Gujarati News

Gujarati News

News of Thursday, 8th September 2022

મૈત્રી કરારથી સાથે રહેતી યુવતિએ સાયબર સેલમાં અરજી કરતાં વિશાલ રાઠોડનો આપઘાત

એક વર્ષ પહેલા બંને ઇંસ્‍ટાગ્રામથી સંપર્કમાં આવતાં કરાર કર્યા હતાં: હાલમાં યુવતિ તેના માવતરે છેઃ મોરબી રોડ સ્‍વપ્‍નદિપ સોપાન એપાર્ટમેન્‍ટનો બનાવ

રાજકોટ તા. ૮: મોરબી રોડ પર સેટેલાઇટ ચોક સ્‍વપ્‍નદિપ સોપાન એપાર્ટમેન્‍ટ ફલેટ નં. ૧૦૪માં રહેતાં વિશાલ નરેશભાઇ રાઠોડ (માળી) (ઉ.વ.૩૩)  નામના યુવાને પંખામાં શાલ બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી. આ યુવાને જેની સાથે મૈત્રી કરાર કર્યા હતાં એ યુવતિ હાલ તેના માવતરે ગઇ હોઇ અને તેણીએ સાયબર સેલમાં અરજી કરી હોઇ તેના કારણે માઠુ લાગતાં આ પગલુ ભર્યાનું બહાર આવ્‍યું છે.

આપઘાતની ઘટના જાહેર થતાં બી-ડિવીઝનના એએસઆઇ નરેન્‍દ્રભાઇ ભદ્રેશાએ જરૂરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર વિશાલ ત્રણ ભાઇ અને એક બહેનમાં બીજો હતો અને રિક્ષા હંકારતો હતો. પરિવારજનોના કહેવા મુજબ એક વર્ષ પહેલા વિશાલનો સંપર્ક ઇંસ્‍ટાગ્રામ મારફત શમા ઇકબાલમિયા કાદરી સાથે થતાં બંને એક બીજા સાથે પરિચયમાં આવ્‍યા બાદ મૈત્રી કરાર કર્યા હતાં અને બંને સાથે જ રહેતાં હતાં. બંનેને આગલા ઘરના એક એક સંતાન છે. મહોર્રમ વખતે શમા તેના માવતરે ગઇ હતી. એ વખતે વિશાલે પોતાના અને શમાના ફોટા સોશિયલ મિડીયા પર મુકતાં તે બાબતે શમાએ સાયબર સેલમાં અરજી કરતાં વિશાલને માઠુ લાગી જતાં તેણે આ પગલુ ભરી લીધું હતું. પોલીસે વિશેષ તપાસ યથાવત રાખી છે.

(5:16 pm IST)