Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

રાત્રે કો'ક પલંગ ખેંચતું હોવાના ભ્રમથી કંટાળીને સળગેલા ચિરાગે દમ તોડ્યો

કુંભમેળામાંથી આવ્યા બાદ માનસિક અસ્વસ્થ જેવો થઇ ગયો હતો : કોઠારીયાના વણકર યુવાને મોડી રાત્રે ખાનગી હોસ્પિટલમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૧૩: કોઠારીયા ગામના વીર મેઘમાયાનગર-૩માં રહેતાં ચિરાગ દિનેશભાઇ ચોૈહાણ (ઉ.૨૪) નામના વણકર યુવાને ગઇકાલે અગ્નિસ્નાન કરી લેતાં સિવિલ હોસ્પિટલમાં અને ત્યાંથી ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. તેનું મોડી રાત્રે પોણા બે વાગ્યે મોત નિપજ્યું છે. આ યુવાન કુંભના મેળામાંથી આવ્યા બાદ તે સતત અસ્વસ્થ રહેતો હતો અને રાત્રે પોતાનો પલંગ કો'ક ખેંચતું હોવાનું રટણ કરતો હતો.

પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ આપઘાત કરનાર ચિરાગ એક ભાઇ અને એક બહેનમાં નાનો હતો અને છુટક કડીયાકામની મજૂરી કરતો હતો. તે કુંભના મેળામાંથી પરત આવ્યા બાદ માનસિક બિમારી લાગુ પડી હોઇ તેવું વર્તન કરવા માંડ્યો હતો. તેમજ કોઇક રાત્રે તેને હેરાન કરે છે તેવો ભ્રમ થઇ ગયો હતો. ગઇકાલે અગ્નિસ્નાન કરી લેતાં પહેલા સિવિલ હોસ્પિટલમાં અને બાદમાં પ્રગતિ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો જ્યાં મોડી રાત્રે મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. આજીડેમના હેડકોન્સ. નરેન્દ્રભાઇ ચાવડા અને દિગુભા રાણાએ પ્રાથમિક કાર્યવાહી કરી હતી. હેડકોન્સ. જયેશભાઇ નિમાવત વધુ તપાસ કરે છે. (૧૪.૫)

(11:50 am IST)