Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

વિધવા સાથેના પ્રેમસંબંધને કારણે પાંજરાપોળના નિતીન પર છરીનો ઘા

વિધવા મહિલાના દિકરા કરણને સંબંધ પસંદ ન હોઇ હુમલો કર્યો

રાજકોટ તા. ૬: પાંજરાપોળ પાસે રહેતાં કોળી યુવાનને એક વિધવા સાથે પ્રેમસંબંધ બંધાતા તેણીના દિકરાને ન ગમતાં તેણે આ યુવાનને છરીનો ઘા ઝીંકી દેતાં સારવાર લેવી પડી હતી.

બનાવ અંગે પોલીસે પાંજરાપોળ શેરી નં. ૬ મેલડી માતાજીના મંદિર પાસે રહેતાં અને છુટક મજૂરી કરી ગુજરાન ચલાવતાં નિતીન ભરતભાઇ રીબડીયા (ઉ.૩૦) નામના કોળી યુવાનની ફરિયાદ પરથી કરણ ભરતભાઇ નામના શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.

નિતીને ફરિયાદમાં જણાવ્યું છે કે શુક્રવારે સાંજે છએક વાગ્યે હું મારા શેઠ અમિતભાઇ સાથે તેની દિકરી નેન્સીને સ્કૂલે તેડવા ગયો હતો. પેડક રોડ પર આવેલી સંત જ્ઞાનેશ્વર સ્કૂલેથી અમે પરત અમારા બાઇક પર આવી રહ્યા હતાં. શેઠ અમિતભાઇ બાઇક હંકારતા હતાં. નેન્સી પાછળ બેઠી હતી અને હું તેની પાછળ બેઠો હતો. અમે પાંજરાપોળ-૬ પાસે પહોંચ્યા ત્યારે કરણ નામનો છોકરો ચોકમાં છરી સાથે ઉભો હતો. તેણે મને વાંસામાં એક ઘા મારી દીધો હતો અને ભાગી ગયો હતો.

મને લોહી નીકળવા માંડતા અતિભાઇએ બાઇક ઉભુ રાખ્યું હતું. મારું ઘર સામે જ હોઇ હું ઘરે ગયો હતો અને મારા બનેવી કમલેશભાઇને બોલાવી ૧૦૮ મારફત હોસ્પિટલમાં દાખલ થયો હતો. હુમલા પાછળ એવું કારણ જવાબદાર છે કે કરણની માતા વિધવા છે અને તેની સાથે મારે આઠેક મહિનાથી પ્રેમસંબંધ છે. આ બાબત કરણને પસંદ ન હોઇ ખાર રાખી મારા પર છરીથી હુમલો કર્યો હતો.

એએસઆઇ કે. યુ. વાળાએ ગુનો દાખલ કરી હુમલાખોરની શોધખોળ હાથ ધરી છે.

(1:35 pm IST)