Gujarati News

Gujarati News

News of Friday, 8th December 2017

૧૬મીએ કોર્પોરેશનનું જનરલ બોર્ડઃ પરંતુ પ્રશ્નોત્તરી નહી થાય - દરખાસ્તો પણ પેન્ડીંગ

કલાર્કની ભરતીના નિયમો, દુકાનોની હરરાજી બાદ દસ્તાવેજ સહિત ૫ દરખાસ્તનો એજન્ડા પ્રસિધ્ધ

રાજકોટ તા. ૮ : મ્યુ. કોર્પોરેશનમાં દર બે મહિને મળતી જનરલ બોર્ડની બેઠક આગામી તા. ૧૬ ડિસેમ્બરને શનિવારે સવારે ૧૧ વાગ્યે મળશે. આ માટેનો એજન્ડા પણ આજે સેક્રેટરી શ્રી રૂપારેલિયા દ્વારા મેયર ડો. જૈમન ઉપાધ્યાયની સુચનાથી પ્રસિધ્ધ કર્યો છે.

આ અંગે સત્તાવાર પ્રાપ્ત માહિતી મુજબ આગામી તા. ૧૬ને શનિવારે મળનારી જનરલ બોર્ડ મીટીંગમાં (૧) મ્યુ. કોર્પોરેશનની સિનીયર કલાર્ક સંવર્ગની જગ્યાના ભરતીના નિયમો નક્કી કરવા અંગે (ર) હેડ કલાર્કની જગ્યાની ભરતીના નિયમો નક્કી કરવા (૩) અરવિંદભાઇ મણીયાર પુસ્તકાલય બોર્ડમાં સભ્ય તરીકે કોર્પોરેનના પ્રતિનિધિની નિમણુંક કરવા (૪) રૈયા રોડ ગુરૂ ગોવિંદસિંહજી શોપીંગ સેન્ટરમાં દુકાનોનું જાહેર હરરાજીથી વેચાણ આપી દસ્તાવેજ કરવા (પ) નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું રોજકામ ધ્યાને લેવા સહિત કુલ ૫ દરખાસ્તોનો સમાવેશ છે.

જોકે ઉપરોકત તમામ દરખાસ્તો પેન્ડીંગ રાખવાની ફરજ પડશે કેમકે ૧૮મીએ ચુંટણીના પરિણામ સુધી આદર્શ આચારસંહિતા અમલમાં રહેશે. એટલું જ નહીં. પ્રશ્નોત્તરી પણ નહી થઇ શકે. આમ, ૧૬મીની જનરલ બોર્ડ મીટીંગ માત્ર વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે જ મળશે અને ગણતરીની મીનીટોમાં જ બોર્ડ મીટીંગ પૂર્ણ કરી દેવાશે.

(4:04 pm IST)