Gujarati News

Gujarati News

News of Monday, 7th November 2022

બોમ્‍બે હાઉસીંગમાં કેમિકલના વેપારી ચંદ્રસિંહ સોલંકીની આર્થિક ભીંસને કારણે આત્‍મહત્‍યા

મેટોડામાં દૂકાન ચલાવતાં હતાં: ગળાફાંસો ખાઇ દુનિયા છોડી દીધીઃ પરિવારમાં શોક

રાજકોટ તા. ૭: યુનિવર્સિટી રોડ પર પંચાયતનગર પાસે બોમ્‍બે હાઉસીંગ સોસાયટી-૪માં રહેતાં ચંદ્રસિંહ અભેસિંહ સોલંકી (ઉ.વ.૪૮)એ સવારે પંખામાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ આત્‍મહત્‍યા કરી લેતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

બનાવની જાણ થતાં યુનિવર્સિટી પોલીસે ઘટના સ્‍થળે પહોંચી કાર્યવાહી કરી હતી. આપઘાત કરી લેનારા ચંદ્રસિંહ ત્રણ બહેનના એકના એક મોટા ભાઇ હતાં. સંતાનમાં એક પુત્ર છે. પોતે મેટોડામાં કેમિકલનો વેપાર કરતાં હતાં. તેમના પિતા અભેસિંહ પરમાર નિવૃત બેંક કર્મચારી છે.

કેટલાક સમયથી ધંધામાં મંદી આવી હોઇ આર્થિક સંકડામણ ઉભી થવાને કારણે તેમણે આ પગલુ ભરી લીધાનું પોલીસની  પ્રાથમિક તપાસમાં બહાર આવ્‍યું હતું. બનાવને પગલે કારડીયા રજપૂત પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

(3:39 pm IST)