Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

આકાશદીપ સોસાયટીમાં પીજીવીસીએલના કલાર્ક મોહિતભાઇ લીંબાસીયાનો ફાંસો ખાઇ આપઘાત

લોનના ચક્કરમાં ફસાયા બાદ દેણુ થઇ જતાં યુવાને પગલુ ભર્યાનું ખુલ્યુ : બે બહેનોના એકના એક ભાઇના મૃત્યુથી આક્રંદ

રાજકોટ તા. ૫ : દોઢસો ફૂટ રોડ રાધે હોટલ પાછળ આવેલી આકાશદીપ સોસાયટીમાં લોનના ચક્કરમાં ફસાયા બાદ દેણુ થઇ જતા પીજીવીસીએલના કલાર્કએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ દોઢસો ફૂટ રોડ પર રાધે હોટલ પાછળ આકાશદીપ સોસાયટી શેરી ન઼. ૪માં રહેતા પીજીવીસીએલના કલાર્ક મોહિતભાઇ જયસુખભાઇ લીંબાસીયા (ઉ.૩૨)એ ગઇકાલે પોતાના ઘરે રસોડામાં છતના હુકમાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. પત્ની ઘરે આવતા પતિને લટકતી હાલતમાં જોઇ જતાં દેકારો બોલાવતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને કોઇએ ૧૦૮ને જાણ કરતા ૧૦૮ની ટીમે સ્થળ પર પહોંચી ઇએમટી કિશનભાઇ રાજાણીએ તપાસ કરતા યુવાનનું મોત નિપજ્યું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતાં તાલુકા પોલીસ મથકના હેડ કોન્સ. પ્રવિણભાઇ જીલરીયા તથા રાઇટર લાલજીભાઇએ સ્થળ પર પહોંચી તપાસ આદરી હતી. મૃતક મોહિતભાઇ લક્ષ્મીનગરમાં પીજીવીસીએલની કચેરીમાં કલાર્ક તરીકે નોકરી કરતા હતા. તે લોનના ચક્કરમાં ફસાયા બાદ દેણુ થઇ જતા છેલ્લા દોઢેક વર્ષથી આર્થિક ખેંચના લીધે તેણે આ પગલુ ભર્યુ હોવાનું પોલીસની તપાસમાં ખુલ્યું છે તે બે બહેનોના એકના એક ભાઇ હતા. એક પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક છવાઇ ગયો છે.

(2:43 pm IST)