News of Wednesday, 5th October 2022
રાજકોટ : આવતીકાલે રાજકોટ બાર એસો. દ્વારા વકીલ પરિવાર માટે અર્વાચીન દાંડીયારાસનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. જેના સંદર્ભે બાર એસો.ના સેક્રેટરી પી.સી.વ્યાસ, કારોબારી સભ્ય અજય પીપળીયા, નૃપેન ભાવસાર, હિરેન ડોબરીયા, ‘અકિલા'ની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા. તસ્વીરમાં ‘અકિલા'ના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રા, પત્રકાર નયનભાઇ વ્યાસ સાથે બાર એસો.ના સેક્રેટરી અને કારોબારી સભ્યો દર્શાય છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)
રાજકોટ,તા. ૪ : રાજકોટ બાર એસોસીએશન દ્વારા વકીલો જજીસ તથા તેમના પરિવાર માટે તારીખ ૫/૧૦/૨૦૨૨ના બુધવારને વિજયાદશમી (દશેરા) ના રોજ અર્વાચીન દાંડીયારાસનું ભવ્ય આયોજન પ્રતિલોક પાર્ટી પ્લોટ, નાનામૌવા મેઇન રોડ, નાનામૌવા સર્કલ પાસે રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે.
આ રાસોત્સવનો સમય રાત્ર ૮ થી ૧૨ કલાક સુધી કરવામાં આવેલ છે. દાંડીયારાસના કાર્યક્રમમાં રાજકોટ બાર એસોસીએશનના સભ્ય એડવોકેટશ્રીઓ તથા તેમનો પરિવાર ન્યાયધીશ સાહેબોના તથા તેનો પરિવાર તથા સરકારી વકીલશ્રીઓ તથા રાજકોટના અલગ અલગ બાર એસોસીએશનના હોદેદારો તથા સભ્યોને પરિવાર સાથે પધારવા માટે હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવેલ છે. ભૂતકાળમાં આવું જાજરમાન આયોજન કયારેય રાજકોટ બાર એસોસીએશન દ્વારા કરવામાં ન આવેલ હોય તેવું ભવ્ય આયોજન રાજકોટના હાર્દ એવા ૧૫૦ ફુટ રીંગ રોડ નાનામૌવા મેઇન રોડ ઉપર આવેલ પાર્ટી પ્લોટમાં લાઇવ ડી.જે. તથા ભવ્ય લાઇટીંગ સાથે વિશાળ ગ્રાઉન્ડ ઉપર દાંડીયારાસનું આયોજન કરવામાં આવેલ છે. તથા આ આયોજનમાં ખેલૈયાઓ માટે વેલડ્રેસ, પ્રિન્સ, પ્રીન્સેસ વકીલ હોય તે તથા વેલડ્રેસ, પ્રીન્સ, પ્રીન્સેસ વકીલ પરિવારના સભ્ય તથા વેલડ્રેસ, પ્રીન્સ, પ્રીન્સેસ ચાઇલ્ડ ને ઇના વિતરણનો કાર્યક્રમ પણ રાખવામાં આવેલ છે. આ દાંડીયારાસમાં રાજકોટના નામાકીત મહાનુભાવો તથા સીનીયર વકીલશ્રીઓની વિશેષ ઉપસ્થિતી રહેશે.
વકીલ પરિવારો સતત પોતાના વ્યવસાયમાં વ્યસ્ત રહેતા હોય ત્યારે આવા આયોજનો વકીલો માટે ઉત્સાહજનક અને પ્રોત્સાહક જનક બની રહેતા હોય છે. ખાસ કરીને નવરાત્રીએ માતાજીની આરાધના કરવાનું પર્વ છે. અને ગુજરાતીઓ આ નવરાત્રીના દિવસોમાં ગરબા રમવા માટે વિશ્વ પ્રસિધ્ધ છે ત્યારે રાજકોટના વકીલો, જજો, અને તેના પરીવારજનો વિજયાદશમીની રાત્રે રાસોત્સવ યોજી ગરબા રમી વકીલ અને જજો વચ્ચેના સંબંધોને વધુ સુદ્રઢ બનાવશે અને ખરા અર્થમાં એક ન્યાયીક પરિવારની કલ્પના સાકાર કરશે જેથી રાજકોટ બાર એસોસીએશન દાંડીયારાસ માટે ખાસ આમંત્રણ પાઠવેલ છે.
આ દાંડીયારાસના આયોજનને સફળ બનાવવા માટે રાજકોટ બાર એસોસીએશનના પ્રમુખ અર્જુનભાઇ એસ.પટેલ, ઉપપ્રમુખ સિધ્ધરાજસિંહ કે. જાડેજા, સેક્રેટરી પી.સી.વ્યાસ, જોઇન્ટ સેક્રેટરી ધર્મેશભાઇ સખીયા, ટ્રેઝરર જીતેન્દ્રભાઇ એચ.પારેખ, લાયબ્રેરી સેક્રેટરી સુમીતભાઇ વોરા, કારોબારી સભ્ય અજયભાઇ પીપળીયા, કેતનભાઇ મંડ, હિરેનભાઇ ડોબરીયા, નૃપેનભાઇ ભાવસાર, વિવેકભાઇ સાતા, નૈમીષભાઇ પટેલ, કિશનભાઇ રાજાણી, મનીષભાઇ પંડયા, મોનીષભાઇ જોષી, ચેતનાબેન કાછડીયા જહેમત ઉઠાવી રહેલ છે.