Gujarati News

Gujarati News

News of Tuesday, 9th November 2021

ખોડલધામ મંદિર રંગબેરંગી લાઇટોથી ઝળહળ્યુ : દર્શનાર્થીઓ ઉમટયા : સ્વયંસેવકોની ખડેપગે સેવા

રાજકોટ : દિવાળી અને નવા વર્ષના પર્વમાં લોકો દેવ-દેવતાના દર્શન કરીને નવા વર્ષની શુભ શરૂઆત કરતાં હોય છે, ત્યારે રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના કાગવડ ગામ પાસે આવેલા શ્રી ખોડલધામ મંદિરે દર વર્ષે દિવાળીના તહેવારમાં ભકતો મોટી સંખ્યામાં મા ખોડલના દર્શને પધારે છે. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ દિવાળીના પર્વને ધ્યાને રાખીને શ્રી ખોડલધામ મંદિર પરિસરમાં ખાસ લાઈટીંગ, રંગોળી દ્વારા સુશોભન કરવામાં આવ્યું હતું અને શ્રદ્ઘાળુઓ શાંતિથી દર્શન કરી શકે તે પ્રકારની સંપૂર્ણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. હિંદુ ધર્મમાં દિવાળી અને નૂતન વર્ષના તહેવારનું એક આગવું મહત્વ છે. જયારથી શ્રી ખોડલધામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે ત્યારથી દરેક તહેવારોમાં મોટી સંખ્યામાં શ્રદ્ઘાળુઓ મા ખોડલના દર્શન માટે આવી પહોંચે છે. ખોડલધામ મંદિરે દર્શનાર્થે આવેલા શ્રદ્ઘાળુઓએ આધ્યાત્મિકતાની સાથે સાથે પ્રકૃતિનો પણ અહેસાસ કર્યો હતો. દિવાળીના વેકેશનમાં મોટી સંખ્યામાં શ્રદ્ઘાળુઓએ મા ખોડલના દર્શન કરીને મંદિર પરિસરમાં આવેલા રમણીય બગીચા, ગજીબા, શકિતવનમાં પરિવાર સાથે પ્રકૃતિનો આનંદ માણ્યો હતો. દિવાળીના તહેવાર દરમિયાન દર્શને આવેલા શ્રદ્ઘાળુઓએ શ્રી ખોડલધામ અન્નપૂર્ણાલયમાં મહાપ્રસાદ લીધો હતો. વેકેશનમાં મોટી સંખ્યામાં લોકો મા ખોડલના દર્શને આવતા હોવાથી અન્નપૂર્ણાલયમાં ભકતોને કોઈ મુશ્કેલી ન પડે તેની પણ ખોડલધામ ટ્રસ્ટ દ્વારા તકેદારી રાખવામાં આવી હતી. નેશનલ હાઈવેથી લઈને ખોડલધામ મંદિર સુધી ભકતોને કોઈ તકલીફ ન પડે તે માટે વેકેશનમાં દરરોજ એક હજારથી વધુ સ્વયંસેવકોએ સેવા આપી હતી. ગોંડલ, જેતપુર, જામકંડોરણા, બાબરા, ભેસાણ, જેતપુર, વડીયા, રાજકોટ, અમરેલી, ધોરાજી, ધ્રોલ, જુનાગઢ, જામનગર સહિતની સમિતિઓના સ્વયંસેવકો દિવાળી વેકેશન દરમિયાન પાર્કિંગ, મંદિરમાં દર્શન વ્યવસ્થા, અન્નપૂર્ણાલય, કેન્ટીન, બગીચા, પ્રસાદઘર વગેરે વિભાગોમાં ખડેપગે રહીને સવારથી સાંજ સુધી સેવા ઉમદા સેવા આપી હતી. દિવાળીના વેકેશનમાં માતાજીના દર્શન કરવા માટે મંદિરના અંદરના ભાગથી લઈને બહાર સુધી ભકતોને કોઈ અગવડતા ન પડે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કોરોના મહામારીને ધ્યાને રાખીને કોરોનાની ગાઈડલાઈનનું પાલન થાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી. ઉપરાંત ભકતો માટે વિનામૂલ્યે ચા-પાણીની પણ સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. દિવ્યાંગ કે સિનિયર સિટીઝન માટે મુખ્યગેટથી મંદિર સુધી જવા માટે વ્હીલચેર અને ગોલ્ફકારની વ્યવસ્થા પણ રાખવામાં આવી હતી. દિવાળીના તહેવાર દરમિયાન મા ખોડલનો દરરોજ અવનવા વાઘા અને આભૂષણોથી શણગાર કરવામાં આવ્યા હતા. મંદિર પરિસરમાં દરરોજ અવનવી રંગોળી કરવામાં આવી હતી.

(2:51 pm IST)