Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

મોરબી રોડ પર ટ્રકની ઠોકરે ચડતાં જમીન-મકાનના ધંધાર્થી જીતેન્દ્રભાઇ પરમારનું મોત

ગ્રાહકને જગ્યા બતાવીને બાઇક પર પાછા આવી રહ્યા હતાં ત્યારે કાળ ભેટ્યો : બેડીપરાના કારડીયા રજપૂત પરિવારમાં કલ્પાંતઃ ચાલક ટ્રક મુકી ભાગી ગયો

રાજકોટ તા. ૧૧: મોરબી રોડ પર ભગવતી હોલ તરફ જતાં રોડ પર સાંજે સાડા સાતેક વાગ્યે ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઉલાળતાં બાઇક ચાલક બેડીપરામાં રહેતાં જમીન મકાનના ધંધાથી કારડીયા રાજપૂત આધેડને ગંભીર ઇજા થતાં મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે.

પ્રાપ્ત માહિતી મુજબ બેડીપરા સિતારામ રોડ વિજય ફૂટવેરવાળી શેરીમાં રહેતાં જીતેન્દ્રભાઇ ખેંગારભાઇ પરમાર (ઉ.૪૭) પોતે જમીન મકાન લે-વેંચનું કામ કરતાં હોઇ ગત સાંજે એક ગ્રાહકને મોરબી રોડ પર જગ્યા બતાવવા ગયા હતાં. ત્યાંથી પોતે પોતાના બાઇક નં. જીજે૩બીકયુ-૬૫૯૬ હંકારી ઘર તરફ પરત આવી રહ્યા હતાં ત્યારે મોરબી રોડ ભગવતી હોલ તરફ જતાં રોડ પર ટ્રક ટ્રેલર નં. જીજે૧૨એડબલ્યુ-૦૬૯૮ના ચાલકે પાછળથી ઠોકરે લેતાં તેઓ ફંગોળાઇ જતાં છાતી-હાથના ભાગે ગંભીર ઇજાઓ થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.

હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને ધીરેનભાઇ ગઢવીએ બી-ડિવીઝનમાં જાણ કરતાં પી.એસ.આઇ. એચ. જી. ગોહિલે મૃતકના કાકા પ્રવિણભાઇ હીરાભાઇ પરમાર (ઉ.૫૦)ની ફરિયાદ પરથી ટ્રક ચાલક સામે ગુનો નોંધ્યો હતો. તે અકસ્માત સર્જી પોતાનું વાહન રેઢુ મુકી ભાગી ગયો હતો.

મૃત્યુ પામનાર જીતેન્દ્રભાઇ ત્રણ ભાઇ અને બે બહેનમાં વચેટ હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. આ બંનેએ પિતાની છત્રછાંયા ગુમાવતાં ગમગીની છવાઇ ગઇ છે.

(12:11 pm IST)