Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

મોટાદડવામાં જમીન બાબતેની અદાવતમાં મનુભાઇ સેખલીયાના ઘર પર પથ્થરમારો કરી ફાયરીંગ

મનસુખ સાટોડીયા, વિપુલ રાઠોડ, હોથી ઉર્ફે હાથીયો સંધી અને બુરાન ઘાંચી સામે ગુનો

રાજકોટ તા. ૧૪ :.. ગોંડલ તાલુકાના મોટાદડવા ગામમાં રહેતા પટેલ યુવાન તથા તેના પરિવારજનોના ઘર ઉપર જમીન બાબતે ચાલતા ડખ્ખાના લીધે પટેલ સહિત ચાર શખ્સોએ ધારીયા જેવા હથીયારો સાથે આવી પથ્થરમારો કરી આતંક મચાવ્યો હતો. અને પટેલ શખ્સ સહિતે હવામાં ફાયરીંગ કરતા આટકોટ પોલીસ મથકમાં ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ મોટાદડવા ગામમાં સેખલીયા વાડીમાં રહેતા અને હાલમાં રાજકોટ આજી ડેમ ચોકડી પાસે મુરલીધર વે-બ્રીજ પાછળ રહેતા કનુભાઇ ગોબરભાઇ સેખલીયા (ઉ.૩૭) ગઇકાલે મોટાદડવા ગામમાં હતાં. ત્યારે ગામમાં જ રહેતા મનસુખ ઉર્ફે મનુ ભીખાભાઇ સાટોડીયા, વિપુલ રાયધનભાઇ રાઠોડ, હોથી ઉર્ફે હોથીયો સંધી તથા બુરાન  હૈદરભાઇ ઘાંચી ધારીયા જેવા હથીયારો સાથે આવી કનુભાઇ પટેલના મકાનમાં તથા બાજુમાં રહેતા તેના પરિવારજનોના મકાન ઉપર ધારીયા તથા પથ્થરના ઘા કરી ગાળો આપી આતંક મચાવ્યો હતો. અને હવામાં ફાયરીંગ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી ગયા હતાં. આ બનાવમાં કનુભાઇ પટેલને મનસુખ ઉર્ફે મનુ સાટોડીયાને જમીન બાબતે જુનુ મનદુઃખ ચાલતુ હોવાનું પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યુ છે. મનસુખ અગાઉ આટકોટ પોલીસ મથકમાં પકડાઇ ચૂકયો છે. અને હોથી તથા બુરાન દારૂ પીવાના કેસમાં અગાઉ પકડાઇ ચૂકયા છે. આ અંગે આટકોટ પોલીસે કનુભાઇ સેખલીયાની ફરીયાદ પરથી ચારેય શખ્સો વિરૂધ્ધ ગુનો દાખલ કરી એએસઆઇ ધર્મીષ્ઠાબેન માઢકે તપાસ આદરી છે.

(2:49 pm IST)