Gujarati News

Gujarati News

News of Friday, 14th December 2018

નૂતન દીક્ષિત સાધ્વીરત્નાઓનો કાલે વડી દીક્ષા મહોત્સવ

દીક્ષા દાનેશ્વરી રાષ્ટ્રસંત પૂ.નમ્રમુનિ મ.સા.ના સાંનિધ્યે : પૂ.સ્વમિત્રાજી- પૂ.આરાધ્યાજી મ.સ.ને પંચ મહાવ્રત રૂપી વડી દીક્ષાથી આરોપિત કરવામાં આવશે

રાજકોટઃ અજ્ઞાન અને ભ્રમણા રૂપી અંધકારમાં અટવાયેલા અનેક અનેક હૃદયમાં સત્વની સમજ રૂપી પ્રકાશનું આરોપણ કરીને પ્રભુ પંથ તરફ દોરી જઈ રહેલાં રાષ્ટ્રસંત પૂજય શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના શ્રીમુખેથી ગત રવિવારે દીક્ષા અંગીકાર કરનારાં નૂતન દીક્ષિત સાધ્વીરત્ના પૂજય શ્રી પરમ સ્વમિત્રાજી મહાસતીજી તેમજ પૂજય શ્રી પરમ આરાધ્યાજી મહાસતીજીને પંચ મહાવ્રતોથી આરોપિત કરવાં સ્વરૂપ વડી દીક્ષા અર્પણ કરવાનો અવસર કાલે તા.૧૫ને શનિવારે સવારે ૯ કલાકે આયોજિત કરવામાં આવ્યો છે.

ગત રવિવારે રાજકોટનાં રેસકોર્સના સંયમ સમવસરણ પટાંગણમાં રાષ્ટ્રસંત પૂજયશ્રીના બ્રહ્મનાદે દીક્ષામંત્ર ગ્રહણ કરીને સંયમ જીવનમાં પ્રવેશ કરનારાં નૂતન દીક્ષિત સાધ્વીરત્ના પૂજય શ્રી પરમ સ્વમિત્રાજી મહાસતીજી તેમજ પૂજય શ્રી પરમ આરાધ્યાજી મહાસતીજીના વડી દીક્ષા મહોત્સવનાં અવસર અંતર્ગત એમને અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ રૂપી પંચ મહાવ્રતોથી આરોપિત કરવામાં આવશે. જૈન દર્શનમાં મુમુક્ષુ આત્માઓને દીક્ષામંત્ર રૂપી સામાયિક ચારિત્રથી દીક્ષા આપ્યાં બાદ સાતમે દિવસે એમને પંચ મહાવ્રત રૂપી છેદોપસ્થાપનિય ચારિત્રમાં સ્થાપિત કરવાની વિધિ બતાવવામાં આવી છે. એ મુજબ રાષ્ટ્રસંત પૂજયશ્રીના શ્રીમુખેથી નવદીક્ષિત મહાસતીજીઓને વડી દીક્ષા અર્પણ કરીને સંયમ જીવનમાં સ્થાપિત અને પ્રસ્થાપિત કરવામાં આવશે.

વિશેષમાં ગત રવિવારે ગુરૂમુખેથી દીક્ષા અંગીકાર કરવાં થનગની રહેલાં મુમુક્ષુ શ્રી આરાધનાબેન ડેલીવાળાના દીક્ષા મંડપમાં પ્રવેશ કરતાં સમયે એમના મસ્તક પર કમાન પડવાથી થયેલી ગંભીર ઈજાબાદ રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં એમનાં મસ્તકની સર્જરી કરીને ૨૭ સ્ટીચીઝ આપવામાં આવ્યાં હતાં. તેમ છતાં, આવી ગંભીર ઈજા અને  વેદનામાં પણ શ્રી આરાધનાબેન મક્કમ મનોબળ અને અડગતાથી એક શૂરવીરની જેમ થોડાં જ કલાકોમાં દીક્ષા ગ્રહણની તાલાવેલી સાથે દીક્ષા મંડપમાં પધાર્યાં હતાં. એક વીરાંગનાની જેમ દેહની વેદનાની દરકાર કર્યા વિના પ્રભુ પંથે પ્રયાણ કરવાં તત્પર બનેલાં દીક્ષાર્થી પ્રત્યે અત્યંત અહોભાવિત થયેલાં હજારો ભાવિકોના સમુદાય વચ્ચે એમને દીક્ષા અર્પણ કરીને પૂજય શ્રી પરમ આરાધ્યાજી મહાસતીજી તરીકે ઘોષિત કરવામાં આવ્યાં હતાં. જિનશાસનની ગરિમાને એક નવી ઉંચાઇ પર લઈ જનારા આ નૂતન દીક્ષિત મહાસતીજી ડુંગર દરબારમાં પધારીને વડી દીક્ષા ગ્રહણ કરશે એ અવસરને નિહાળવા સમગ્ર સ્થાનકવાસી સંઘ અને સમાજ આતુર બની રહ્યો છે.

વડી દીક્ષાનો સમગ્ર કાર્યક્રમ શ્રી ડુંગર દરબાર, અમીનરોડ જંકશન, ૧૫૦ રીંગ રોડ, જેડ બ્લુ ની સામે રાજકોટ ખાતે રાખવામાં આવ્યો છે. દરેક ધર્મપ્રેમી ભાવિકોને પધારવા સંઘે ભાવભીનું આમંત્રણ પાઠવ્યું છે.(૩૦.૪)

 

(12:03 pm IST)