Gujarati News

Gujarati News

News of Thursday, 6th February 2020

શાપરના સંદિપનું વાંકાનેરમાં ચાલુ ટ્રેને ઉતરવા જતાં ગબડી પડતાં મોતઃ બે માસ બાદ લગ્ન હતાં

માતા-પિતાને મળવા જતો'તો ને મોત મળ્યું: મુળ ઉત્તર પ્રદેશના પરિવારજનોમાં શોક

રાજકોટ તા. ૬: શાપર વેરાવળામાં મછોમાતાના મંદિર પાસે રહેતાં સંદિપ મુનિમભાઇ પ્રાચી (ઉ.વ.૨૧)નું વાંકાનેર રેલ્વે સ્ટેશને ટ્રેનમાંથી ઉતરતી વેળાએ ગબડી પડતાં ઇજા થવાથી મોત નિપજ્યું છે.

સંદિપ શાપરમાં રહી પ્લાસ્ટીકના દાણાની ફેકટરીમાં નોકરી કરતો હતો. તેના માતા વિજ્યાકુમારી અને પિતા મુનીમભાઇ વાંકાનેર રહી મજૂરી કરતાં હોઇ સંદિપ તેમને મળવા માટે ટ્રેનમાં બેસી ત્યાં ગયો હતો. પરંતુ વાંકાનેર સ્ટેશને ટ્રેનમાંથી ઉતરવા જતાં પડી જતાં ઇજા થતાં બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ તબિબે મૃત જાહેર કર્યો હતો.

હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને રાજભાઇએ રેલ્વે પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર બે ભાઇ અને બે બહેનમાં નાનો હતો. કરૂણતા એ છે કે તેની સગાઇ થઇ ગઇ હતી અને બે માસ બાદ લગ્ન થવાના હતાં. બનાવથી પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો.

 

(11:34 am IST)