ક્રુર હત્યાઃ ગોકુલધામ આવાસ ક્વાર્ટરમાં રહેતાં અને અગાઉ પોલીસ ચોપડે ચડી ચુકેલા કિશન ભરતભાઇ ડોડીયા નામના ચોવીસ વર્ષના યુવાનને તેના ઘર નજીક જ પત્નિના પુર્વ પ્રેમી હિરેન સહિતે છરીના ઘા ઝીંકી પતાવી દીધો હતો. તસ્વીરમાં ઘટના સ્થળ, કિશનનો નિષ્પ્રાણ દેહ, તેનો ફાઇલ ફોટો અને પોસ્ટ મોર્ટમ રૂમ ખાતે કિશનના શોકમય ભાઇ, માતા, પત્નિ રાધીકા, પિતા વિહોણો થયેલો પુત્ર કેવીન તથા મિત્રો-સગા નજરે પડે છે. ઇન્સેટ તસ્વીર ફરિયાદી રાધિકા કિશન ડોડીયાનો છે. (ફોટોઃ અશોક બગથરીયા)
રાજકોટ તા. ૪: ગોકુલધામ સોસાયટીના નજીકના આવાસ યોજના ક્વાર્ટર સી-બ્લોકમાં રહેતાં કિશન ભરતભાઇ ડોડીયા (ઉ.વ.૨૪)ને રાતે ગોકુલધામ સોસાયટીના ગેઇટ નજીક વાડનાર ચાની હોટેલ પાસે ઉભો હતો ત્યારે આંબેડકરનગરના હિરેન પરમાર, કાંચા સહિતનાએ આવી આડેધડ છરીના ઘા ઝીંકી દેતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. પણ વહેલી સવારે કિશને દમ તોડી દેતાં બનાવ હત્યામાં પરિણમ્યો હતો. પોલીસ તપાસમાં હત્યા પાછળ જુનુ પ્રેમપ્રકરણ જવાબદાર હોવાનું ખુલ્યું છે. કિશનની પત્નિ રાધાને અગાઉ હિરેન સાથે પ્રેમ હતો અને તેની સાથે રહેતી હતી. પણ લગ્ન કિશન સાથે કરી લીધા હોવા છતાં હિરેન વારંવાર તેણીને ‘તું કિશનને છોડીને મારી પાસે આવી જા' તેમ કહી હેરાન કરતો હોઇ અને ચારેક મહિના પહેલા આ મામલે કિશનના ઘરમાં તોડફોડ પણ કરી ગયો હોઇ તે અંગે ફરિયાદ થઇ હતી. આ ફરિયાદમાં સમાધાન કરી લેવાનું કહી હિરન ધમકી આપતો હતો અને ગત રાતે ધમકી મુજબ હુમલો કરી દીધો હતો.
બનાવમાં માલવીયાનગર પોલીસે મોડી રાતે કિશનની પત્નિ રાધીકા કિશન ડોડીયા (ઉ.વ.૨૨)ની ફરિયાદને આધારે ગોંડલ રોડ એસટી વર્કશોપ પાછળ આંબેડકરનગર વિસ્તારમાં રહેતાં હિરેન ગોવિંદભાઇ પરમાર તથા કાંચો અને તપાસમાં ખુલે તેની સામે આઇપીસી ૩૦૭, ૧૧૪ મુજબ હત્યાની કોશિષનો ગુનો નોંધ્યો હતો. સારવારમાં વહેલી સવારે કિશને દમ તોડી દેતાં હત્યાની કલમ ૩૦૨નો ઉમેરો કરાયો હતો.
રાધિકા ડોડીયાએ જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને પતિ કિશન લુહારી કામની મજૂરી કરતાં હતાં. છ વર્ષ પહેલા મેં કિશન સાથે પ્રેમ લગ્ન કર્યા હતાં. સંતાનમાં પુત્ર કેવીન છે જે પાંચ વર્ષનો છે. રાત્રીના બારેક વાગ્યે હું ઘરે હતી ત્યારે મારા પતિ કિશન ઘરે ન આવ્યા હોઇ મેં તેના ફોન પર સંપર્ક કરી ‘તમે ક્યારે આવો છો?' તેમ પુછતાં તેણે ‘હું થોડીવારમાં જ આવું છું, તુ ફોન મુકી દે' તેમ કહી ફોન કાપી નાંખ્યો હતો. ત્યારપછી હું ફરીથી ફોન જોડતી હતી. પરંતુ તેનો ફોન બંધ થઇ ગયો હોઇ સંપર્ક થઇ શક્યો નહોતો.
થોડીવાર પછી એક રિક્ષા મારા ઘર પાસે આવીને ઉભી રહી હતી. જેથી હું ઘર બહાર આવતાં મારા પતિ રિક્ષામાં લોહીલુહાણ હાલતમાં જોવા મળ્યા હતાં. તેનો મિત્ર અજય ઉર્ફ ગજની તેને લઇને આવ્યો હતો. પતિને પેટના ભાગે ગંભીર ઇજા થયેલી જોવા મળી હતી, પુષ્કળ લોહી નીકળતું હતું. મેં તેને આ શું થયું? કેવી રીતે થયું? તે અંગે પુછતાં પતિએ કહ્યું હતું કે-‘હું ગોકુલધામ સોસાયટીના ગેઇટ સામે વાડીનાર ચાની હોટલ પાસે હતો ત્યારે હિરેન પરમાર અને કાંચો આવ્યા હતાં અને હું કંઇ બોલુ એ પહેલા જ મને હિરેને છરીના ઉપરા ઉપર ઘા મારવાનું ચાલુ કરી દીધુ હતું. જેથી હું પડી ગયો હતો અને ગંભીર ઇજા થઇ હતી. દેકારો થતાં હિરેન અને કાંચો ભાગી ગયા હતાં. ત્યાં અજય ઉર્ફ ગજની રિક્ષા લઇને ઉભો હોઇ હું તેની રિક્ષામાં બેસીને ઘરે આવ્યો છું.'
મારા પતિએ ઉપરોક્ત વાત કરતાં ૧૦૮ને બોલાવવાનો સમય ન હોઇ પતિના મિત્ર અજય ઉર્ફ ગજનીની રિક્ષામાં જ પતિને એચ. જે. દોશી હોસ્પિટલમાં લઇ ગઇ હતી. પણ ત્યાંના ડોક્ટરે તેને સિવિલ હોસ્પિટલે લઇ જવાનું કહેતાં અમે તેને સિવિલમાં લાવ્યા હતાં. પતિને પેટમાં ગંભીર ઇજા હોઇ તાકીદે ઓપરેશન ચાલુ કરવામાં આવ્યું હતું.
રાધીકા ડોડીયાએ વધુમાં પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે આ હુમલાનું કારણ જુનુ પ્રેમપ્રકરણ છે. મેં કિશન સાથે લવમેરેજ કર્યા છે. એ પહેલા મારે હિરેન ગોવિંદભાઇ પરમાર સાથે પણ પ્રેમ હતો અને તેની સાથે રહેતી હતી. બાદમાં હિરેન સાથે તમામ સંબંધો તોડી નાંખ્યા હતાં અને હાલમાં પતિ-બાળકો સાથે રહેતી હતી. આ કારણે હિરેનને ગમ્યું નહોતું. હિરેન મને આવર-નવાર કહેતો હતો કે તું કિશનને છોડીને મારી સાથે રહેવા આવી જા. પણ હું તેને ના પાડતી હતી. હિરેને આ કારણે આશરે ચારેક મહિના પહેલા મારા ઘરે આવી ઘરમાં તોડફોડ કરી ટીવી પણ તોડી નાખ્યું હતું. તે અંગે મેં ફરિયાદ કરી હતી. આ કારણે હિરેન વધુ ઉશ્કેરાયો હતો અને તેણે મારા પતિ કિશનને સમાધાન કરી લેવાનું જણાવી અવાર-નવાર ઝઘડા ચાલુ રાખ્યા હતાં. તે ઘણીવાર કહેતો કે સમાધાન નહિ કરો તો સારાવટ નહિ રહે.
રાધીકા ડોડીયાએ આગળ કહ્યું હતું કે ગત રાતે બાર સાડાબાર આસપાસ મારા પતિ ગોકુલધામ સોસાયટીના ગેઇટ પાસે હોઇ ત્યાં હિરેન અને કાંચા સહિતે આવી ઝઘડો કરી મારા પતિને છરીના ઘા મારી દીધા હતાં. આ અંગે પોલીસે હત્યાની કોશિષનો ગુનો નોંધ્યો હતો. સારવાર દરમિયાન મારા પતિનું સવારે મોત નિપજ્યું હતું.
પીઆઇ આઇ. એન. સાવલીયા, પીએસઆઇ એમ. એસ. મહેશ્વરી, શૈલેષભાઇ નેચડા, મસરીભાઇ, ભાવેશભાઇ સહિતની ટીમે રાતોરાત મુખ્ય આરોપી આંબેડકરનગર-ખોડિયારપરાના હિરેન ગોવિંદભાઇ પરમાર, કિશન ઉર્ફ કાંચો લલિતભાઇ થાપા અને સાથેના ઉદય નામના એક શખ્સને પુછતાછ માટે ઉઠાવી લઇ વિશેષ કાર્યવાહી હાથ ધરી છે.
કિશન ત્રણ ભાઇ અને ચાર બહેનમાં નાનો હતોઃ છ વર્ષ પહેલા રાધિકા સાથે લવમેરેજ કર્યા હતાં: માસુમ પુત્રએ પિતાની છત્રછાંયા ગુમાવી
હત્યાનો ભોગ બનનાર કિશન ચાર બહેન અને બે ભાઇમાં સોૈથી નાનો હતો. તે માતા-પિતા ભાઇઓથી અલગ રહેતો હતો. અગાઉ આંબેડકરનગરમાં રહેતો હોઇ આ વિસ્તારની રાધિકા મકવાણા સાથે પ્રેમ થઇ ગયો હતો. બંનેએ છ વર્ષ પહેલા પ્રેમલગ્ન કરી લીધા હતાં. એ પછી ગોકુલધામ પાસે ક્વાર્ટરમાં રહેવા આવી ગયા હતાં. કિશનની હત્યાથી પાંચ વર્ષના પુત્ર કેવીને પિતાની છત્રછાંયા ગુમાવતાં ગમગીની છવાઇ ગઇ હતી. કિશનના માતાનું નામ કંચનબેન, પિતાનું નામ ભરતભાઇ બાબુભાઇ ડોડીયા તથા બહેનોના નામ વૈશાલીબેન, દિવ્યાબેન , કિંજલબેન, આઇશાબેન અને ભાઇઓના નામ પારસભાઇ તથા ધર્મેશભાઇ છે.
હત્યાનો ભોગ બનનાર કિશન ચિલઝડપ, દારૂના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો હતોઃ હદપાર-પાસા પણ થયા હતાં
પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ હત્યાનો ભોગ બનનાર કિશન ડોડીયા પણ અગાઉ પોલીસ ચોપડે ચડી ચુક્યો હતો. તે દારૂ, ચિલઝડપ જેવા ગુનામાં સંડોવાયો હોઇ તેને હદપાર કરાયો હતો અને પાસામાં પણ તે જઇ આવ્યો હતો.