Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

વિધાનસભા પેટાચૂંટણી : જાહેરસભામાં ૨૦૦ની મર્યાદા

પેટા ચૂંટણીઓમાં પ્રચાર માટે કોવિડ-૧૯ અંતર્ગત નિયમો જાહેર : જિલ્લા કલેકટર - પોલીસ કમિશનરની મંજુરી મેળવીને જ પ્રચાર થઇ શકશે : મંચ પર સાત વ્યકિત માત્ર ખુરશીમાં બેસી શકશે : 'ડોર ટુ ડોર' પ્રચાર માટે પાંચની મર્યાદા : ખુલ્લા મેદાનમાં જ સભા થઇ શકશે : બાઇક રેલી માત્ર ૩૦ મીનીટ

રાજકોટ તા. ૧૦ : રાજયમાં યોજાનારી વિધાન સભાની ૮ બેઠકોની પેટા ચૂંટણીના પ્રચાર માટે પ્રવર્તમાન કોરોના વાયરસના સંક્રમણ અને લોકોના આરોગ્ય સુખાકારી ધ્યાનમાં લઈને ભારતના ચૂંટણી પંચના દિશા નિર્દેશોને પગલે રાજય સરકારે ચૂંટણી પ્રચાર સંદર્ભે કેટલીક માર્ગ દર્શક અગત્યની સૂચનાઓ એસ. ઓ.પી જાહેર કરી છે.

આ માર્ગદર્શિકાની મુખ્ય બાબતો આ મુજબ છે. જે જગ્યાએ ચૂંટણી યોજાવાની છે ત્યાં પ્રચાર સભા કે અન્ય પ્રચાર માટે જે તે જિલ્લા મેજિસ્ટ્રેટ /પોલીસ કમિશનર ની મંજૂરી મેળવી નીચે મુજબની ગાઈડ લાઈન સાથે સભા કે પ્રચાર કામગીરી કરી શકાશે. જેમા સભાના આયોજન માટે બંધ જગ્યામાં જગ્યા / સ્થળની ક્ષમતાના ૫૦% પરંતુ મહત્તમ ૨૦૦ વ્યકિતની મર્યાદા રહેશે.

ખુલ્લી જગ્યામાં આ પ્રકારના કાર્યક્રમો માટે મેદાન / સ્થળના વિસ્તારને ધ્યાને લઇ ૬ ફૂટની દૂરી સાથેનું સોશ્યલ ડીસ્ટન્સીંગ સમગ્ર સમારંભ દરમિયાન ચહેરાને યોગ્ય રીતે ઢાંકી રાખવો, થર્મલ સ્કેનીંગની સગવડતા, હેન્ડ વોશ - સેનેટાઈઝરની સુવિધાની શરતે ૧૦૦ થી વધુ વ્યકિતઓના ચૂંટણી સંબંધિત રાજકીય સમારંભ માટે મંજુરી આપી શકાશે. સભા અને મીટીંગના સ્ટેજ ઉપર સોશીયલ ડિસ્ટન્સીંગ સાથે વ્યકિતગત ખુરશી પર (સોફા રાખી શકાશે નહી) ૭થી વધુ વ્યકિતઓ સ્ટેજ ઉપર બેસી શકશે નહીં . જો સ્ટેજ મોટું હોય તો આગળ –પાછળ હરોળમાં વધુમાં વધુ ૧૪ લોકો (હરોળ દીઠ ૭ વ્યકિતઓ) બેસી શકશે.

આ પ્રકારના કાર્યક્રમ માટે જિલ્લા મેજિસ્ટ્રેટ - પોલીસ કમિશ્નરને પૂર્વમંજુરી માટે અરજી કરવાની રહેશે . જેમાં કાર્યક્રમની તારીખ, સમય, સ્થળ તથા તેમાં હાજર રહેનાર વ્યકિતઓની સંભવિત સંખ્યા દર્શાવવાની રહેશે. આવા કાર્યક્રમમાં હાજર રહેનાર વ્યકિતઓની સંખ્યા તથા અન્ય શરતોના પાલનની જવાબદારી આયોજકની રહેશે..

ડોર ટુ ડોર પ્રચારમાં ઉમેદવાર સહિત ૫ વ્યકિતની મર્યાદા રાખો શકાશે.

રોડ શો - બાઇક રેલીમાં વાહનોના કાફલામાં દર પાંચ વાહનો પછી યોગ્ય અંતર રાખવાનું રહેશે.

વાહનોના બે કાફલા વચ્ચે ૧૦૦ મીટરના અંતરના બદલે ૩૦ મીનીટનો સમયગાળો રાખવાનો રહેશે.

ચૂંટણી મીટીંગમાં કોવિડ-૧૯ની ગાઇડલાઇન અને સૂચનોને અનુરૂપ રહીને માણસો એકઠા કરી અથવા રેલી યોજી શકાશે.

જિલ્લા ચૂંટણી અધિકારીએ રેલી - સભા માટે મેદાનો અગાઉથી નક્કી કરવાના રહેશે.

જેમાં આવન - જાવનની ચોક્કસ વ્યવસ્થા રાખવાની રહેશે . આવા મેદાનોમાં સોશીયલ ડિસ્ટન્સીંગના માપદંડો જળવાય તે માટે નિશાનીઓ કરવાની રહેશે.

નિયત કરવામાં આવેલ સંખ્યા કરતા લોકો વધે નહિ તે અંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને પોલીસ અધિક્ષકએ કાળજી લેવાની રહેશે.

કોવિડ-૧૯ સંદર્ભે આપવામાં આવેલ સૂચનાઓ જેમ કે, ચહેરાને યોગ્ય રીતે ઢાંકવો, સિનિટાઈઝરનો ઉપયોગ, થર્મલ સ્કેનિંગ વગેરેનો અમલ થાય તે માટે રાજકીય પક્ષો અને ઉમેદવારોએ કાળજી લેવાની રહેશે.

ઉમેદવાર દ્વારા નામાંકન દાખલ કરતા સમયે બેથી વધુ વ્યકિત તથા બેથી વધુ વાહનો રાખી શકાશે નહી.

(2:41 pm IST)