Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

કોરોનાગ્રસ્ત ક્રિટિકલ દર્દીઓની રાત-દિવસ સંભાળ લેતાં ડો. હર્ષા પરમાર

સમરસ અને સિવિલ કોવિડ હોસ્પિટલમાં ૨૦૦થી વધુ ક્રિટીકલ દર્દીઓને સાજા કરવામાં ખુબ જ મહત્વની ભુમિકા ભજવી : ૧૦ વર્ષનો પુત્ર બિમાર પડ્યો છતાં ફરજ મુકી ઘરે ન ગયાઃ સાસુ-સસરાએ રાખી સારસંભાળ : પતિ ડો. મેહુલ પરમાર પણ સમરસ કોવિડમાં નોડલ : ઓફિસર તરીકે કાર્યરત

રાજકોટ તા. ૬ : કોરોનાગ્રસ્ત દર્દીનારાયણની નિસ્વાર્થ સેવા કરી તેઓને સ્વસ્થ અને તંદુરસ્ત બનાવવા રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે તબીબો, તાલીમબધ્ધ નર્સો સહિતના આરોગ્યકર્મીઓ તનતોડ મહેનત કરી રહ્યા છે. હાલ ઘણાં એવા આરોગ્યકર્મીઓ છે, જે રાત-દિવસ કોરોનાગ્રસ્ત દર્દીઓને કોરોના મુકત કરવા માટે પરિવારથી દુર રહીને પરિશ્રમ રૂપી પારસમણિ વહાવી રહ્યા છે. આજે વાત કરવી છે આવા જ એક તબીબ ડો. હર્ષાબેન પરમારની, કે જેઓએ સમરસ હોસ્ટેલ, સિવિલ અને પી.ડી.યુ. હોસ્પિટલમાં તેમની ફરજ દરમિયાન ગંભીર રોગ ધરાવતા ૨૦૦ થી વધુ ક્રિટિકલ દર્દીઓને કોરોનામુકત કરવામાં મહત્વની ભૂમિકા અદા કરી છે.

લોકડાઉનથી આજદિન સુધી અનુક્રમે સમરસ હોસ્ટેલ, સિવિલ અને પી.ડી.યુ. હોસ્પિટલમાં દર્દીઓને કોરોના મુકત કરવા માટે કાર્યરત ડો. હર્ષાબેન પોતાના કાર્યાનુભવને વર્ણવતા કહે છે કે, 'શરૂઆતમાં મારી ડ્યૂટી પી.ડી.યુ. હોસ્પિટલના આઈ.સી.યુ. વોર્ડમાં હતી, જયાં એ વખતે મારું મુખ્ય કાર્ય હોસ્પિટલમાં દાખલ થતા ક્રિટિકલ દર્દીઓનું એટેન્ડન્સ લેવાનું ત્યારબાદ તેમની જરૂરિયાત અનુસાર આવશ્યક ચીજ વસ્તુઓનું મેનેજમેન્ટ કરવાનું હતું. આ ઉપરાંત ડિસ્ચાર્જ થતા દર્દીઓને સર્ટી તથા જરૂરી દવાઓ ઉપલબ્ધ કરાવવી, કોવીડ-૧૯ ખાતે કાર્યરત તમામ સ્ટાફ જળવાઇ રહે તેમજ ફલોરમાં ઓકસીજન વેન્ટીલટર સહિતના તમામ સાધનો સતત કાર્યરત રહે અને કોઇપણ વિક્ષેપ વગર સારવારમાં ચાલુ રહે તે રીતે દરેક પેશન્ટ થી લઇને તમામ સ્ટાફનું મેનેજમેન્ટ હું જ કરતી હતી, મારા પતિ ડો.મેહુલ હાલ સમરસ હોસ્ટેલમાં નોડલ ઓફિસર તરીકે કાર્યરત છે, માટે અમે બન્ને હાલ કોરોના સંક્રમિતોની સેવામાં સેવારત છીએ. મારા સસરા ડાયાબિટીઝના દર્દી છે અને ઘરે મારો ૧૦ વર્ષનો પુત્ર પણ છે, તેથી પરિવારજનો સંક્રમિત ન થાય તેની હું ખાસ કાળજી રાખું છું, મારા હોસ્પિટલના કાર્યકાળ દરમિયાન એક વાર મારો પુત્ર બીમાર પડ્યો હતો પરંતુ હોસ્પિટલમાં ફરજને કારણે હું ઘરે જઇ શકી ન હતી ત્યારે મારા સાસુ-સસરાએ તેની સંભાળ રાખી હતી. મારા માટે અહીં દાખલ થતા દર્દીઓ મારો જ પરિવાર છે. તેથી તેમની સંભાળ રાખવી પણ આવશ્યક છે. અને હાલના કોરોના સંક્રમણના સંજોગોમાં એ જ મારો ધર્મ પણ છે.'

પોતાની ફરજને જ ધરમ સમજી કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે સતત સેવારત રહેલા ડો. હર્ષાબેન જેવા અનેક કોરોના વોરીયર્સ આજે પણ દર્દીઓમાં જ પરિવારજનોના દર્શન કરી સેવા – સારવાર દ્વારા તેમને કોરોનામૂકત બનાવવામાં મહત્વની ભૂમિકા અદા કરી રહયાં છે.

(3:00 pm IST)