Gujarati News

Gujarati News

News of Saturday, 13th March 2021

કોરોનાનો હાહાકાર : રામકૃષ્ણ આશ્રમના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદ સહિત દસ સન્યાસી અને પાંચ કર્મચારી સંક્રમિત

આશ્રમ પરિસરની બધી જ પ્રવૃત્તિઓ સ્થગિત : બધાને સોશિયલ ડીસ્ટન્સ જાળવવા, માસ્ક પહેરવા, ટેસ્ટ કરાવી લેવા અપીલ : ૮૩ વર્ષના સ્વામી અદિભાવાનંદજીની હાલત ગંભીર : વોકહાર્ટમાં સારવાર હેઠળ : સંપર્કમાં આવેલ અન્ય ૯ સંતોના રિપોર્ટ પણ પોઝિટિવ આવતા તે તમામને સંસ્થામાં હોમ આઇસોલેશનમાં રખાયા

રાજકોટઃ તા.૧૩, કુદરતી આફત કે કોઈપણ પ્રકારની મુશ્કેલીના સમયમાં પણ સતત રાષ્ટ્રનિર્માણ અને સેવાના કાર્યોમાં અગ્રેસર રહેતા રામકૃષ્ણ આશ્રમ રાજકોટના અધ્યક્ષ સહિત દસ સંન્યાસી અને પાંચ કર્મચારી કોરોનાથી સંક્રમિત હોવાથી તાત્કાલિક ધોરણે આશ્રમ પરિસરમાં થતી બધી જ પ્રવૃત્તિઓ થોડા સમય માટે સ્થગિત કરવામાં આવી છે.

 આ અંગે વધુ વિગત આપતા અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ જણાવ્યું હતું કે, આશ્રમના ૮૩ વર્ષના સ્વામી અદિભાવાનંદજી છેલ્લા ઘણા વર્ષોથી ડાયાબિટીસ અને અન્ય બીમારીની સારવાર લઈ રહ્યા છે. ત્રણ દિવસ પહેલાં તેમને ખૂબ જ નબળાઈ અનુભવતા ડોકટરની સલાહ અનુસાર કોરોનાનો ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. જે ત્યારે નેગેટિવ આવ્યો હતો. ફરીથી ડોકટરની સલાહ પ્રમાણે ગઈકાલે તેમને વોકહાર્ટ હોસ્પિટલમાં સંપૂર્ણ બોડી ચેકઅપ માટે લઈ જવાયા હતા. ત્યારે સીટીસ્કેન દરમિયાન તેમને કોરોના પોઝિટિવ અને ન્યૂમોનિયા જણાયા હતા. તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે.

 તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે, અમને આ વાતની જાણ થતાં જ રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગને જાણ કરી આશ્રમના બધા જ સંન્યાસીઓ અને કર્મચારીઓનો એન્ટીજન ટેસ્ટ કરવા માટે વિનંતી કરી હતી. જેમાં  નવ સંન્યાસીઓ અને પાંચ કર્મચારીઓ પણ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. અમે બધા જ કવોરેન્ટાઇન થઈ ગયા છીએ અને જરૂરી દવાઓ લેવાની શરૂ કરી દીધી છે. તકેદારીના પગલારૂપે આશ્રમનો મુખ્ય દરવાજો જાહેર જનતા માટે બંધ કરવામાં આવ્યો છે અને આશ્રમ પરિસરની બધી જ પ્રવૃત્તિઓ અટકાવી દેવામાં આવી છે. અનુયાયીઓને વિનંતી  કરાઇ છે કે આશ્રમ દ્વારા સમય અંતરે હેલ્થ અપડેટ આપવામાં આવશે. પરંતુ ટેલીફોનીક સંપર્ક દ્વારા સારવારમાં ખલેલ ન પહોંચાડવા વિનંતી પણ કરાઇ છે. સાથો સાથ  બધા જ અનુયાયીઓ અને નાગરિકોને અપીલ કરીએ છીએ કે તેઓ સામાજિક અંતર જાળવે, માસ્ક પહેરે અને જો કોરોનાના સહેજ પણ લક્ષણો દેખાય તો મહાનગરપાલિકા દ્વારા વિનામૂલ્યે થતો કોરોના ટેસ્ટ કરાવી લેવા અપીલ કરાઇ છે.

  • તંત્રએ ટેસ્ટીંગ વધારવા જોઇએ

નોંધનિય છે કે છેલ્લા ૧૫ દિવસથી ગુજરાતભરમાં કોરોનાએ ઉપાડો લીધો છે અને હવે રાજકોટમાં પણ કેસ વધવા લાગ્યા છે ત્યારે સૌએ સાવચેતી રાખવી જરૂરી છે તેમજ મ.ન.પા. તંત્રએ પણ ટેસ્ટીંગ વધારવા જોઇએ.

  • આશ્રમનાં સંતોએ કોરોના વેકસીનનો પ્રથમ ડોઝ લીધો હોવા છતા સંક્રમીત થયા

રાજકોટઃ નોંધનીય છે કે આશ્રમના સંતોએ હજુ થોડા દિવસ અગાઉ જ વેકસીનનો પ્રથમ ડોઝ મુકાવેલ. ત્યાર બાદ સંક્રમીત થયા હતા.

(3:00 pm IST)