Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

હિરામનનગરના રિક્ષાચાલક પ્રભુભાઇનું જામનગર રોડ પર બેભાન થઇ ગયા બાદ મોત

રાજકોટ તા. ૧૧: રૈયા રોડ હનુમાન મઢી પાછળ હિરામન નગરમાં રહેતાં પ્રભુભાઇ ભીખાભાઇ શિયાળીયા (ઉ.વ.૬૦) ગઇકાલે બપોરે બે વાગ્યા આસપાસ જામનગર રોડ સાંઢીયા પુલથી સ્લમ કવાર્ટર જવાના રસ્તા પર સિંધી કોલોની પાસે શકિત ડેરીની બાજુમાં બેભાન થઇ પડી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. 

મૃત્યુ પામનારને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પોતે રિક્ષા હંકારી ગુજરાન ચલાવતાં હતાં. ભાડુ લઇને જામનગર  રોડ પર ગયા બાદ પાણી પીવા માટે રિક્ષા સાઇડમાં ઉતરીને પુલ પાસે ગયા ત્યારે ચક્કર આવતાં પડી ગયા બાદ બેભાન થઇ જતાં કોઇએ અજાણ્યા પુરૂષ તરીકે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતાં. બાદમાં તેમની ઓળખ થઇ હતી. સારવારમાં દમ તોડી દેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.  એએસઆઇ હરેશભાઇ રત્નોતર, હેડકોન્સ. વી. બી. રાજપૂત અને માયાબેને જરૂરી કાર્યવાહી કરી હતી.

અમરજીતનગરના રમેશભાઇ વાઘેલાનું બેભાન હાલતમાં મોત

એરપોર્ટ રોડ બગીચા નજીક અમરજીતનગરમાં રહેતાં રમેશભાઇ શંકરભાઇ વાઘેલા (ઉ.વ.૫૧) સાંજે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. ગાંધીગ્રામના એએસઆઇ મેરામભાઇ ડાંગર અને મહેશભાઇ કછોટે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતકને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મૃત્યુ પામનાર રમેશભાઇ આરએમસીમાં સફાઇ કામદાર હતાં.

(12:59 pm IST)