News of Tuesday, 14th March 2023
રાજકોટ તા. ૧૪: સામા કાંઠે ત્રિવેણી સોસાયટીમાં માતા સાથે રહેતી ત્યક્તા યુવતિએ લાલપરીમાં રહેતાં ધરાર પ્રેમીના ત્રાસથી કંટાળી જઇ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે. પોલીસે આ મામલે ગુનો દાખલ કરી આરોપીને સકંજામાં લીધો છે. આપઘાત કરનાર યુવતિ ત્રણ વર્ષ પહેલા છુટાછેડા બાદ માતા સાથે રહેતી હતી. લાલપરીનો શખ્સ તેની પાછળ પડી ગયો હતો અને જાહેરમાં ગાળો દઇ મારકુટ પણ કરી લેતો હતો. ગઇકાલે તેણીના માતા સહિતના લોકો બહારગામ માતાજીના માંડવામાં ગયા હતાં ત્યારે આ ઘટના બની હતી.
આ બનાવમાં પોલીસે આપઘાત કરનાર રાજલબેનના માતા સંત કબીર રોડ ત્રિવેણી સોસાયટી-૦૨માં રહેતાં મધુબેન મહેશભાઇ મેવાડા (ઉ.વ.૫૦)ની ફરિયાદ પરથી લાલપરી સોસાયટીમાં રહેતાં રાજેશ મકવાણા વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. રાજલબેનને આરોપી રાજેશ પોતાની સાથે ધરાર સંબં રાખવાનું કહી હેરાન પરેશાન કરતો હોઇ જેના કારણે તેણી મરી જવા મજબૂર થતાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાનું ફરિયાદમાં જણાવાયું છે.
મધુબેન મેવાડાએ જણાવ્યું છે કે મારા પતિ ગુજરી ગયા છે. મારે સંતાનમાં ત્રણ દિકરી અને બે દિકરા છે. જેમાં રાજલબેન (ઉ.વ.૨૮) ત્રીજા નંબરે હતી. તેણીના લગ્ન આઠ વર્ષ પહેલા વાંકાનેર ખાતે અમારી જ્ઞાતિના રિવાજ મુજબ થયા હતાં. તેણીને સંતાનમાં ચાર વર્ષની એક દિકરી છે. શરૂઆતમાં રાજલબેનનું ઘર બરાબર ચાલ્યું હતું. પણ બાદમાં મનમેળ ન થતાં ૨૦૨૦માં તેણીએ છુટાછેડા લીધા હતાં. ત્યારથી તે તેની દિકરી સાથે મારા ઘરે જ રહેતી હતી. છેલ્લા ત્રણેક વર્ષથી અમારી ગેરહાજરીમાં લાલપરીનો રાજેશ મકવાણા અમારે ઘરે આવતો હતો અને મારી ત્યક્તા દિકરી રાજલબેનને તે પોતાની સાથે ધરાર સંબંધ રાખવા દબાણ કરતો હતો. તેમજ રાજલબેનને જાહેરમાં ગાળો દઇ મારકુટ પણ કરી લેતો હતો.
સોમવારે સવારે છએક વાગ્યે હું અને મારી બહેન તથા ભાણી સહિતના બોટાદના ગઢડાના કેરીયા ગામે ભત્રીજી ગુડ્ડીબેનને ત્યાં માતાજીનો માંડવો હોઇ ત્યાં જવા રવાના થયા હતાં. પાછળ મારી દિકરી રાજલબેન ઘરે એકલી હતી. બાદમાં સાડા અગિયારેક વાગ્યે મારા નણંદ નીલાબેનના દિકરા ભીમાભાઇએ મને ફોન કરી જાણ કરેલી કે તમારા ઘરમાં કંઇક બન્યું છે અને માણસો તમારા ઘરમાં જાય છે. થોડીવાર બાદ ફરીથી ભીમાભાઇનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે તમારા ઘરમાં રાજેશ મકવાણા છે અને તે રાજલબેનનું માથુ પોતાના ખોળામાં લઇને બેઠો છે અને રાજલબેનનું મોત થઇ ગયું છે.
આ સાંભળી હું અને મારી બહેન સહિતના કેરીયા ગામેથી રાજકોટ આવવા રવાના થયા હતાં. અમે બપોર બાદ ઘરે આવ્યા ત્યારે દિકરી રાજલબેન ઘરમાં મૃત હાલતમાં જોવા મળી હતી. પોલીસ પણ હાજર હતી. કાર્યવાહી બાદ મારી દિકરીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઇ જવામાં આવ્યો હતો. મારી દિકરી છુટાછેડા બાદ અમારી સાથે રહેતી હોઇ ત્રણેક વર્ષથી લાલપરીનો રાજેશ મકવાણા તેની પાછળ પડી ગયો હતો અને વારંવાર અમારી ઘરે આવી રાજલબેનને પોતાની સાથે પરાણે સંબંધ રાખવાનું કહી ગાળો દઇ મારકુટ કરતો હતો. જાહેરમાં માથાકુટ પણ કરતો રહેતો હતો. મારી દિકરીને જબરદસ્તીથી તે સંબંધ રાખવા મજબૂર કરતો હોઇ કંટાળી જતાં તેણી મરી જવા મજબૂર થઇ હતી અને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. તેમ વધુમાં મધુબેને ફરિયાદમાં જણાવતાં પીઆઇ આર. જી. બારોટની રાહબરીમાં પીએસઆઇ પી. બી. ત્રાજીયાએ ગુનો નોંધી આરોપીને સકંજામાં લીધો છે.
આપઘાત કરનારના સગાએ જણાવ્યું હતું કે રાજેશ મકવાણાને અગાઉથી જ બે ત્રણ પત્નિ છે. તે ધરાર અમારી દિકરી રાજલબેનની પાછળ પડી ગયો હતો. પીએસઆઇ પી. એ. ગોહિલ અને ગોપાલભાઇએ વિશેષ તપાસ હાથ ધરી છે.