Gujarati News

Gujarati News

News of Friday, 11th December 2020

લીંબડી પાસે ૩ દિ' પહેલા કાર અકસ્માતમાં ઘાયલ થયેલા નવલનગરના એડવોકેટ દિનેશભાઇ ઝીંઝુવાડીયાનું મોત

૮મીએ સુરતના ચીખલી જતી વખતે કારને પાછળથી ટ્રકે ટક્કર મારી હતીઃ બીજા બે લોકોનો બચાવ થયો હતો

રાજકોટ તા. ૧૧: લીંબડીના વસ્તડી નજીક ત્રણ દિવસ પહેલા કારને પાછળથી ટ્રક જેવા વાહને ટક્કર મારતાં કારમાં બેઠેલા રાજકોટના એડવોકેટને ગંભીર ઇજા થઇ હતી. જ્યારે સાથેના બે લોકોનો નજીવી ઇજા સાથે બચાવ થયો હતો. સારવાર દરમિયાન એડવોકેટનું મૃત્યુ નિપજતાં પરિવારજનોમાં શોક છવાઇ ગયો છે.

જાણવા મળ્યા મુજબ નવલનગર-૨માં રહેતાં અને વકિલાત કરતાં દિનેશભાઇ જગજીવનભાઇ ઝીંઝુવાડીયા (સુથાર) (ઉ.વ.૫૮) તા. ૮ના રોજ પોતાની કારમાં બીજા બે લોકો સાથે કામ સબબ સુરતના ચીખલી ખાતે જવા રાજકોટથી નીકળ્યા ત્યારે રાત્રીના અગિયારેક વાગ્યે લીંબડી નજીક વસ્તડી પાસે કારને પાછળથી અજાણ્યા ટ્રક જેવા વાહને ટક્કર મારતાં દિનેશભાઇને ઇજા થતાં લીંબડી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. સાથેના બે લોકોનો બચાવ થયો હતો.સારવાર દરમિયાન દિનેશભાઇનું ગત મોડી રાતે મૃત્યુ નિપજતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. હોસ્પિટલ ચોકીના વાલજીભાઇ નિનામાએ જોરાવરનગર પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર દિનેશભાઇ બે ભાઇ અને ત્રણ બહેનમાં નાના હતાં. તેમના પત્નિનું નામ રીનાબેન છે. માતા ચંપાબેન હયાત છે. પિતા હયાત નથી. સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. બનાવને પગલે પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

(11:20 am IST)