Gujarati News

Gujarati News

News of Thursday, 9th March 2023

મંદિરની બહાર ભીક્ષા લેવા માટે બેસાડીને માતા ઘરે રેકડી મુકવા ગયા બાદ સગીરા લાપતા

કાલાવડ રોડ પર બનાવઃ હોળી પૂર્વે માતા સાથે મંદીરે કેસુડાના ફૂલ વેંચવા ગઇ હતીઃ યુનિવર્સિટી પોલીસે અજાણ્‍યા શખ્‍સ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી

રાજકોટ તા. ૮: શહેરના કાલાવડ રોડ પર આવેલા ચમત્‍કારી હનુમાનજીના મંદિર પાસે ભીક્ષા લેવા માટે બેસાડીને માતા રેકડી ઘરે મુકવા ગયા બાદ સગીરા લાપતા થતા યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ કાલાવડ રોડ પર વામ્‍બે આવાસ યોજના કવાર્ટર નજીક રહેતી ૧૪ વર્ષની સગીરા હોળી પૂર્વે તા. ૪ના રોજ કેસુડાના ફુલ વેંચવા માટે માતા સાથે રેકડીમાં ફૂલ ભરીને કાલાવડ રોડ પર આવેલા ચમત્‍કારી હનુમાનજીના મંદિર પાસે ફૂલ વેંચવા ઉભા હતા આખા દિવસ દરમ્‍યાન ફૂલ વેંચાઇ ગયા બાદ માતા રેકડી ઘરે મુકવા જતા પહેલા દીકરીને કહેલ કે ‘‘હું રેકડી મુકીને આવું છું. તું અહિંયા જ મંદિર બહાર બેસ અને શનિવાર છે માટે મંદિરે લોકો આવતા હશે. તેઓ જે ભીક્ષા આપે તે તું અહિંયા બેસીને લે ત્‍યાં સુધીમાં હું ઘરે રેકડી મુકીને આવું છું. અને તારી નાની બહેનને પણ લઇને આવું છું.'' તેમ કહી માતા રેકડી મુકવા માટે ઘરે જતા રહ્યા હતા. થોડીવાર બાદ પરત આવ્‍યા ત્‍યારે સગીરા કયાંય જોવા ન મળતા તેને આજુબાજુ તપાસ કરી હતી મંદિર પાસે બેઠેલા બીજા ભીક્ષુકોને પણ પૂછતા તેણે કહેલ કે ‘તમારી દીકરી કયારની કયાંક જતી રહી છે' તેમ કહેતા તેણે પતિને જાણ કરતા માતા-પિતા સહિતે સગીરાની શોધખોળ હાથ ધરી હતી પરંતુ તેનો કોઇ પતો ન લાગતા યુનિવર્સિટી પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે અજાણ્‍યા શખ્‍સ વિરૂધ્‍ધ અપહરણનો ગુનો દાખલ કરી પી.એસ.આઇ. બી. આર. ભરવાડે તપાસ આદરી છે.

(4:46 pm IST)