Gujarati News

Gujarati News

News of Wednesday, 9th January 2019

ચાર માસ પહેલા જ પરણેલા ગાંધીગ્રામ ધરમનગરના તુષાર ચાવડાનું મોત

ગુંદાવાડીની દૂકાને ચક્કર આવ્યા બાદ ઘરે ધરમનગર કવાર્ટરમાં એકાએક બેભાન થઇ ગયોઃ હોસ્પિટલમાં મૃતદેહ જ પહોંચ્યોઃ રજપૂત પરિવારમાં કલ્પાંત

રાજકોટ તા. ૯: ગાંધીગ્રામ રાજ બેંક પાછળ ધરમનગર આવાસ કવાર્ટરમાં રહેતો તુષાર મનુભાઇ ચાવડા (ઉ.૨૮) નામના રજપૂત યુવાનનું બેભાન થઇ ગયા બાદ મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઇ છે. કરૂણતા એ છે કે હજુ ચાર મહિના પહેલા જ આ યુવાનના લગ્ન થયા હતાં.

જાણવા મળ્યા મુજબ તુષાર ગઇકાલે સાંજે ગુંદાવાડીમાં આવેલી કોરાટ રેડીમેઇડ નામની દૂકાનમાં સેલ્સમેન તરીકે નોકરી કરતો હોઇ ત્યાં હતો ત્યારે એકાએક ચક્કર આવતાં પડી જતાં બેભાન જેવો થઇ ગયો હતો. બાદમાં ભાનમાં આવી જતાં ઘરે જતો રહ્યો હતો. રાત્રીના સાડા અગિયારેક વાગ્યે ઘરે તાણ આંચકી ઉપડતાં ફરી બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.

હોસ્પિટલ ચોકીના એએસઆઇ જગુભા ઝાલાએ જાણ કરતાં યુનિવર્સિટીના એએસઆઇ સતિષભાઇ ગામેતીએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર તુષાર બે ભાઇમાં નાનો હતો. તેના પિતા મનુભાઇ સિકયુરીટી તરીકે નોકરી કરે છે. તુષારના લગ્ન ચાર મહિના પહેલા જ મુંબઇની આરતી નામની યુવતિ સાથે થયા હતાં. યુવાન દિકરાના અચાનક મોતથી સ્વજનોમાં કલ્પાંત સર્જાયો છે.

(3:47 pm IST)