Gujarati News

Gujarati News

News of Thursday, 9th March 2023

માધાપર ચોકડીથી એઇમ્‍સ જવાની સીટી બસનો સ્‍ટોપ ફેરવી દેવાતા મુસાફરો હેરાન પરેશાન

એઇમ્‍સ જવા સીટી બસ માધાપર એસટી બસના પીકઅપ પોઇન્‍ટ ખાતેથી મળશે : માધાપર બસ સ્‍ટોપ ફીકસ રાખવા મેયર પ્રદિપ ડવની તાકીદ

રાજકોટ તા. ૯ : શહેરના માધાપર ચોકડીથી એઇમ્‍સ હોસ્‍પિટલ જવા માટેની સીટી બસનો સ્‍ટોપ ગમે ત્‍યારે ફરી જતો હોય મુસાફરો હેરાન-પરેશાન થતાં હોવાની ફરિયાદ ઉઠી છે ત્‍યારે ફીકસ થયેલ માધાપર બસ સ્‍ટોપ રાખવા મેયર પ્રદિપ ડવે સબંધીત વિભાગના અધિકારીને તાકીદ કરી હતી.

માધાપર ચોકડીએ હાલ બ્રીજનું કામ ચાલી રહ્યું છે. ચોકડીથી એઇમ્‍સ જવા માટે મનપા તંત્ર દ્વારા ખાસ સીટી બસની વ્‍યવસ્‍થા કરી છે પરંતુ બ્રીજના કામના કારણે સ્‍ટોપ ફરી ગયો છે. ક્‍યારેક ચોકડી પહેલા અને ક્‍યારેક ચોકડી બાદ ઉભી રહે છે.

મેયરની આ બાબતે જાણ થતાં તેઓએ સબંધિત વિભાગના અધિકારીઓને જણાવ્‍યું હતું કે, જ્‍યાં સુધી બ્રીજનું કામ પૂર્ણ ન થાય ત્‍યાં સુધી માધાપર ચોકડી પહેલા સીટી બસના પીકઅપ પોઇન્‍ટ ખાતે સ્‍ટોપ રાખવા સૂચના આપી હતી. આમ, દર્દીઓને એક જ જગ્‍યાએથી એઇમ્‍સ જવાની બસ મળશે.

(4:27 pm IST)