Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

એસ.ટી. કંડકટરના પગાર-તફાવતની રકમ છ માસના હપ્તેથી ચુકવવા આદેશ

રાજકોટ તા. ૬: ૧૬ વર્ષ પહેલા અમરેલી ડીવીઝનના કન્ડકટરને પગારમાં પ સ્ટેજ નિચે ઉતારી મુકવાની શિક્ષાનો હુકમ કરેલ હતો તે ગેરકાયદેસર છે તેવું ઠરાવીને ભાવનગરની ઔદ્યોગિક અદાલતના જજ શ્રી જી. આર. સોની શિક્ષાનો હુકમ રદ કરીને કન્ડકટરને મળવા પાત્ર પગાર તફાવતની રકમ છ માસમાં સરખા હપ્તેથી ચુકવી આપવાનો મહત્વનો ચુકાદો આપ્યો છે.

આ કેસની વિગત એવી છે કે સાવરકુંડલાના કન્ડકટર અરવિંદ કે. વસાવડાની નોકરી રાજકોટથી જાફરાબાદ રૂટની એકસ્પ્રેસ બસમાં હતી ત્યારે રાજુલાથી જાફરાબાદ જનાર ૬ પ્રવાસીઓ પાસેથી ૧૬/- રૂપિયા લેખે રૂ. ૯૬/- અગાઉથી વસુલ કરીને ચેકીંગ સ્થળ સુધી ટીકીટો આપેલ નથી તેવું ચેકીંગ અધિકારીઓએ રોજકામ કરેલ હતું તેના આધારે ચાર્જશીટ આપીને ખાતાકીય તપાસના અંતે પગારમાં પ સ્ટેજ નીચે ઉતારી મુકવા ર૦૦૪ની સાલમાં હુકમ કરેલ તેની સામે મજકુર કન્ડકટરે પહેલી ખાતાકીય અપીલ કરેલ તે ર૦૦૮ની સાલમાં રદ કરવામાં આવેલ તે પછી તેમણે ખાતાકીય નિયમ પ્રમાણે બીજી ખાતાકીય અપીલ કરેલ તેનો કોઇપણ નિર્ણય લેવામાં આવેલ ન હતો અને અપીલ દબાવી રાખવામાં આવેલ હતી જેથી કન્ડકટરે વિનાયક કર્મચારી મંડળ, રાજકોટ મારફતે ભાવનગરની ઔદ્યોગિક અદાલતમાં દાદ, માંગેલ હતી. જે અંગે ઔદ્યોગીક અદાલતે ઉપર મુજબનો ચુકાદો આપેલ હતો.

આ કામમાં કન્ડકટર વતી વિનાયક કર્મચારી મંડળના શ્રી કે. એમ. જોષી, એ. એન. ગોસાઇ અને કિશોરભાઇ ધોળકીયાએ રજુઆતો કરેલ હતી.

(2:56 pm IST)