Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

જૈન દર્શનની દ્રષ્ટિએ વડી દીક્ષાનું મહાત્મય

પૂ.નમ્ર મુનિ મ.સા.ની નિશ્રામાં પરમધામ ખાતે શનિવારે બાર : નૂતન દીક્ષિત આત્માઓની વડી દીક્ષા યોજાશે તે અવસરે જાણો મુનિ મોક્ષ માટે જ મહાવ્રતો અંગીકાર કરે છે

રાજકોટઃ દીક્ષા અંગીકાર કર્યા બાદ સાતમા દિવસે અથવા છ મહિનાની અંદર પૂ.ગુરુ ભગવંતો દ્રારા નૂતન દીક્ષિત આત્માઓને છેદોપસ્થાપનીય ચારીત્ર દ્વારા પંચ મહાવ્રતોનું આરોપણ કરાવવામાં આવે છે.

સામાયિક ચારિત્રનું છેદન કરીને પંચ મહાવ્રતોમાં ઉપસ્થાપિત કરાવવામાં આવે છે તથા છઠ્ઠા રાત્રી ભોજન ત્યાગ તેમજ છકાય જીવોની રક્ષાના પાલન માટે પ્રતિજ્ઞા કરાવવામાં આવે છે.જેવી રીતે અમુક વૃક્ષોને વાવવા માટે એક જગ્યાએથી ઊખેડી અન્ય જગ્યાએ સ્થાપિત કરવાથી તેનો વિકાસ ઝડપથી થાય છે.ગુરુદેવ સમજાવે કે હવે જગતના સર્વે જીવો આપણા આત્મા સમાન છે.     

 અત્તહિયઠયાએ­ અર્થાત્ સાધક આત્મા માત્ર આત્મ હીત માટે જ મોક્ષનો માર્ગ એટલે કે મુનિપણુ અંગીકાર કરે છે.આત્મહિતથી વધીને અન્ય કોઈ સુખ જગતમાં છે જ નહીં તેથી જ સાધક માટે સિદ્ઘ પદ જ ઉપાદેય અને ઉપાસનારૂપ છે.મોક્ષ મેળવવા માટે જ મુનિ મહાવ્રતોરૂપી કઠોર માર્ગ હસતાં - હસતાં સ્વીકારે છે.છકાય જીવોનું રક્ષણ કર્યા વગર ચારિત્ર ધર્મનું પાલન થઈ શકતું નથી.સાધક માટે જ્ઞાન સાથેની ક્રિયા અને તેની સમગ્ર સાવધાની એક એક મહા મૂલા રત્નકણો જેવી હિતશિક્ષાઓ ગુરુદેવ આપે છે.ઉપકારી ગુરુદેવ નૂતન દીક્ષિતોને જતનામય જીવન જીવવાનો મંત્ર છજજીવણિયા  નામના અધ્યયનના મારફત આપી તેઓના રોમેરોમમાં ભરી દે છે.જૈન સાહિત્યકાર મનોજ ડેલીવાળાએ જણાવ્યું કે અહિંસા ધર્મમાં સ્થિત થવા માટેનો ઉપદેશ છજીવનિકાય દ્વારા વડી દીક્ષામાં આપવામાં આવે છે.વડી દીક્ષાને દિવસે પૂ.ગુરુ ભગવંતો પોતાના શ્રી મુખેથી જૈનાગમ શ્રી દશ વૈકાલિક સૂત્રના ચાર અધ્યધનની વિશદ્ છણાવટ કરે છે.મહાવ્રતોના મૂલ્યો સમજાવે છે.સંયમ જીવનની મર્યાદા શું રહેલી છે તે ગુરુદેવ સમજાવે છે.શરીરને સંયમનું માત્ર સાધન જ સમજવાનું તેની ઉપર પણ મમત્વ રાખવાનું નહીં.મુનિ જીવનની મહત્તા વર્ણવી સંસારરૂપી મહા સાગર સહેલાઈથી પાર પામવાનો પથ - રસ્તો બતાવે છે.મોક્ષ માર્ગની આરાધના કરવાની સાંગોપાંગ વિધિ વડી દીક્ષામાં સમજાવવામાં આવે છે.નિર્દોષ ચારિત્ર ધર્મનું પાલન કરવા માટે વિધિ - વિધાન સમજાવે છે.

ધમ્મો મંગલ મુકિઠં અહિંસા સંજમો તવોI

દેવા વિ  તં ણમસંતિ, જસ્સ ધમ્મે સયા મણોII

     ગુરુદેવ ફરમાવશે....હે આત્માઓ ! આ મુનિપણુ જેવું તેવુ નથી.એક- બે નહીં પરંતુ દેવલોકના અસંખ્ય દેવો શ્રમણપણાને ઝંખી રહ્યાં છે..અને જેઓનું મન અહિંસા, સંયમ અને તપમાં જોડાયેલું રહે છે તેને દેવલોકના દેવો પણ વંદન અને નમસ્કાર કરે છે.

નૂતન દીક્ષિત આત્માઓ પ્રશ્ર્ન કરશે કે હે ગુરુ ભગવંત ! હાલતા,ચાલતા, ઊઠતા- બેસતા,ભોજન કરતાં એમ દરેક બાબતમાં પાપ કર્મ બંધાય તો અમારે શું કરવું ? ગુરુદેવ આગમનો સહારો લઇ પ્રત્યુત્તર આપે કે હે મોક્ષાભિલાષી આત્મન ! જયં ચરે, જયં ચિઠે.. એટલે કે દરેક ક્રિયા '' જતનાપૂર્વક '' કરવાની જેથી પાપકર્મનો બંધ ન થાય.પઢમં નાણં તઓ દયા...પ્રથમ જ્ઞાન પછી દયા તથા પછાવિ તે પયાયા..પાછલી વયે કે મોટી ઉંમરમાં પણ સંયમનો સ્વીકાર કરી શ્રેષ્ઠ સાધક જીવન વ્યતિત કરી છેડો અને ભવ સુધારી શકાય છે.પરમાત્મા કહે છે જતનાપૂર્વકજીવન જીવી સંયમ માર્ગની વિરાધના ન થઈ જાય અને મહાવ્રતનું પાલન કરી મહાત્મા બનવા ઉઘમ કરવો.યાવત્ જીવન સુધી સિદ્ઘ, બુદ્ઘ અને મુકત બનવા સદા પ્રયત્નશીલ રહેવું

સંકલનઃ મનોજ ડેલીવાળા,રાજકોટ, મો.૯૮૨૪૧ ૧૪૪૩૯

(11:47 am IST)