Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

વેપારીઓની નજર ચુકવી રોકડ ચોરી કરતાં જામનગરના બે રિઝવાન પાસામાં

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે વોરન્ટ ઇશ્યુ કરતાં ભકિતનગર પોલીસે બજવણી કરી

રાજકોટ તા. ૧૧: પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે વધુ બે શખ્સને પાસા તળે જેલમાં ધકેલી દીધા છે. વેપારીઓને દૂકાને જઇ માલિકોને વાતચીતમાં પરોવી રોકડ ચોરી લેવાના ગુનાઓમાં સંડોવાયેલા જામનગરના બે શખ્સને પાસા તળે જેલમાં ધકેલવા હુકમ કરતાં ભકિતનગર પોલીસે વોરન્ટની બજવણી કરી છે.

જામનગર ખોજા ચકલાના રિઝવાન ઉર્ફ બાજીગર ઉર્ફ રિયાઝ અયુબભાઇ વેહવારીયા (મેમણ) (ઉ.૩૧) અને જામનગર  સેતાવાડના રીઝવાન ઉર્ફ દાણી મહમદભાઇ કોરેંજા (સિપાહી) (ઉ.૨૮)ને અગાઉ ક્રાઇમ બ્રાંચે દબોચી લેતાં વેપારીઓને વાતચીતમાં પરોવી કે માલસામાન લેવા વેપારી માળીયા પર ચડે કે બાજુની દૂકાને જાય ત્યારે ત્યાંથી રોકડ ચોરી કરવાના અનેક ગુનાઓનો ભેદ ઉકેલાયો હતો. ભકિતનગર પોલીસે પણ આ બંનેને કબ્જો લઇ ધરપકડ કરી હતી. રાજકોટ ઉપરાંત લખતર, લીંબડીમાં પણ આવા ગુના નોંધાયા હતાં.

આ બંનેને પાસામાં ધકેલવાની દરખાસ્ત મુકવામાં આવતાં તે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે મંજુર કરી રિઝવાન ઉર્ફ બાજીગરને સુરત જેલમાં અને રિઝવાન ઉર્ફ દાણીને અમદાવાદ જેલમાં ધકેલવા હુકમ કરતાં પી.આઇ. વી. કે. ગઢવી, હેડકોન્સ. નિલેષભાઇ મકવાણા, ઘનશ્યામભાઇ મેણીયા, રણજીતસિંહ પઢારીયા, વિક્રમ ગમારા, કોન્સ. મહેશભાઇ જોગડા, દેવાભાઇ ધરજીયા, ભાવેશભાઇ મકવાણા, વાલજીભાઇ જાડા, રાજેશભાઇ ગઢવી સહિતે બજવણી કરી છે.

(3:40 pm IST)