Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

દિવાળીના તહેવારોમાં કોરોનાથી સાવચેતી અર્થે રાજકોટમાં જનજાગૃતિ રેલી યોજાઈ

અધિક નિવાસી કલેકટરશ્રી પરિમલ પંડ્યાએ રેલીને લીલી ઝંડી દેખાડી કરાવ્યું પ્રસ્થાન :રાજકોટ શહેરના મુખ્યમાર્ગ પર એન.ડી.આર.એફ. એન.સી.સી. ફાયર, 108 સહિતના વિભાગના જવાનો પ્લે કાર્ડ સાથે રેલીમાં જોડાયા: રેલી પૂર્વે કોરોનાની ગાઈડલાઈનના પાલનના સપથ લેતા કર્મીઓ

રાજકોટ:દિવાળીના આવનારા તહેવારોમાં કોરોના સંક્ર્મણથી સાવચેતી અર્થે જનહિતાર્થે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.  આ રેલીને અધિક નિવાસી કલેકટર પરિમલ પંડ્યાએ લીલી ઝંડી દેખાડી પ્રસ્થાન કરાવી જણાવ્યું હતું કે, હજુ કોરોનાની અસર ચાલુ છે અને દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે આ દિવસોમાં કોરોનાનું સંક્ર્મણ વધે નહિ તે માટે લોકો સચેત રહે અને કોરોનાથી બચવા જરૂરી સાવધાની વર્તે.

આ રેલી પૂર્વે પંડ્યાએ ઉપસ્થિત જવાનોને કેન્દ્ર સરકારની ગાઈડલાઈન અનુસાર માસ્ક, દો ગજની દુરી, વારંવાર હાથ સાફ કરવા તેમજ ઉકાળા દ્વારા રોગપ્રતિકારક શક્તિ વધારવાનું પાલન કરવા તેમજ અન્યને પાલન કરાવવાના સપથ લેવડાવ્યા હતાં.
જનજાગૃતિ રેલીમાં  નેશનલ ડિસઝટર રિસ્પોન્સ ફોર્સ (એન.ડી.આર.એફ.) વડોદરા ટીમ, ૨ ગુજરાત બટાલિયન એન.સી.સી. ના કેડેટ્સ, મહાનગર પાલિકાના ફાયર વિભાગના જવાનો તેમજ ૧૦૮ ની ટીમ અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ જોડાયા હતાં.
ઓરેન્જ , ખાખી અને બ્લુ કલરમાં સજ્જ જવાનો હાથમાં રંગબેરંગી પ્લે કાર્ડ અને કોરોના જાગૃતિના ગીત સાથે આ રેલી જિલ્લા કલેકટર કચેરીથી પ્રસ્થાન થયા બાદ રેસકોર્સ રિંગ રોડ થઈ ફરી લોકોને સાવચેતીનો મેસેજ પાસ કર્યો હતો.
આ પ્રંસગે વહીવટી તંત્રના અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

(12:32 am IST)