Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

પીજીવીસીએલની હૃદયસ્પર્શી અપીલઃ નજીવી કિંમતના પતંગ માટે કિંમતી જીંદગી જોખમમાં ન મૂકોઃ ટોલ ફ્રી નંબર પણ જાહેર કર્યા

રાજકોટ, તા. ૧૧ :. રજકોટ વીજતંત્ર દ્વારા પોતાના ગ્રાહકો તથા જાહેર જનતાને ઉતરાયણ પૂર્વ ઉત્સાહ અને વીજ સલામતીપૂર્વક ઉજવવા તથા વીજ અકસ્માત નિવારવા માટે પતંગ ચગાવતી વખતે નીચે જણાવેલ વિગતો-મુદ્દાઓ અવશ્ય ધ્યાનમાં રાખવા નમ્ર વિનંતી કરાઈ છે.

- વીજળીના તારને અડકશો નહિં.

- પતંગ કે દોરી વીજળીના થાંભલા કે તારમાં ફસાઈ જાય ત્યારે તેને લેવા માટે થાંભલા ઉપર કે તાણીયા ઉપર ચડશો નહિ, કારણ કે તેમ કરવુ ખૂબ જ જોખમ કારક છે.

- વીજળીના વાયર-તાર ઉપર પડેલ પતંગ લેવા લંગર નાખશો નહિ. આ રીતે લંગર નાખીને તેને ખેંચવાથી વીજળીના તાર ભેગા થતા મોટા ભડાકા થવાથી, તાર તૂટી જવાની, અકસ્માત થવાની તેમજ વીજ વપરાશના સાધનો (ઉપકરણો) બળી જવાની સંભાવના રહેલી છે.

- તમારા ધરની આજુબાજુમાં કે કોઈપણ જગ્યાએ થાંભલા કે વીજળીના તારમાં અટવાયેલા પતંગ લેવા માટે લાકડી કે લોખંડના સળીયા વડે તેને કાઢવાની કોશિષ કરશો નહિં, કારણ કે તેનાથી વીજ અકસ્માત થવાની પુરેપુરી શકયતા છે.

- ધાતુના તાર બાંધીને પતંગ ઉડાડશો નહિ કારણ કે ધાતુના તાર વીજળીના તારને અડકતા વીજળીનો આંચકો લાગવાની અને અકસ્માત સર્જાવાની સંભાવના રહે છે.

- વીજળીના તૂટેલા તારથી દૂર રહો. નજીકના વાયર પર વીજ કરંટ ઉતરતો હોય તો તે બાબતની ફરીયાદ, અમારી સંલગ્ન પેટા-વિભાગીય કચેરી ઉપર રૂબરૂમાં અથવા ફોન દ્વારા તુરંત જ આપો.

- પતંગ ચગાવવા માટે મેગ્નેટિક ટેપ તથા અન્ય વાયરોનો ઉપયોગ કરવો નહિ.

- સિન્થેટીક દોરી કે વીજ વાહક માંજાનો ઉપયોગ કરવો નહિ કેમ કે, તેનાથી પાવર લાઈન કપાઈ જવાનો ભય સેવાય છે, જેને લીધે અંધારપટ છવાઈ જવાની તેમજ વીજ અકસ્માત થવાની શકયતા રહે છે.

ઉપરોકત સૂચનાઓ યાદ રાખી અકસ્માત ના સર્જાય તેની સાવચેતી રાખશો અને વીજ અકસ્માત ટાળશો

- દરેક માનવંતા ગ્રાહકોએ તેમનો મોબાઈલ નંબર સંબંધિત પેટા વિભાગીય કચેરીએ રજીસ્ટર કરાવવા વિનંતી , જેથી તેમના બીલ અંગેની, વિજ પુરવઠા અંગેની માહિતી મોબાઈલ નંબર પર મળી શકે છે.

- કોઈપણ વિજ ફરીયાદ માટે ટોલ ફ્રી નં. ૧૮૦૦ ૨૩૩ ૧૫૫ ૩૩૩ અથવા ૧૯૧૨૨ ફોન કરવા વિનંતી છે.

(4:32 pm IST)