Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

વીજ ઈજનેરોનું આંદોલન આજે બીજા દિવસે પણ ચાલુઃ રામધૂન-ધરણાઃ ગોહેલની બદલી તાકિદે રદ્દ કરો

૧૦૦ ઈજનેરોની હાજરી પુરી ફરજ મોકુફીઃ મેનેજમેન્ટ દ્વારા કોઈ હકારાત્મક વલણ નહી

વીજ ઈજનેરોએ ડે. ઈજનેર ગોહેલની બદલીના વિરોધમાં આંદોલન ચાલુ કર્યુ છે. આજે સતત બીજા દિવસે પણ ધરણા-રામધૂન યોજયા હતા

રાજકોટ, તા. ૧૦ :. રાજકોટના વીજ તંત્રના ડે. ઈજનેર શ્રી ગોહેલની બદલીના વિરોધમાં આજે સતત બીજા દિવસે પણ ૧૦૦ ઈજનેરોએ હાજરી પુરી ફરજ મોકુફ રહી ધરણા-રામધૂન કર્યા હતા.

જીઈબી એન્જીનીયર્સ એસોસીએશન દ્વારા વિજયાદશમીના રોજ નાયબ ઈજનેર શ્રી એમ.એમ. ગોહેલની કુદરતી ન્યાયના સિદ્ધાંત વિરૂદ્ધ રાજકોટથી અંજાર ખાતે બદલી કરતા જીબીઆ દ્વારા અધિક્ષક ઈજનેર અને મુખ્ય ઈજનેરને આવેદનપત્ર આપવામાં આવેલ હતું, પરંતુ ખેદપૂર્વક જણાવવાનું કે આ બાબતે મેનેજમેન્ટ દ્વારા કોઈપણ સકારાત્મક વલણ બતાવવામાં આવેલ નથી. ગઈકાલે રાજકોટ શહેરના વિવિધ કેટેગરીને વીજ પુરવઠો પુરો પડતા ૧૦૦થી વધુ ઈજનેરો દ્વારા શહેર વર્તુળ કચેરી પાસે રામધૂન બોલાવી શ્રી ગોહેલનો ઓર્ડર રદ્દ કરવા માંગણી કરેલ હતી.

રાજકોટ શહેરના વિવિધ પ્રકારના કુલ ૫.૫૦ લાખ ગ્રાહકોને આ ઈજનેરો અન્ય સ્ટાફ - કર્મચારીઓની મદદથી સાતત્ય પૂર્વક વીજ પુરવઠો પુરો પાડવા સતત પ્રયત્નશીલ હોય છે. આશરે ૨૫ હજારથી વધુ વીજ જોડાણો દર વર્ષે અપાતા હોય છે. સરકારશ્રીની વિવિધ યોજનાઓ હેઠળ ઘણી કામગીરીઓ જેવી કે ડીઆઈએસએસ, આઈપીડીએસ, સોલાર પ્રોજેકટ વગેરે કામગીરીઓ સારા પ્રમાણમાં કરેલ છે. શ્રી ગોહેલ દ્વારા રાજકોટ શહેરમાં ઘણી સુંદર કામગીરીઓ કરવામાં આવેલ છે. તેઓ દ્વારા ઘણા વીઆઈપી કાર્યક્રમો, તહેવારના કાર્યક્રમો, રથયાત્રા વગેરે કાર્યક્રમોમાં સારી રીતે ડયુટી બજાવવામાં આવેલ છે. કુદરતી રીતે લાઈટીંગ એરેસ્ટર ફાટતા ૩ થી ૪ સેકન્ડનું ટ્રીપીંગ આવેલ અને શ્રી ગોહેલને અન્યાયી રીતે અંજાર બદલી કરવામાં આવેલ છે. જીબીઆની માંગણી છે કે શ્રી ગોહેલનો બદલીનો ઓર્ડર રદ કરી તેમને ફરીથી મૂળ સ્થાને મુકવામાં આવે, ઓર્ડર રદ્દ નહી થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરાઈ હતી.

(3:36 pm IST)