Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

રાજકોટ માટે ૧૫૦ ઇલેકટ્રીક બસ મંજુર : જાન્યુઆરીથી દોડવા લાગશે

અગાઉ ૫૦ બસ મંજુર થયેલ વધુ ૧૦૦ બસ મંજુર થતા હવે તમામ સીટી બસ અને બી.આર.ટી.એસ. બસ ઇલેકટ્રીક બસમાં ફેરવાશે : સરકાર પ્રતિ કિ.મી. રૂ. ૨૫ સુધીની સબસીડી આપશે

રાજકોટ તા. ૫ : શહેરને પ્રદૂષણમુકત કરવા અને બિનપરંપરાગત ઉર્જાનો ઉપયોગ વધારવાની યોજના હેઠળ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કેન્દ્ર સરકારના સહયોગથી શહેરમાં ઇલેકટ્રીક બસ દોડાવવાની યોજના અમલી બનાવવામાં આવનાર છે. આ માટે રાજકોટને કુલ ૧૫૦ બસ ફાળવવામાં આવનાર છે. તબક્કાવાર જરૂરીયાત મુજબ ઇલેકટ્રીક બસ શરૂ થશે. જેમાં જાન્યુઆરીથી બી.આર.ટી.એસ. તથા સીટી બસના કેટલાક રૂટ પર ઇલેકટ્રીક બસ દોડવા લાગશે તેમ મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.

શ્રી અગ્રવાલે વિસ્તૃત માહિતી આપતા જણાવેલ કે, ઉર્જા બચત અને પ્રદૂષણ નિવારણની અનેક યોજનાઓને રાજકોટ મહાનગરપાલિકાએ સાકાર કરી છે ત્યારે હવે ઇલેકટ્રીક બસ દોડાવવાનો પ્રોજેકટ જાન્યુઆરીમાં જ અમલી બનશે.

આ માટે અગાઉ સરકારે ૫૦ ઇલેકટ્રીક બસ મંજુર કરી હતી અને હવે વધુ ૧૦૦ ઇ-બસ મંજુર કરાઇ છે. આમ કુલ ૧૫૦ ઇ-બસ મળનાર છે.

આથી જાન્યુઆરી મહીનાથી પ્રથમ તબક્કામાં મળનાર ઇ-બસને બી.આર.ટી.એસ. રૂટ તથા સીટી બસના કેટલાક રૂટ ઉપર દોડાવવાનું આયોજન છે. ત્યારબાદ તબક્કાવાર જરૂરીયાત મુજબ ઇ-બસોની સંખ્યા વધારવામાં આવશે અને તમામ સીટી બસ તથા બી.આર.ટી.એસ. રૂટમાં બસ ઇલેકટ્રીક બસ દોડાવવામાં આવશે.

શ્રી અગ્રવાલે જણાવેલ કે, ઇ-બસથી તંત્રને સંચાલન ખર્ચમાં ઘટાડો થશે. કેમકે કેન્દ્ર સરકાર દ્વારા 'ફેમ-ટુ' યોજના હેઠળ ઇલેકટ્રીક બસ ચલાવવા માટે તેના વપરાશ પર પ્રતિ કિ.મી. રૂ. ૨૫ સુધીની સબસીડી પણ આપનાર છે.

આમ, આવતા નવા વર્ષથી શહેરમાં ઇલેકટ્રીક બસો દોડવા લાગશે જેનાથી પ્રદૂષણમાં ઘટાડો થશે. અને શહેરમાં શુધ્ધ પ્રાણવાયુનું પ્રમાણ વધશે.(૨૧.૨૮)

રાજકોટને ૨૦ કરોડની એરકવોલીટી ગ્રાન્ટ મળી : પ્રદૂષણ નિવારણમાં વપરાશે

રાજકોટ : મ.ન.પા. દ્વારા પ્રદૂષણ નિવારણ માટે અનેક યોજનાઓ સાકાર કરવામાં આવી છે ત્યારે આ બાબતે મ.ન.પા.ને રૂ. ૨૦ કરોડની એર કવોલિટી ગ્રાન્ટ મળી હોવાનું મ્યુ. કમિશનરશ્રીએ જાહેર કર્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે, આ ગ્રાન્ટને પ્રદૂષણ નિવારવા અંગેની વિવિધ કામગીરીમાં વાપરવા માટે આયોજન કરાશે.(૨૧.૨૯)

બસ ડ્રાઇવરોને તાકિદ : ધીમે ચલાવો, રાહદારીઓનું ધ્યાન રાખો

રાજકોટ : શહેરમાં કેટલાક સીટી બસ ડ્રાઇવરો ઝડપથી અને આડેધડ બસ દોડાવતા હોવાનો ખુદ મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલને અનુભવ થતાં તેઓએ ટ્રાન્સપોર્ટ ઓપરેટરને તાકિદ કરી હતી કે 'બસના ડ્રાઇવરોને ધીમી સ્પીડે બસ દોડાવે અને રાહદારીઓ તથા નાના વાહન ચાલકોનું ધ્યાન રાખે તેવી સુચના આપો.'

(2:44 pm IST)