Gujarati News

Gujarati News

News of Friday, 13th May 2022

વિચરતી જાતિના નાગરિકોને મુખ્‍ય પ્રવાહમાં સામેલ કરવા સરકાર તત્‍પર : ભૂપેન્‍દ્રભાઇ

મુખ્‍યમંત્રીના હસ્‍તે રામપરા બેટી - પારેવડા ખાતે વિચરતી - વિમુકત જાતિના લાભાર્થીઓને આવાસ - સનદ - વિનામૂલ્‍યે ગેસ સીલીન્‍ડર અર્પણ - સ્‍થાયી વસાહતનો પ્રારંભ : વડાપ્રધાન નરેન્‍દ્રભાઇએ શરૂ કરેલ ગ્રોથ એન્‍જીનને વધુ ગતિથી દોડાવવા સૌનો સહકાર આવશ્‍યક : યોજનાકીય લાભો મેળવવા લોકોને અપીલ : વિચરતા સમુદાયના નાગરિકોએ મુખ્‍યમંત્રીશ્રીને તેમની પારંપરિક કલાકારીગરીથી સજ્જ કલાકૃતિઓથી નવાજયા : દરેક નાગરિક તેમના સંતાનોને અવશ્‍ય ભણાવે પ્રગતિનો પાયો જ શિક્ષણ છે

રાજકોટ તા. ૧૩ : રાજકોટ તાલુકાના રામપરા બેટી ખાતે  મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલે વિચરતી અને વિમુક્‍ત જાતિના નાગરિકોને ‘વગડામાંથી વ્‍હાલપની વસાહત' કાર્યક્રમ અન્‍વયે વિવિધ લાભો એનાયત કરતા સમુદાયના નાગરિકો પ્રત્‍યે સંવેદનશીલતા દાખવતાં જણાવ્‍યું હતું કે, આ સમુદાયના નાગરિકોને મુખ્‍ય પ્રવાહમાં સામેલ કરવા રાજય સરકાર સદૈવ તત્‍પર છે.

મુખ્‍યમંત્રીશ્રીએ આ પ્રસંગે સ્‍પષ્ટપણે જણાવ્‍યું હતું કે આજે યોજાયેલા કાર્યક્રમમાં સામેલ થવામાં ખૂબ આનંદની લાગણીનો અનુભવ થાય છે કેમકે તેના થકી નાના-છેવાડાના-ગરીબ-વંચિત નાગરિકો માટે કંઈક કરી છૂટવાની લાગણી પેદા થાય છે.

વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈએ ૨૦૦૫થી વિચરતા અને વિમુક્‍ત સમુદાયોને સ્‍થાયી કરવા માટે શરૂ કરેલી આવાસ યોજનાને સફળતાપૂર્વક આગળ ધપાવવા રાજય સરકાર શક્‍ય તમામ પ્રયત્‍નો કરશે તેવો દ્રઢ વિશ્વાસ તેમણે આ પ્રસંગે દોહરાવ્‍યો હતો

મુખ્‍યમંત્રીશ્રીએ રાજયના નાગરીકોના સહકારની આકાંક્ષા ઉચ્‍ચારતાં ઉમેર્યું હતું કે, વડાપ્રધાનશ્રીએ શરૂ કરેલા ગ્રોથ એન્‍જિનને વધુ ગતિથી આગળ ધપાવવા રાજય સરકાર કટિબદ્ધ છે. વડાપ્રધાનશ્રીની સંવેદનાના કિસ્‍સાઓ મુખ્‍યમંત્રીશ્રીએ આ પ્રસંગે ટાંકયા હતા અને કહ્યું હતું કે તેમની સંવેદનાસભર દીર્ઘદ્રષ્ટિથી રાજયના જરૂરીયાતમંદ નાગરિકો તેમની પ્રાથમિક જરૂરિયાતો સંતોષી શક્‍યા છે.

મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલે વિચરતી જાતિના લોકોને અનુરોધ કરતાં કહ્યું હતું કે રાજય સરકારના સંવેદનશીલ કાર્યક્રમોમાં મળતા યોજનાકીય લાભો મેળવી વિકાસ પથ પર અગ્રેસર થવું જોઈએ. વિચરતી જાતિના લોકો માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઉપલબ્‍ધ બનાવાયેલી વીજળી-પાણી-આવાસ-રસ્‍તાઓ વગેરેની સવલતો બદલ મુખ્‍યમંત્રીશ્રીએ જિલ્લ વહીવટીતંત્રની સરાહના કરી હતી

મુખ્‍યમંત્રીશ્રીએ વિચરતી જાતિના લોકોના નાગરિકોને હૃદયસ્‍પર્શી અપીલ કરતા જણાવ્‍યું હતું કે દરેક નાગરિકે તેમના સંતાનને અવશ્‍યપણે ભણાવવા જ જોઈએ. પ્રગતિનો પાયો જ શિક્ષણ છે, ત્‍યારે વિચરતી જાતિના નાગરિકોની સુરક્ષા અને સ્‍વાસ્‍થ્‍યની જાળવણી માટે રાજય સરકાર મક્કમ છે એમ પણ મુખ્‍યમંત્રીશ્રીએ આ તકે ઉમેર્યું હતું.

સામાજિક ન્‍યાય અને અધિકારીતા વિભાગના રાજયમંત્રી શ્રી આર. સી. મકવાણાએ વિચરતી જાતિના લોકો માટે રાજય સરકારે આદરેલા વિકાસ યોજનાની વિગતો રજુ કરી હતી અને મુખ્‍યમંત્રીશ્રીએ રાજયના ગરીબો અને વંચિતો માટે કરેલા વિકાસકામોની ટૂંકી વિગતો આપી હતી. મંત્રીશ્રી મકવાણાએ વિચરતા સમુદાય સમર્થન મંચની પ્રવૃત્તિઓને સરાહના કરી હતી.

રાજયના શિક્ષણ મંત્રીશ્રી તથા જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીએ આજના કાર્યક્રમને સમાજોપયોગી અને સંવેદનાસભર ગણાવતા કહ્યું હતું કે, વ્‍યવસાયની કુશળતા ધરાવતા નાગરિકોને સરનામું તથા જીવન જરૂરી સગવડો આપીને મુખ્‍યમંત્રીશ્રી વિચરતી જાતિના નાગરિકોના આશીર્વાદના અધિકારી બન્‍યા છે અને આશા વ્‍યક્‍ત કરી હતી કે આ સુવિધાનો લાભ લઈને વિચરતી જાતિના લોકો મુખ્‍ય પ્રવાહમાં સામેલ થઈ શકશે.

મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના હસ્‍તે વિચરતી જાતિના લોકોને ૬૫ મકાનોની સોંપણી કરવામાં આવી હતી, આ તમામ મકાનો ૪૦ ચોરસ મીટર જમીન પર બાંધવામાં આવ્‍યા છે. અને આ તમામ મકાનોને પી.જી.વી.સી.એલ.ના સહયોગથી વિવિધ યોજના અન્‍વયે વિના મૂલ્‍યે  વીજ કનેકશન્‍સ તાત્‍કાલિક ધોરણે આપવામાં આવ્‍યા છે. મુખ્‍યમંત્રીશ્રી દ્વારા ૧૯ પ્‍લોટધારકોને સનદ ફાળવણી કરવામાં આવી હતી. ૩૦૦થી વધુ લાભાર્થીઓને ૪૦ ચોરસ મીટરના પ્‍લોટની જમીનના ફાળવણીના હુકમો એનાયત કરવામાં આવ્‍યા હતા. મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઈ પટેલે ઉજ્જવલ ૨.૦ યોજના અંતર્ગત ૨૯ લાભાર્થીઓને ગેસ સીલીન્‍ડરની ફાળવણી કરી હતી.

 મુખ્‍યમંત્રીશ્રી એ આ તકે ૨૦૦ રૂમના હોસ્‍ટેલ નિર્માણની જાહેરાત કરી હતી તેમજ આટકોટ ખાતે પોલીસ માટે રૂ. ૬૪૮.૭૦ લાખના ખર્ચે નવનિર્મિત આવાસો તેમજ રાજકોટ ગ્રામ્‍ય પોલીસ મવડી હેડ ક્‍વાર્ટર ખાતે રૂ. ૧૪૪૩.૬૦ લાખના ખર્ચે નિર્મિત આવાસોનું ઈ-લોકાર્પણ કર્યું હતું. આ સાથે મુખ્‍યમંત્રીશ્રીએ રામપરા બેટી ખાતે સેનિટરી પેડનું વિતરણ કરતા વેન્‍ડિંગ મશીનનું લોકાર્પણ મુખ્‍યમંત્રીશ્રીના હસ્‍તે કરવામાં આવ્‍યું હતું. શુદ્ધ પાણી પૂરું પાડતા ૬૫૦ આર.ઓ. મશીનનું પણ મુખ્‍યમંત્રીશ્રીએ લોકાર્પણ કર્યું હતું.

આમંત્રિતોના હસ્‍તે દિપપ્રગટ્‍યથી કાર્યક્રમનો શુભારંભ થયા બાદ જિલ્લા કલેકટર શ્રી અરુણ મહેશ બાબુએ  સ્‍વાગત પ્રવચનમાં  સામાજિક ન્‍યાય અને અધિકારીતા વિભાગ તેમજ રાજકોટના મંત્રીશ્રી અને જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા રાજકોટના વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે આભારની લાગણી વ્‍યક્‍ત કરી હતી.  

વિવિધ ગામોના સરપંચોએ મુખ્‍યમંત્રીશ્રીનું સ્‍વાગત કર્યું હતું. વિચરતા સમુદાયના અગ્રણીશ્રી અજયભાઈ સોરાણીએ મુખ્‍યમંત્રીશ્રી કન્‍યા કેળવણી નિધિમાં રૂ. ૫૧૦૦૦નો ચેક મુખ્‍યમંત્રીશ્રીને અર્પણ કર્યો હતો. વિચરતા સમુદાય સમર્થન મંચની પ્રવૃત્તિઓ દર્શાવતી ટૂંકી ડોક્‍યુમેન્‍ટરી ફિલ્‍મ આ પ્રસંગે પ્રસારિત કરવામાં આવી હતી.

વી.એસ.એસ.એમ. સંસ્‍થાના અગ્રણી મિત્તલ પટેલે મુખ્‍યમંત્રીશ્રી આ પ્રસંગે પધાર્યા તે બદલ આ અત્‍યંત ખુશી સાથે તેમનો આભાર માની વિચરતી જાતિના લોકો અંગે જણાવ્‍યું હતું કે,  તેઓ વર્ષોથી પરંપરાગત રીતે જીવનશૈલી જીવતા હતાં. આજે તેઓને વસાહત સાથે પાણી, વીજળી, રસોડું અને છત મળવા બદલ તેઓના જીવનમાં ખુબ મોટો બદલાવ આવી રહ્યો છે. વિચરતી જાતિના લોકોને હવે સરનામું મળ્‍યું છે ,તેઓને રાજય સરકારની વિવિધ સહાય માટે તેઓ પાત્રતા ધરાવતા થતાં તેઓએ સમગ્ર વહીવટી તંત્રનો મિત્તલબેને આભાર માન્‍યો હતો..

આ કાર્યક્રમમાં વાહન વ્‍યવહાર વિભાગના રાજયમંત્રીશ્રી અરવિંદભાઇ રૈયાણી, સંસદસભ્‍યશ્રી મોહનભાઈ કુંડારીયા તથા શ્રી રામભાઈ મોકરીયા, ધારાસભ્‍ય સર્વેશ્રી કુંવરજીભાઇ બાવળીયા, ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભુપતભાઈ બોદર, જિલ્લા ભા.જ.પ. પ્રમુખ શ્રી મનસુખભાઈ ખાચરિયા, અધિક મુખ્‍ય સચિવશ્રી પંકજ જોશી, પોલીસ કમિશનર શ્રી ખુરશીદ અહેમદ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી, રેન્‍જ આઇ.જી. શ્રી સંદીપકુમાર, પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ, નગરપાલિકના પ્રાથમિક નિયામકશ્રી ધીમંતકુમાર વ્‍યાસ અધિક નિવાસી કલેકટરશ્રી કે.બી ઠક્કર, એડિશનલ કલેક્‍ટરશ્રી એન.એફ. ચૌધરી અને શ્રી એન. આર.ધાધલ, પ્રાંત અધિકારીઓ, અગ્રણીઓશ્રી મનસુખભાઈ રામાણી, શ્રી નાગદાનભાઈ ચાવડા સહીત મોટી સંખ્‍યામાં વિચરતી જાતિના લોકો જોડાયા હતાં.

મુખ્‍યમંત્રીશ્રીના હસ્‍તે રામપરા બેટી ખાતે કરવામાં આવેલ વિતરણ

  •  વિચરતી જાતિના ૬૫ પરિવારોને પાણી તેમજ વીજળી કનેક્‍શન સાથે ‘ઘરનું ઘર'
  •  ૧૯ પ્‍લોટધારકોને સનદ ફાળવણી, ૩૦૦થી વધુ લાભાર્થીઓને ૪૦ ચોરસ મીટરના પ્‍લોટની જમીન ફાળવણીના હુકમો
  •  ઉજ્જવલા યોજના અંતર્ગત ૨૯ લાભાર્થીઓને ગેસ સીલીન્‍ડરની ફાળવણી
  •  કાર્યક્રમ દરમ્‍યાન મુખ્‍યમંત્રીશ્રીની ૨૦૦ રૂમના હોસ્‍ટેલ નિર્માણની જાહેરાત
  • આર.ઓ.મશીન, સેનિટરી પેડ વેન્‍ડીંગ મશીન, ઇ રીક્ષા, પોલિસ આવાસનું ઇ-લોકાર્પણ

 

બોલ બેટા !! શું પ્રોબ્‍લેમ છે ?! ભણજે હો...

રાજકોટ : આજે રામપરા બેટી ખાતે આવાસ-સનદ લોકાપર્ણ સમયે ત્‍યાં રહેતા વિચરતી વિમુકત જાતિના પરિવારના એક બાળકને પાસે બોલાવી તારે શું પ્રોબ્‍લેમ છે. દિકરા ભણજે હો... હાલ શું કરે છે તેની વિગતો જાણી હતી અને શીખ આપી હતી, આ સમયે મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણી,  આર.સી. મકવાણા પણ ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા. (તસ્‍વીર : સંદિપ બગથરીયા)

(3:45 pm IST)