Gujarati News

Gujarati News

News of Tuesday, 7th May 2019

ભગવતીપરાના વાલ્મિકી પ્રોૈઢ મુકેશભાઇ બારૈયાનો ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત

સવારે ઘરેથી નીકળી ગયા'તાઃ ભગવતીપરા પુલ નીચે બનાવઃ માનસિક બિમારી કારણભુત

રાજકોટ તા. ૭: ભગવતીપરા સુખસાગર સોસાયટીમાં રહેતાં મુકેશભાઇ દેવજીભાઇ બારૈયા (ઉ.૫૦) નામના વાલ્મિકી પ્રોૈઢે વહેલી સવારે ભગવતીપરા પુલ નીચે જુના સીટી સ્ટેશન પાસે ટ્રેન હેઠળ પડતું મુકી જિંદગી ટૂંકાવી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

સવારે લોકોના ટોળા પુલ નીચે ભેગા થયા હોઇ કામે જવા નીકળેલો સુખસાગર સોસાયટીનો વાલ્મિકી યુવાન શું થયું? તે જોવા માટે ત્યાં જતાં એક પ્રોૈઢ ટ્રેન હેઠળ કપાઇ ગયાની ખબર પડી હતી. આ પ્રોૈઢ તેના કાકા મુકેશભાઇ બારૈયા જ હોવાની ખબર પડતાં તે હેબતાઇ ગયો હતો અને ઘરે જાણ કરતાં બીજા સ્વજનો દોડી આવ્યા હતાં. બી-ડિવીઝનને જાણ થતાં પીએસઆઇ જે. આર. સરવૈયા તથા સંજયભાઇ કુમારખાણીયાએ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.

મૃતકના સ્વજનોના કહેવા મુજબ મુકેશભાઇ બે ભાઇમાં નાના હતાં અને સંતાનમાં બે પુત્રી તથા ત્રણ પુત્ર છે. પોતે વર્ષો પહેલા આર.એમ.સી.માં સફાઇ કામદાર હતાં. જો કે ઘણા સમયથી નોકરી છોડી દીધી હતી. હાલમાં માનસિક અસ્વસ્થ રહેતાં તેના કારણે કંટાળીને વહેલી સવારે કે રાત્રે કોઇપણ સમયે ઘરેથી નીકળી જઇ આ પગલું ભરી લીધું હતું. બનાવથી સ્વજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી.

(2:38 pm IST)