Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

બે મહિના સુધી જેટલા મુરગા ફસાય એટલાને ફસાવી લઇ પછી કૌભાંડ સંકેલી લેવાના હતાં

રેલ્વેમાં નોકરીના નામે કૌભાંડમાં લખનોૈથી વધુ એક આરોપીને ઝડપી લાવતી રાજકોટ એસઓજી : સુત્રધાર હિમાંશુના ઘરમાંથી ૭ લાખની રોકડ કબ્જેઃ તાલિમ સેન્ટર માટે રેલ્વેનું જુનુ બિલ્ડીંગ ૨૦ હજારના ભાડેથી આપનાર અટલ ત્રિપાઠી રેલ્વેનો પેટા કોન્ટ્રાકટર છેઃ તેના પિતા લખનોૈ રેલ્વેના કર્મચારી : ૬ઠ્ઠી સુધી રિમાન્ડ પર રહેલા હિમાંશુ સહિત ૬ની વિશેષ પુછતાછ

રાજકોટ તા. ૫: રેલ્વેમાં નોકરીના નામે નોકરીવાંચ્છુઓ પાસેથી ૧૫-૧૫ લાખ સેટીંગના અને ૨૮ હજાર પીડીએફ ફાઇલીંગ સહિત ડોકયુમેન્ટ ચાર્જ પેટે ઉઘરાવી લઇ નોકરી વાંચ્છુઓને રેલ્વેનો બોગસ કોલ લેટર આપી લખનોૈ રેલ્વે સ્ટેશન પાસે ઉભા કરાયેલા રેલ્વેના બોગસ તાલિમ સેન્ટરમાં લઇ જઇ છેતરવાના આંતરરાજ્ય કૌભાંડમાં ઝડપાયેલા યુપી, જામનગર, અમદાવાદ અને નર્મદા જીલ્લાના ૬ શખ્સો છઠ્ઠી સુધી રિમાન્ડ પર હોઇ તેની વિશેષ પુછતાછમાં તાલિમ સેન્ટર માટે જગ્યા ભાડે આપનાર લખનોૈના પીપરસંડ ગામ અલીનગર જયપુરીયા સ્કૂલ પાસે રહેતાં અટલ મદનગોપાલ ત્રિપાઠી (ઉ.વ.૩૩)ને પણ રાજકોટ એસઓજીએ દબોચી લીધો છે. આ શખ્સ રેલ્વેમાં પેટા કોન્ટ્રાકટ ધરાવે છે અને તેના પિતા રેલ્વે કર્મચારી છે. તેણે જ બોગસ તાલિમ સેન્ટર માટેની રેલ્વેની ખંઢેર જેવી પડતર જગ્યા મહિને ૨૦ હજારના ભાડેથી કૌભાંડીઓને અપાવી હતી.આ કૌભાંડમાં પકડાયેલા છ આરોપીઓ હિમાંશુ ઉદયભાણ પાંડે (ઉ.વ.૩૨-રહે. અલકનંદા એન્કલાવ, અવધ શિલ્પ રામ સોસાયટલ પાસે લખનોૈ યુ. પી.), શશીપ્રસાદ ઉર્ફ અનુપમ ગોવિંદપ્રસાદ ગુપ્તા (ઉ.વ.૧૯-રહે. ગાજીપુરમ કારા લખનોૈ, મુળ દરગાહપુર નવાડીહ રોહતાસ બિહાર), સુરજ રમેશ મોૈર્ય (ઉ.વ.૨૦-રહે. પારાગાવ રામજીપુરમ લખનોૈ) તથા અમદાવાદના સેલા ગામના કલ્પેશ પ્રભુદાસ શેઠ તેમજ જામનગરના ફલ્લાના શૈલેષ ઉર્ફ સેટીંગ મનસુખભાઇ દલસાણીયા તથા નર્મદાના નાદોલ તાબેના રાજપીપળાના ઇકબાલઅહેમદ ઉર્ફ મુન્નો અબ્દુલકરીમ ખત્રી તા. ૬ સુધી રિમાન્ડ પર હોઇ વિશેષ પુછતાછ થતાં તાલિમ કેન્દ્ર માટેની જગ્યા લખનોૈના અટલ ત્રિપાઠીએ આપ્યાનું ખુલતાં એસઓજીટી ટૂકડી ત્યાં પહોંચી હતી અને અટલને ઉઠાવી લીધો હતો. અટલ રેલ્વેના પેટા કોન્ટ્રાકટ રાખી કામ કરે છે અને તેના પિતા રેલ્વે કર્મચારી હોઇ તે રેલ્વેની પડતર જગ્યાથી વાકેફ હતો.

આ ઉપરાંત મુખ્ય સુત્રધાર હિમાંશુના લખનોૈ ખાતેના ઘરે જડતી કરતાં ૭ લાખની રોકડ મળતાં કબ્જે કરી હતી. અટલ ત્રિપાઠીને રાજકોટ લાવી કોર્ટમાં રજૂ કરવામાં આવતાં તેના ૧૫/૪ સુધીના દસ દિવસના રિમાન્ડ મંજુર થતાં વધુ તપાસ હાથ ધરાઇ છે. અગાઉના છ અને અટલ મળી ૭ આરોપીઓની વિશેષ તપાસ શરૂ કરવામાં આવી છે. આ બધાએ ભેગા મળી બે મહિનામાં જેટલા નોકરીવાંચ્છુઓ ફસાય એટલાને ફસાવી લઇ રૂપિયા એકઠા કરી લઇ બાદમાં તાલિમ સેન્ટર બંધ કરી કૌભાંડનો સંકેલો કરી લેવાનો પ્લાન ઘડ્યો હતો. પરંતુ એ પહેલા જ રાજકોટ પોલીસને આ કાવત્રાનો પર્દાફાશ કરવામાં સફળતા મળી ગઇ હતી.પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાની રાહબરીમાં પીઆઇ આર. વાય. રાવલ, પીઆઇ વી. કે. ગઢવી, પીએસઆઇ એમ. વી. રબારી, પીએસઆઇ એમ. એસ. અંસારી, એએસઆઇ જયુભા પરમાર, દિગુભા જાડેજા, હેડકોન્સ. પ્રતાપસિંહ ઝાલા, એભલભાઇ બરાલીયા, હરદેવસિંહ જાડેજા, જગદીશભાઇ મેવાડા,   પુષ્પરાજસિંહ જાડેજા, સોકતખાન ખોરમ અને અનિલસિંહ ગોહિલ વધુ તપાસ ચલાવી રહ્યા છે.

રેલ્વેમાં નોકરીના નામે આ ટોળકીએ ગુજરાત-રાજકોટ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટક, વેસ્ટ બેંગાલ, બિહાર, યુપી સીહતના રાજ્યોના નોકરીવાંચ્છુઓને ફસાવ્યા હોવાનું બહાર આવ્યું હતું.

(3:03 pm IST)