસ્તારમાં પ્રચાર - પ્રસાર કરી મહિલાઓના જાગૃતતા આવે અને રાજપૂત મહિલા - લઘુઉદ્યોગ મેન્યુફેકચરીંગ સહિતના વેપારમાં રસ લે તે હેતુથી જહેમત ઉઠાવી રહેલ છે. તેમ બળદેવસિંહ ગોહિલની યાદીમાં જણાવવામાં આવેલ છે.
તસ્વીરમાં જયશ્રીબા જાડેજા, રજનીબા રાણા, હિનાબા ગોહિલ, સીતાબા જેઠવા, હંશીનીબા જાડેજા, અલ્પનાબા ઝાલા, કીર્તીબા ઝાલા અને ધર્મેશ્વરીબા જાડેજા નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)