Gujarati News

Gujarati News

News of Tuesday, 8th December 2020

સામા કાંઠે ટાયરો સળગાવી છમકલુ કરનારા કોંગી આગેવાન તુષાર નંદાણીની પીધેલી હાલતમાં ધરપકડ

બંધની આગલી રાતે છમકલુ...બી-ડિવીજન પોલીસે ગુનો નોંધી તુરત જ કાર્યવાહી કરી : કાવત્રુ ઘડી જાહેરમાં લોકોભય ઉભો થાય તે રીતે આગ લગાડવા સહિતની કલમો હેઠળ કાર્યવાહી કરી

રાજકોટ તા. ૮: ખેતી વિષયક નવા કાયદાના વિરોધમાં આજે ખેડૂતોએ આપેલા ભારત બંધમાં અનેક પક્ષો અને સંગઠનોનો ટેકો મળ્યો છે. રાજકોટમાં પણ બંધ સફળ બનાવવા કોંગ્રેસ સહિતના પક્ષોના આગેવાનો, કાર્યકરો મેદાનમાં આવી ગયા હતાં. એ દરમિયાન બંધની આગલી રાતે જ સામા કાંઠે સંત કબીર રોડ પર કોંગી આગેવાને રોડ પર ટાયરો સળગાવી છમકલુ કરતાં દોડધામ મચી ગઇ હતી. પોલીસે તાબડતોબ આગેવાનને શોધી કાઢી અલગ-અલગ કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.

જેણે ટાયરો સળગાવ્યા એ કોંગી આગેવાનો કુવાડવા રોડ સરદાર પટલ કોલોનીમાં રહેતાં તુષાર ગોવિંદભાઇ નંદાણી (ઉ.વ.૪૫) હોવાનું ખુલતાં પોલીસે તેની સામે આઇપીસી ૨૮૫, ૨૬૯, ૧૮૮, ૩૩૬, ૧૨૦ (બી) તથા ૮૫ (૧) (૩) મુજબ ગુનો નોંધી ધરપકડ કરી છે. તેની સાથે અન્ય એક શખ્સ પણ સામેલ હોવાનું ખુલતાં તેને પણ હાથવેંતમાં લઇ લેવાયો છે.

પીઆઇ એમ. બી. ઓૈસુરા, રશ્મીનભાઇ પટેલ, વિરમભાઇ ધગલ, પીએસઆઇ ડામોર સહિતે કાર્યવાહી કરી હતી.

(11:55 am IST)