Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

રાત્રે ગુમ થયેલા પટેલ પ્રૌઢાની લાશ શંકાસ્પદ સંજોગોમાં તેમની અગાસીના ટાંકામાંથી મળી

કાલે પુત્રવધુ સાથે ઝઘડો થતા સાતા દયાબેન ઘરેથી નીકળી ગયાની નોંધ પુત્ર પિયુષે તાલુકા પોલીસમાં કરાવી હતીઃ આત્મહત્યાની શંકાઃ પોલીસે તપાસ હાથ ધરી

રાજકોટ તા. ૬ : સત્યસાંઇ હોસ્પિટલ રોડ પર આવેલ ન્યુ મારૂતીપાર્ક સોસાયટીમાંથી રાત્રે ગુમ થયેલા પટેલ પ્રૌઢાની લાશ શંકાસ્પદ સંજોગોમાં તેમની અગાશીના ટાંકામાંથી મળી આવતા ચકચાર જાગી છે.

મળતી વિગત મુજબ ન્યુ મારૂતી પાર્ક સોસાયટી શેરી નં.૩માં રહેતા દયાબેન મોહનભાઇ પટોડીયા (ઉ.પપ) નામના પટેલ પ્રૌઢાની સવારે તેમનાજ ઘરની અગાશી પર પાણીના ટંકામાંથી શંકાસ્પદ સંજોગોમાં લાશ મળી આવતા તાલુકા પોલીસને જાણ કરતા પીએસઆઇ ટી.ડી.ચુડાસમા સહિતે સ્થળ પર પહોંચી તપાસ આદરી છે. પોલીસની પ્રાથમીક તપાસમાં ખુલ્યા મુજબ મૃતક દયાબેનના પતિનું ૧૩ વર્ષ પહેલા અવસાન થયા બાદ પોતે તેના પુત્ર પીયુષ અને પુત્રવધુ શીતલ સાથે રહેતા હતા પુત્ર પીયુષ માયાણી ચોકમાં ઇલેકટ્રીકની દુકાન ધરાવે છ.ે

ગઇકાલે રાત્રે દયાબેનને પુત્રવધુ શીતલ સાથે ઝઘડો થયા બાદ ઘરેથી નિકળી ગયા હતા બાદ શીતલે પતિ પિયુષને જાણ કરતા તેણે માતા દયાબેનની શોધખોળ આદરી હતી પરંતુ તેનો કોઇ પતો ન લાગતા પીયુષે મોડી રાત્રે તાલુકા પોલીસ મથકમાં ગુમની નોંધ કરાવી હતી. દરમ્યાન આજે સવારે તેમના જ મકાનની અગાશી પરના પાણીના ટાંકામાંથી લાશ મળી આવી હતી. આ બનાવમાં પટેલ પ્રૌઢાએ આત્મહત્યા કર્યાની શંકાના આધારે તાલુકા પોલીસ મથકના પીએસઆઇ ટી.ડી.ચુડાસમાએ તપાસ હાથ ધરી છે.(૬.૨૧)

(3:16 pm IST)